
T20 વર્લ્ડ કપ 2026 માં ભારતીય ક્રિકેટ ટીમે ફરી એક વખત વિશ્વ ક્રિકેટમાં પોતાનું પ્રભુત્વ સાબિત કર્યું છે. સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઈન્ડિયાએ ફાઈનલમાં ન્યુઝીલેન્ડને 96 રનથી હરાવીને ખિતાબ જીત્યો. આ જીત સાથે ભારતે T20 વર્લ્ડ કપનો ત્રીજો ખિતાબ પોતાના નામે કર્યો છે.
આ ટુર્નામેન્ટમાં ભારતીય ટીમે કુલ નવ મેચ રમી હતી. ICC દ્વારા નક્કી કરાયેલા ઇનામી માળખા મુજબ, ભારતને ચેમ્પિયન બનવા બદલ કુલ ₹27.48 કરોડની ઇનામી રકમ મળી. જો આ રકમને રમાયેલી મેચો પ્રમાણે ગણવામાં આવે તો ટીમ ઈન્ડિયાને દરેક મેચ માટે સરેરાશ ₹3.05 કરોડ મળ્યા.
ફાઈનલમાં ભારત સામે હારનાર ન્યુઝીલેન્ડ ટીમે પણ ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. કિવી ટીમે પણ કુલ નવ મેચ રમી હતી. પરંતુ રનર-અપ તરીકે તેમને કુલ ₹14.65 કરોડની ઇનામી રકમ મળી. આ પ્રમાણે ન્યુઝીલેન્ડને દરેક મેચ માટે આશરે ₹1.62 કરોડ જેટલી રકમ મળી.
ICCએ 2026 ના T20 વર્લ્ડ કપ માટે કુલ લગભગ ₹120 કરોડની ઈનામી રકમ નક્કી કરી હતી. ટુર્નામેન્ટમાં ટીમોની પ્રગતિ અનુસાર અલગ-અલગ સ્ટેજ માટે ઈનામ આપવામાં આવ્યું હતું. જેના કારણે દરેક ટીમને મળતી રકમમાં મોટો તફાવત જોવા મળ્યો.
પાકિસ્તાનની ટીમ આ ટુર્નામેન્ટમાં સુપર-8 સુધી પહોંચવામાં સફળ રહી હતી. ટીમે કુલ સાત મેચ રમી હતી અને તેમને કુલ ₹3.48 કરોડની ઇનામી રકમ મળી. જો સરેરાશ ગણતરી કરીએ તો પાકિસ્તાનને દરેક મેચ માટે લગભગ ₹49 લાખ જેટલી રકમ મળી.
ભારત માટે આ જીત ઐતિહાસિક રહી છે. ભારતે સૌપ્રથમ 2007 માં મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાની હેઠળ T20 વર્લ્ડ કપ જીત્યો હતો. ત્યારબાદ 2024 માં રોહિત શર્માની કેપ્ટનશીપમાં ભારતે ફરી ખિતાબ જીત્યો હતો. હવે 2026 માં સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળ ટીમ ઈન્ડિયાએ ત્રીજી વખત T20 વર્લ્ડ કપ જીતવાનો ગૌરવ મેળવ્યો છે.