IND vs NZ: ન્યુઝીલેન્ડ સામે T20I માં ભારતનુ પ્રદર્શન છેલ્લા એક વર્ષમાં કેવી રીતે પલટાયુ, જાણો
રમતની શરૂઆત વિરાટ કોહલી (Virat Kohli) એ કરી હતી. રોહિત શર્મા (Rohit Sharma) એ તેને જાળવી રાખ્યો હતો. ભારત પહેલા ન્યૂઝીલેન્ડ સામે અન્ય કોઈ ટીમે આવું કર્યું નથી.
ટીમ ઈન્ડિયા (Team India) ન્યુઝીલેન્ડ (New Zealand) સામેની બીજી T20 ઈન્ટરનેશનલ સીરીઝને પોતાના નામે કરવામાં સફળ રહી છે. આ વખતે ભારતે પોતાની જ ધરતી પર જ કિવીને પછાડ્યુ છે. કોલકાતામાં 3 T20 મેચની શ્રેણીની અંતિમ મેચનુ મેદાન મારી લઇને ભારતે કિવી સામે ક્લીન-સ્વીપ કરી લીધું. આમ પણ ક્લીન સ્વીપની આ વાર્તા નવી નહોતી. તે હવે એક વર્ષનો છે. તેની શરૂઆત વિરાટ કોહલી (Virat Kohli) એ કરી હતી. હવે રોહિત શર્મા (Rohit Sharma) એ જાળવી રાખ્યું છે. ભારત પહેલા કોઈ અન્ય ટીમે ન્યુઝીલેન્ડ સામે એવું નથી કર્યું કે તેના ઘરમાં ક્લીન સ્વીપ કરી દીધુ હોય.
કોલકાતામાં રમાયેલી છેલ્લી T20 મેચ ભારતે 73 રને જીતી લીધી હતી. આ જીત સાથે 3 ટી-20 મેચની સિરીઝ 3-0થી જીતી લીધી છે. T20 ઈન્ટરનેશનલમાં ભારતની પૂર્ણ-સમયની કેપ્ટનશીપ સંભાળ્યા બાદ રોહિત શર્માની આ પ્રથમ મોટી કસોટી હતી. અને તેની પ્રથમ પરીક્ષામાં તેણે ક્લીન સ્વીપ કરીને પૂરા માર્ક્સ મેળવ્યા હતા. રાહુલ દ્રવિડ (Rahul Dravid) અને રોહિત શર્માની જોડી માટે પણ આ જીત શાનદાર રહી. વાસ્તવમાં, આ શ્રેણીથી, રાહુલ દ્રવિડનો મુખ્ય કોચ તરીકેનો કાર્યકાળ પણ ટીમ ઇન્ડિયા માટે શરૂ થયો હતો.
ન્યુઝીલેન્ડ સામે ભારતના પ્રદર્શનનું ‘પોસ્ટ-મોર્ટમ’
ન્યુઝીલેન્ડ વિરૂદ્ધ T20 ઈન્ટરનેશનલમાં ટીમ ઈન્ડિયાના પ્રદર્શનનો ગ્રાફ વર્ષ-દર-વર્ષે કેવી રીતે વધ્યો છે, તેને આ 3 તબક્કાઓ પરથી જ સમજી લો. વર્ષ 2016 સુધી ન્યુઝીલેન્ડ સામે ભારતીય ટીમની હાલત એવી હતી કે તેને ખબર ન હતી કે કેવી રીતે જીતવું. ટીમ ઈન્ડિયાએ 2016 સુધી ન્યૂઝીલેન્ડ સામે 5 T20 રમી હતી અને તમામમાં હારનો સામનો કરવો પડ્યો હતો.
2017 અને 2019 ની વચ્ચે પરિસ્થિતિ થોડી સુધરી અને પછી ટીમ ઈન્ડિયા ક્રિકેટના ટૂંકા ફોર્મેટમાં કિવીઓને ટક્કર આપતી જોવા મળી. આ સમયગાળા દરમિયાન રમાયેલી 6 T20 મેચોમાં ભારતે 3 અને ન્યૂઝીલેન્ડે 3માં જીત મેળવી છે.
પરંતુ વર્ષ 2020 થી બંને ટીમો વચ્ચેની વાસ્તવિક રમત બદલાઈ ગઈ છે. આ દરમિયાન ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડ પર સંપૂર્ણ રીતે પ્રભુત્વ જમાવ્યું હતું. બંને ટીમો 9 વખત T20 મેચોમાં સામસામે આવી હતી, જેમાં ભારત 8 વખત જીત્યું હતું અને ICC T20 વર્લ્ડ કપ 2021માં માત્ર 1 મેચમાં હાર્યું હતું.
ઘરમાં ઘૂસીને પણ હરાવ્યુ, પોતાની ધરતી પર પણ પરાજીત કરી
છેલ્લા એક વર્ષમાં ભારતે ન્યૂઝીલેન્ડ સામે 8 હાર મેળવીને ઈતિહાસ રચ્યો છે. તે હવે એકમાત્ર એવી ટીમ બની ગઈ છે જેણે ન્યૂઝીલેન્ડને તેના ઘરે અને પછી પોતાની જ ધરતી પર હરાવ્યું છે. વર્ષ 2020 માં, વિરાટ કોહલીની કપ્તાની હેઠળ, ભારતે ન્યુઝીલેન્ડમાં રમાયેલી 5 T20 મેચોની શ્રેણીમાં ક્લીન સ્વીપ કર્યું હતું. અને હવે રોહિત શર્માની કમાન હેઠળ, તે પોતાના ઘરે 3 T20 મેચોની શ્રેણીમાં ક્લીન સ્વિપ કરી દીધુ.