IND vs ENG : ચેતેશ્વર પૂજારાની ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી ! ઈંગ્લેન્ડમાં મળી આ ખાસ જવાબદારી
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ શ્રેણીની પહેલી મેચ લીડ્સમાં રમાઈ રહી છે. આ મેચ પહેલા એક ખાસ ક્ષણ જોવા મળી જેણે બધાનું ધ્યાન ખેંચ્યું. વાસ્તવમાં, અનુભવી બેટ્સમેન ચેતેશ્વર પૂજારા ટીમ હડલમાં ખાસ જવાબદારી નિભાવતો જોવા મળ્યો હતો.

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ શ્રેણી શરૂ થઈ ગઈ છે. બંને ટીમો વચ્ચે શ્રેણીની પહેલી મેચ લીડ્સમાં રમાઈ રહી છે. આ મેચ ભારતીય ક્રિકેટ માટે એક ખાસ ક્ષણ લઈને આવી, જ્યારે યુવા બેટ્સમેન સાઈ સુદર્શનને ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કરવાની તક મળી. આ દરમિયાન, ચેતેશ્વર પૂજારાની એન્ટ્રી પણ ટીમ ઈન્ડિયામાં થઈ હતી.
ચેતેશ્વર પૂજારાએ સાઈ સુદર્શનને ટેસ્ટ કેપ સોંપી
સાઈ સુદર્શનના કરિયરના આ ખાસ ક્ષણને અનુભવી બેટ્સમેન પૂજારાએ વધુ યાદગાર બનાવી દીધી. હકીકતમાં, પૂજારાએ ટીમ હડલ દરમિયાન સુદર્શનને ટેસ્ટ કેપ સોંપી હતી. ખાસ વાત એ છે કે સુદર્શન હવે તે જ નંબર-3 પોઝિશન પર બેટિંગ કરશે, જ્યાં પૂજારા લાંબા સમય સુધી ભારત માટે દિવાલની જેમ મજબૂત રીતે ઉભો રહ્યો અને રન બનાવ્યા. પૂજારાને ટીમ હડલમાં જોઈને ક્રિકેટ ચાહકોની જૂની યાદો તાજી થઈ ગઈ. પૂજારા ગયા ઈંગ્લેન્ડ પ્રવાસમાં ટીમ ઈન્ડિયાનો ભાગ હતો, પરંતુ આ વખતે તે કોમેન્ટેટર તરીકે કામ કરી રહ્યો છે.
સુદર્શન નંબર-3 પર બેટિંગ કરશે
બીજી તરફ, ઘરેલુ ક્રિકેટમાં અને ભારત A માટે શાનદાર પ્રદર્શન કરી રહેલા સુદર્શને પોતાની મહેનત અને સાતત્યથી પસંદગીકારોનો વિશ્વાસ જીત્યો છે. ઈંગ્લેન્ડ સામેની પહેલી ટેસ્ટમાં ટેસ્ટ કેપ મેળવવી એ માત્ર તેના માટે જ નહીં પરંતુ ભારતીય ક્રિકેટ માટે પણ એક મહત્વપૂર્ણ ક્ષણ છે. સુદર્શનની ટેકનિક, ધીરજ અને મોટા સ્કોર કરવાની ક્ષમતાએ તેને આ તક માટે તૈયાર કર્યો છે. ટેસ્ટ ક્રિકેટમાં નંબર-3 પર બેટિંગ કરવી એક પડકારજનક ભૂમિકા છે, અને સુદર્શન આ જવાબદારી નિભાવવા માટે તૈયાર દેખાય છે.
From one gritty No. 3 to another
A moment of pride for Sai Sudharsan #SonySportsNetwork #GroundTumharaJeetHamari #ENGvIND #NayaIndia #DhaakadIndia #TeamIndia | @sais_1509 pic.twitter.com/GIw8Ci3sV9
— Sony Sports Network (@SonySportsNetwk) June 20, 2025
નંબર-3 નો વારસો, પૂજારાથી સુદર્શન સુધી
નંબર-3 પોઝિશનને ટેસ્ટ ક્રિકેટની કરોડરજ્જુ માનવામાં આવે છે. આ એવી પોઝિશન છે જ્યાં બેટ્સમેનને નવા બોલનો સામનો કરવો પડે છે, પરંતુ તે જ સમયે ઈનિંગ્સ સંભાળવાની જવાબદારી પણ તેના પર હોય છે. પૂજારાએ આ પોઝિશન પર ભારત માટે 100 થી વધુ ટેસ્ટ મેચોમાં યોગદાન આપ્યું છે અને ઘણી યાદગાર ઈનિંગ્સ રમી છે. હવે એ જ વારસાને આગળ ધપાવવાની જવાબદારી સુદર્શનના ખભા પર છે. સુદર્શનની ટેકનિક અને શાંત સ્વભાવ તેને આ ભૂમિકા માટે યોગ્ય બનાવે છે. ઈંગ્લેન્ડની સ્વિંગ અને સીમ બોલિંગ સામે તેનું પ્રદર્શન તેની ક્ષમતાની ખરી કસોટી હશે.
આ પણ વાંચો: IND vs ENG : ઈંગ્લેન્ડમાં બુમરાહ રચશે ઈતિહાસ, બે વિકેટ લેતા જ પાકિસ્તાનના મહાન ખેલાડીને પાછળ છોડી દેશે
