T20 વર્લ્ડ કપ 2021 (ICC T20 World Cup 2021) માં ટીમ ઇન્ડિયાએ ખૂબ જ કંગાળ પ્રદર્શન કર્યુ છે. પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ સામે હાર્યા બાદ હવે ટીમ ઈન્ડિયા સેમીફાઈનલની રેસમાંથી લગભગ બહાર થઈ ગઈ છે. હાર બાદ કેપ્ટન અને ટીમના નિર્ણયો પર સવાલ ઉઠવા સ્વાભાવિક છે. આ દરમિયાન ભારતના પૂર્વ પસંદગીકાર દિલીપ વેંગસરકરે તો ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનની પસંદગી અંગે તપાસની માંગ કરી છે.
વેંગસરકરે કહ્યું કે તેમણે ક્યારેય ભારતીય ટીમને ન્યૂઝીલેન્ડ સામેની T20 વર્લ્ડ કપ મેચમાં ખરાબ ફોર્મ સાથે સંઘર્ષ કરતી જોઈ નથી. તેણે આર અશ્વિનને પ્લેઈંગ ઈલેવનમાંથી વારંવાર બાકાત રાખવાને લઇ તપાસની પણ માંગ કરી હતી.
ન્યુઝીલેન્ડ સામે ભારતની આઠ વિકેટની હારના એક દિવસ બાદ વેંગસરકરે કહ્યું, ટીમ બિલકુલ ફોર્મમાં નહોતી અને ખેલાડીઓ થાકેલા દેખાતા હતા. ખબર નથી કે તે બાયો બબલ થાક હતો કે બીજુ કંઈક. મેં ઘણા સમયથી ખેલાડીઓના આવા હાવ ભાવમાં જોયા નથી. તેમણે કહ્યું, તે ખૂબ જ ખરાબ પ્રદર્શન હતું. પછી તે બેટિંગ હોય કે બોલિંગ. આ ફોર્મેટમાં તમારે પહેલા જ બોલથી સારું પ્રદર્શન કરવું પડશે.
પ્રથમ બે મેચમાં ભારતે વરુણ ચક્રવર્તી અને રવીન્દ્ર જાડેજાને બે સ્પિનર તરીકે જોડીને અશ્વિનને બહાર રાખ્યો હતો. વેંગસરકરે કહ્યું, અશ્વિનને શા માટે વારંવાર બહાર રાખવામાંમાં આવે છે. આ તપાસનો વિષય છે. અશ્વિન દરેક ફોર્મેટમાં શ્રેષ્ઠ સ્પિનર છે અને તેના નામે 600થી વધુ આંતરરાષ્ટ્રીય વિકેટ છે. અશ્વિન સૌથી સિનિયર છે અને છતાં તેની પસંદગી થઈ રહી નથી.’
તેમણે કહ્યું, હું સમજી શકતો નથી. અશ્વિને ઈંગ્લેન્ડ સામેની શ્રેણીમાં એક પણ મેચ રમી ન હતી. તો પછી તેને શા માટે પસંદ કરવામાં આવ્યો? આ મારા માટે એક રહસ્ય છે.
પાકિસ્તાન સામેની હાર બાદ ભારતીય ક્રિકેટ ટીમે ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં પોતાની રણનીતિથી બધાને ચોંકાવી દીધા હતા. સૌથી પહેલા ટીમ ઈન્ડિયાએ ઈશાન કિશનને ટોપ ઓર્ડરમાં તક આપી અને આશ્ચર્યજનક રીતે ટીમે રોહિત શર્માને ઓપનિંગમાંથી હટાવી દીધો. રોહિત ત્રીજા નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો અને વિરાટ કોહલી ચોથા નંબર પર ઉતર્યો હતો. ટીમ ઈન્ડિયાની આ રણનીતિનો સૌ કોઇએ વિરોધ કર્યો છે. ભારતીય ટીમ ન્યુઝીલેન્ડ સામે 8 વિકેટે હારી ગઈ હતી અને હવે સેમીફાઈનલમાં પહોંચવું લગભગ અશક્ય છે.
Published On - 9:19 am, Tue, 2 November 21