T20 WC Breaking : જો ભારત-વેસ્ટ ઈન્ડિઝ મેચ વરસાદને કારણે રદ થાય, તો કોણ થશે સેમિફાઈનલમાં ક્વોલિફાય?

T20 વર્લ્ડ કપ 2026માં ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની સુપર 8 ની છેલ્લી મેચ 1 માર્ચે કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે રમાશે. બંને ટીમો માટે આ મુકાબલો નોકઆઉટ સમાન છે. સેમિફાઇનલમાં સ્થાન મેળવવા માટે બંને ટીમો માટે જીત અનિવાર્ય છે. પણ જો મેચમાં વરસાદ પડે અને મેચ રદ થાય તો કોણ સેમિફાઈનલમાં ક્વોલિફાય થશે? જાણો મેચમાં કેવું રહેશે હવામાન.

T20 WC Breaking : જો ભારત-વેસ્ટ ઈન્ડિઝ મેચ વરસાદને કારણે રદ થાય, તો કોણ થશે સેમિફાઈનલમાં ક્વોલિફાય?
India vs West Indies
Image Credit source: PTI/X
| Updated on: Feb 28, 2026 | 11:09 PM

T20 વર્લ્ડ કપ 2026 માં ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની સુપર 8 રાઉન્ડની ટક્કર ટૂર્નામેન્ટનું સૌથી મહત્વપૂર્ણ મુકાબલો બની રહ્યો છે. કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે રમાનારી આ મેચમાં જીતનાર ટીમ સીધી સેમિફાઇનલમાં પ્રવેશ કરશે. બંને ટીમો માટે આ મેચ ક્વાર્ટર ફાઇનલ જેવી બની ગઈ છે, જેના કારણે રોમાંચ ચરમસીમાએ છે.

ભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે નોકઆઉટ મુકાબલો

દક્ષિણ આફ્રિકાએ સુપર 8 ના અગાઉના મુકાબલામાં વેસ્ટ ઈન્ડિઝને હરાવતાં ગ્રુપનું સમીકરણ બદલાયું છે. જો વેસ્ટ ઈન્ડિઝ તે મેચ જીતી હોત, તો ભારત માટે આગળનો માર્ગ કઠિન બન્યો હોત. હવે પરિસ્થિતિ એવી છે કે ભારતે પોતાની બંને મેચ જીતવી જરૂરી છે, જેમાંથી એકમાં ઝિમ્બાબ્વે સામે 72 રનની ભવ્ય જીત મેળવી ટીમે આત્મવિશ્વાસ વધાર્યો છે.

મેચ વરસાદને કારણે રદ થાય તો શું થશે?

હાલના પોઈન્ટ્સ ટેબલ પ્રમાણે નેટ રન રેટ પણ નિર્ણાયક બની શકે છે. વેસ્ટ ઈન્ડિઝનો રન રેટ +1.791 છે, જ્યારે ભારતનો -0.100 છે. આવી સ્થિતિમાં જો ભારત-વેસ્ટ ઈન્ડિઝ મેચ વરસાદને કારણે રદ થાય, તો બંનેને એક-એક પોઈન્ટ મળશે. તે સ્થિતિમાં વેસ્ટ ઈન્ડિઝ રન રેટના આધારે આગળ વધી જશે અને ભારતની સફર સમાપ્ત થઈ શકે છે.

વરસાદની કોઈ શક્યતા નથી

તેથી હવામાનની પરિસ્થિતિ પર સૌની નજર છે. તાજેતરના હવામાન અહેવાલો મુજબ કોલકાતામાં મેચના દિવસે વરસાદની કોઈ શક્યતા નથી. દિવસભર આકાશ ખુલ્લું રહેવાની અને તડકો નીકળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ચાહકો માટે આ સારા સમાચાર છે.

40 ઓવરની સંપૂર્ણ મેચ રમાશે?

તાપમાન 26 થી 31 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેવાની આગાહી છે. ભેજનું પ્રમાણ થોડું વધારે હોઈ શકે છે, પરંતુ વરસાદી વાદળોની કોઈ સંભાવના નથી. એટલે 40 ઓવરની સંપૂર્ણ મેચ રમાશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

સેમિફાઇનલથી માત્ર એક જીત દૂર ભારત

વેસ્ટ ઈન્ડિઝની ટીમમાં અનેક મેચવિનર ખેલાડીઓ છે, જે એકલા હાથે મેચનું પાસું ફેરવી શકે છે. ભારતે તેમને હળવાશથી ન લેવું જોઈએ. મજબૂત બેટિંગ, ચોક્કસ બોલિંગ અને ચુસ્ત ફિલ્ડિંગ સાથે ટીમ ઈન્ડિયાએ ઉતરવું પડશે. સેમિફાઇનલનો રસ્તો હવે માત્ર એક જીત દૂર છે, અને ઇડન ગાર્ડન્સમાં થનારી આ ટક્કર વિશ્વ ક્રિકેટના ચાહકો માટે યાદગાર બની શકે છે.

T20 WC Breaking : પાકિસ્તાન T20 વર્લ્ડ કપમાંથી બહાર ફેંકાયું, ન્યુઝીલેન્ડ સેમિફાઇનલમાં પહોંચ્યું

Published On - 11:03 pm, Sat, 28 February 26