IND vs ENG: પૃથ્વી શો અને સૂર્યકુમાર શ્રીલંકા થી સીધા ઇંગ્લેન્ડ પહોંચશે, ઘાયલોની ખોટ ભરવા બોલાવાયા!
ભારત અને શ્રીલંકા (India vs Sri Lanka) વચ્ચે વન ડે શ્રેણી સમાપ્ત થઇ ચુકી છે. હવે બંને દેશોની ટીમ વચ્ચે T20 સિરીઝ રમાનારી છે. એક સપ્તાહમાં ખતમ થઇ જશે. આમ ત્યાર બાદ પૃથ્વી શો શ્રીલંકા સ્થિત બાયોબબલ થી ઇંગ્લેન્ડમાં ટ્રાન્સફર કરવાની સંભાવનાઓ વર્તાઇ રહી છે. જે સરળ બની શકે એમ છે.
પૃથ્વી શો(Prithvi Shaw), સૂર્યકુમાર યાદવ (Suryakumar Yadav) અને ઓફ સ્પિનર જયંત યાદવને ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ માટે મોકલવાની તૈયારી કરાઇ છે. ત્રણેયને ઈજાના કારણે આઉટ થયેલા શુભમન ગિલ, વોશિંગ્ટન સુંદર અને આવેશ ખાનના સ્થાને રિપ્લેસમેન્ટ તરીકે મોકલવામાં આવી રહ્યા છે. ભારતીય ટીમ (Team India) મેનેજમેન્ટે બે ઓપનર અને એક ઓફ સ્પિનરની માટે કહ્યું હતું. તે સમજી શકાય છે કે મેનેજમેન્ટ શો, સૂર્યા અને જયંત યાદવ (Jayant Yadav)ને ઇચ્છે છે. જયંત બેટિંગ પણ કરી શકે છે.
મીડિયા રિપોર્ટનુસાર, શુભમન ગિલને પગમાં ઈજા થઈ હતી અને તે ઘરે પરત ફર્યો છે. જ્યારે સુંદર અને આવેશ ખાનને આંગળીથી સમસ્યા છે. એવું માનવામાં આવે છે કે BCCI પૃથ્વી શો, સૂર્યકુમાર યાદવ અને જયંત યાદવને તેમના સ્થાને મોકલવા પર કામ કરી રહ્યું છે. શો અને સૂર્યા હાલમાં શ્રીલંકા પ્રવાસ પર છે. જ્યાં તેઓ વનડે સિરીઝ રમી લીધી છે અને હવે T20 સિરીઝ રમશે. જ્યારે, જયંત હાલ ભારતમાં છે.
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ 4 ઓગસ્ટથી રમાશે. અગાઉ ભારતીય ટીમે ગિલને ઈજા પહોંચતા જ પૃથ્વી શો માટે માંગ કરી હતી. પરંતુ BCCI એ તે માંગને ઠુકરાવી દીધી હતી. પરંતુ ઘાયલ થયેલા ખેલાડીઓની સંખ્યામાં વધારો થતા BCCI એ પોતાનો વિચાર બદલી નાખ્યો છે.
ઇશ્વરનપર ભરોસો નથી
ભારતીય બોર્ડે ઇંગ્લેન્ડ પ્રવાસ માટે 23 ખેલાડીઓની પસંદગી કરી હતી. તેમાંથી 19 મુખ્ય ખેલાડીઓ છે, જ્યારે ચાર સ્ટેન્ડબાય ખેલાડી છે. જે અંતર્ગત ભારત પાસે હાલમાં મયંક અગ્રવાલ, કેએલ રાહુલ, રોહિત શર્મા અને ઓપનર તરીકે સ્ટેન્ડ-બાય ખેલાડી અભિમન્યુ ઇશ્વરનનો વિકલ્પ છે. પરંતુ એવા અહેવાલો છે કે ટીમ મેનેજમેન્ટ ઇશ્વરન માટે બહુ ઉત્સુક નથી. કહેવામાં આવે છે કે, તે નેટમાં પ્રભાવિત કરી શક્યો નથી. આ કારણોસર શો માંગવામાં આવ્યો હતો.
સુંદર દોઢ મહિનો રહેશે ક્રિકેટ થી દૂર
પ્રથમ પ્રેક્ટિસ મેચ દરમિયાન હનુમા વિહારીના શોટ થી, આવેશ ખાનને ઇજા પહોંચી હતી. વોશિંગ્ટન સુંદરને પહેલેથી જ તેની આંગળીમાં સમસ્યા છે. આ કારણોસર તે પ્રેક્ટિસ મેચમાં બોલિંગ કરી શક્યો ન હતો. સુંદર લગભગ દોઢેક મહિના સુધી ક્રિકેટથી દૂર રહેવાની સંભાવના છે. ટીમે તેના રિપ્લેસમેન્ટના બદલે જયંત યાદવની માંગ કરી છે. જયંતે અગાઉ ઇંગ્લેન્ડ સામે વર્ષ 2016 માં તેનુ ટેસ્ટ ડેબ્યૂ કર્યુ હતુ. ત્યારબાદ તેણે ઇંગ્લેન્ડની ટીમ સામે સદી ફટકારી હતી. જોકે, ટીમ મેનેજમેન્ટે આવેશ ખાનની બદલી માટે કોઇ ખેલાડી માંગ્યો નથી. કારણ કે ભારતીય ટીમ પાસે પૂરતા ઝડપી બોલરો છે.
સૂર્યકુમાર યાદવને અજિંક્ય રહાણેના કવર તરીકે પસંદ કરવામાં આવે તેમ મનાય છે. રહાણે હાલમાં હેમસ્ટ્રિંગ થી પિડાઇ રહ્યો છે. આ કારણોસર તે પ્રેક્ટિસ મેચમાં રમ્યો ન હતો. તેણે ઈંજેક્શન લેવા પડ્યા હતા.