રોહિત શર્મા અને રાહુલ દ્રવિડની જોડી ને લઇને દિનેશ કાર્તિકે આપ્યુ મોટુ નિવેદન, કહ્યુ ભારતને સાચા માર્ગ પર લઇ જઇ રહ્યા છે
દિનેશ કાર્તિકે (Dinesh Karthik) મુખ્ય કોચ રાહુલ દ્રવિડ અને કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) ની જોડી અને તેમની વ્યૂહરચનાઓને સર્વશ્રેષ્ઠ ગણાવતા કહ્યું - ટીમ સાચા માર્ગ પર છે.
જ્યારથી રાહુલ દ્રવિડ (Rahul Dravid) ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ બન્યા છે અને રોહિત શર્મા (Rohit Sharma) એ ફુલ ટાઈમ કેપ્ટનશીપ સંભાળી છે ત્યારથી ભારતીય ટીમમાં એક અલગ જ માહોલ જોવા મળી રહ્યો છે. આ બંનેની જોડીએ તાજેતરમાં જ ODI અને T20 સિરીઝમાં વેસ્ટ ઈન્ડિઝનો સફાયો કર્યો હતો. દ્રવિડ અને રોહિતની જોડીએ બે વખત T20 વર્લ્ડ કપ જીતનાર વેસ્ટ ઈન્ડિઝને એક મેચ પણ જીતવા ન દીધી. આટલા શાનદાર પ્રદર્શન પછી, તે બંનેની પ્રશંસા થવી એ પણ વાજબી છે. ભારતીય ક્રિકેટર દિનેશ કાર્તિકે (Dinesh Karthik) ICC સાથે ખાસ વાતચીતમાં રાહુલ દ્રવિડ અને રોહિત શર્માની પ્રશંસા કરી હતી. સાથે જ કાર્તિકે કહ્યું કે ટીમ ઈન્ડિયા સાચા ટ્રેક પર છે.
દિનેશ કાર્તિકે આઈસીસીને કહ્યું, ‘મને સૌથી વધુ ગમ્યું તે રોહિત શર્માની કેપ્ટનશિપ છે. તે શ્રેષ્ઠ રીતે ટીમનું નેતૃત્વ કરી રહ્યો છે. તે વ્યૂહરચના બનાવવામાં અદ્ભુત છે અને તેને વેસ્ટ ઈન્ડિઝ સામે જોઈને ખૂબ આનંદ થયો. એક નવો કેપ્ટન અને નવો કોચ, મને લાગે છે કે બંને ટીમને સાચી દિશામાં લઈ જઈ રહ્યા છે. તેણે નાની-નાની નબળાઈઓ ભરવાનું કામ કર્યું છે. આ દરમિયાન ટીમ નંબર 1 પણ બની ગઈ છે.
મજબૂત બેન્ચ સ્ટ્રેન્થ એ ટીમ ઈન્ડિયાની તાકાત છે
કાર્તિકે કહ્યું કે ટીમ ઈન્ડિયાની તાકાત તેની મજબૂત બેન્ચ સ્ટ્રેન્થ છે. ભારતે વેસ્ટ ઈન્ડિઝ સામેની છેલ્લી T20 મેચમાં વિરાટ કોહલી અને ઋષભ પંત જેવા ખેલાડીઓને આરામ આપ્યો હતો પરંતુ તેમ છતાં ટીમ જીતી ગઈ હતી. દિનેશ કાર્તિકે કહ્યું, ‘જો તમે સારી ટીમો સાથે વાત કરશો તો તેઓ હંમેશા બેન્ચ સ્ટ્રેન્થને મજબૂત રાખવાની વાત કરશે અને ટીમ ઈન્ડિયાનું આ પાસું ખૂબ જ મજબૂત છે. વેસ્ટ ઈન્ડિઝ સિરીઝની વાત કરીએ તો તેણે વિરાટ, પંત અને બુમરાહ જેવા ખેલાડીઓને આરામ આપ્યો પરંતુ ટીમ 3-0 થી જીતી ગઈ.
નવા ખેલાડીઓએ પોતાનો દમ બતાવ્યોઃ દિનેશ કાર્તિક
ટીમ ઈન્ડિયાના તમામ યુવા ખેલાડીઓએ દિનેશ કાર્તિકના મતે પોતાની તાકાત બતાવી છે. વેંકટેશ અય્યર હોય કે સૂર્યકુમાર યાદવ હોય કે હર્ષલ પટેલ હોય, દરેકે વિન્ડીઝ સામેની તકને બંને હાથે પકડી લીધી. સૂર્યકુમાર યાવા વેસ્ટ ઈન્ડિઝ સામેની શ્રેણીનો સર્વશ્રેષ્ઠ ખેલાડી હતો. વેંકટેશ અય્યરે બોલ અને બેટથી સારો દેખાવ કર્યો હતો અને હર્ષલ પટેલે પણ 5 વિકેટ ઝડપી હતી. કાર્તિકે કહ્યું, ‘ટીમમાં જે ખેલાડીઓ આવી રહ્યા છે તેઓ તકને ઝડપી રહ્યા છે. હર્ષલ પટેલનું પ્રદર્શન અદ્દભુત છે. આ એક સારો સંકેત છે.