ભારત અને ઈંગ્લેન્ડ (ENG vs IND) વચ્ચે 7 જુલાઈથી ત્રણ મેચની T20 સીરીઝ શરૂ થઈ રહી છે. T20 શ્રેણી માટે બે અલગ-અલગ ટીમ પસંદ કર્યા બાદ ભારતે વધુ એક મોટો ફેરફાર કર્યો છે. મળતી માહિતી પ્રમાણે VVS લક્ષ્મણ (VVS Laxman) ઈંગ્લેન્ડ સામેની પ્રથમ T20માં મુખ્ય કોચની ભૂમિકા નિભાવશે. ટીમ ઈન્ડિયા (Team India) ના મુખ્ય કોચ રાહુલ દ્રવિડ (Rahul Dravid) એજબેસ્ટનમાં ચાલી રહેલી ટેસ્ટ દરમિયાન ટીમ ઈન્ડિયાનો ભાગ છે. એજબેસ્ટન ટેસ્ટ 5 જુલાઈ સુધી ચાલશે અને ટેસ્ટ ટીમ સાથે સંકળાયેલા ખેલાડીઓ અને સ્ટાફ પ્રથમ T20 મેચ માટે ઉપલબ્ધ નથી. તેથી બીસીસીઆઈ (BCCI) એ હવે નેશનલ ક્રિકેટ એકેડમીના વડા વીવીએસ લક્ષ્મણને આ જવાબદારી નિભાવવા કહ્યું છે.
જોકે મહત્વની વાત એ છે કે વીવીએસ લક્ષ્મણ હાલમાં જ આયર્લેન્ડ પ્રવાસ પર મુખ્ય કોચની ભૂમિકામાં જોવા મળી ચૂક્યો છે. ભારત માટે રાહતની વાત છે કે ટીમના નિયમિત સુકાની રોહિત શર્મા (Rohit Sharma) નો કોવિડ-19 રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. રોહિત શર્માએ પણ ટી-20 સિરીઝની તૈયારીઓ શરૂ કરી દીધી છે.
તમને જણાવી દઈએ કે એજબેસ્ટનથી સાઉથમ્પટનના અંતરને કારણે જે ખેલાડીઓ ટેસ્ટ ટીમનો ભાગ હતા તેમને ટી20 સીરીઝ પહેલા આરામ કરવાની તક નહીં મળે. તેથી બીસીસીઆઈએ પહેલાથી જ સ્પષ્ટ કરી દીધું હતું કે વિરાટ કોહલી, રિષભ પંત, જસપ્રિત બુમરાહ અને શ્રેયસ અય્યર પ્રથમ ટી20 માટે ટીમનો ભાગ નહીં હોય.
ભારતીય ટીમના પુર્વ દિગ્ગજ ક્રિકેટર અને નેશનલ ક્રિકેટ એકેડેમીના હેડ વીવીએસ લક્ષ્મણ (VVS Laxma) ના કોચ હેઠળ ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. લક્ષ્મણના કોચ હેઠળ ભારતે T20I શ્રેણીમાં આયર્લેન્ડ સામે 2-0થી જીત નોંધાવી હતી.
અત્યાર સુધી ત્રણ દિવસની રમત એજબેસ્ટન ખાતે થઈ છે. વરસાદથી પ્રભાવિત આ ત્રણ દિવસ બાદ ભારતીય ટીમ મજબૂત સ્થિતિમાં જોવા મળી રહી છે. ટીમ ઈન્ડિયાની કુલ લીડ 257 રન થઈ ગઈ છે. ત્રીજા દિવસની રમતના અંત સુધીમાં ભારતીય ટીમે 3 વિકેટના નુકસાને 125 રન બનાવી લીધા છે. ચેતેશ્વર પુજારા (50) અને ઋષભ પંત (30) ક્રિઝ પર હાજર છે.