IND vs AUS: ‘હું ખચકાટ નહીં અનુભવું’… કેપ્ટન શુભમન ગિલે વિરાટ અને રોહિત વિશે આવું કેમ કહ્યું?

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પહેલી વનડે 19 ઓક્ટોબરે પર્થમાં રમાશે. શુભમન ગિલ પહેલીવાર વનડે ટીમનું નેતૃત્વ કરશે. વિરાટ કોહલી અને રોહિત શર્મા લાંબા સમય પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પાછા ફરશે. મેચના એક દિવસ પહેલા ગિલે વિરાટ-રોહિત સાથે તેના સંબંધ વિશે મોટું નિવેદન આપ્યું હતું.

IND vs AUS: હું ખચકાટ નહીં અનુભવું... કેપ્ટન શુભમન ગિલે વિરાટ અને રોહિત વિશે આવું કેમ કહ્યું?
Virat, Rohit & Shubman Gill
Image Credit source: PTI/X
| Updated on: Oct 18, 2025 | 7:33 PM

નવા કેપ્ટન શુભમન ગિલના નેતૃત્વમાં, ટીમ ઈન્ડિયા 50 ઓવરના ફોર્મેટમાં એક નવા યુગની શરૂઆત કરી રહી છે. ટીમ ઈન્ડિયા પર્થમાં રમાનારી પહેલી ODIમાં ઓસ્ટ્રેલિયા સામે જીત મેળવીને પોતાના અભિયાનની મજબૂત શરૂઆત કરવા માંગશે. મેચ પહેલા પ્રેસ કોન્ફરન્સમાં શુભમન ગિલે વિરાટ કોહલી અને રોહિત શર્મા વિશે કેટલીક મહત્વપૂર્ણ ટિપ્પણીઓ કરી હતી.

શુભમન ગિલે શું કહ્યું?

શુભમન ગિલે પર્થમાં સ્વાન નદીના કિનારે આયોજિત એક પ્રેસ કોન્ફરન્સમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી સાથેના તેના સંબંધો અંગે સોશિયલ મીડિયા પર ફેલાતી અટકળો પર વાત કરી. તેણે કહ્યું, “રોહિત અને વિરાટ એવા ખેલાડીઓ છે જેમને હું બાળપણમાં આદર્શ માનતો હતો. તેમનાથી મને પ્રેરણા મળી. આવા દિગ્ગજોની કપ્તાની કરવી ખૂબ જ સન્માનની વાત છે. મને ખાતરી છે કે આ શ્રેણી દરમિયાન ઘણી તકો મળશે જ્યાં હું તેમની પાસેથી ઘણું શીખીશ. જો હું મુશ્કેલ પરિસ્થિતિમાં હોઈશ તો હું તેમની સલાહ લેવામાં અચકાઈશ નહીં.”

રોહિત-વિરાટ સાથે સારા સંબંધો

શુભમન ગિલે વધુમાં કહ્યું કે, ભલે અફવાઓ ફેલાતી રહી હોય, પણ રોહિત સાથેના મારા સંબંધોમાં કોઈ ફેરફાર થયો નથી. જ્યારે પણ મને તેને કંઈક પૂછવાની જરૂર પડે છે, ત્યારે તે હંમેશા મદદરૂપ થાય છે. ટીમને કેવી રીતે આગળ વધારવી તે અંગે મેં વિરાટ અને રોહિત સાથે ઘણી વાર વાતચીત કરી છે. તેઓ ટીમને આગળ લઈ જવા માંગતા હતા, અને તેમની સલાહ અને અનુભવો ટીમને મદદરૂપ થશે.”

 

ધોની-વિરાટ-રોહિતનો વારસો

નવા ODI કેપ્ટને કહ્યું, “માહી ભાઈ (એમએસ ધોની), વિરાટ ભાઈ અને રોહિત ભાઈ દ્વારા બનાવેલા વારસાને આગળ ધપાવવાની મારા પર એક મોટી જવાબદારી છે. તેઓ ટીમમાં જે અનુભવ અને કુશળતા લાવ્યા છે તે અપાર છે.”

બંને ખેલાડીઓ મારા રોલ મોડલ

ગિલે વિરાટ કોહલી અને રોહિત શર્માને ODI ક્રિકેટમાં પોતાનો દબદબો બનાવતા જોયા છે, જે અંગે ગિલે કહ્યું કે, “દેખીતી રીતે, બાળપણમાં, હું તેમની રમત અને તેમના સમર્પણ માટે તેમની પ્રશંસા કરતો હતો, જેણે મને પ્રેરણા આપી હતી, ક્રિકેટના આવા દિગ્ગજોનું નેતૃત્વ કરવું એ ખૂબ જ સન્માનની વાત છે. હું એવો કેપ્ટન બનવા માંગુ છું જ્યાં મારા બધા ખેલાડીઓ સુરક્ષિત અનુભવે.”

કેપ્ટન-બેટ્સમેનની જવાબદારી

ગિલે વધુમાં કહ્યું કે તેમણે લગભગ 20 વર્ષ સુધી ભારતીય ક્રિકેટની સેવા કરી છે અને જ્યારે હું તેમના નેતૃત્વમાં રમ્યો છું, ત્યારે મેં ઘણું શીખ્યો છે. તેમના અનુભવને પુનરાવર્તિત કરી શકાતો નથી. તેમણે વિશ્વભરમાં બનાવેલા રન અવિસ્મરણીય છે. ગિલ માને છે કે વધારાની જવાબદારી એક ખેલાડી તરીકે તેમના પ્રદર્શનમાં સુધારો કરે છે. તેણે કહ્યું, “જ્યારે મને વધારાની જવાબદારી આપવામાં આવે છે ત્યારે મને તે ગમે છે. હું દબાણ હેઠળ સારું પ્રદર્શન કરું છું અને મારું શ્રેષ્ઠ પ્રદર્શન આપું છું. પરંતુ જ્યારે હું બેટિંગ કરું છું, ત્યારે હું એક બેટ્સમેન તરીકે વિચારું છું.”

આ પણ વાંચો: ક્રિકેટમાં આવી ગયો નવો નિયમ, હવે બેટ્સમેન આ શોટ રમી શકશે નહીં, બોલરોને થશે ફાયદો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Follow Us