MS Dhoni, IPL 2023: ધોનીની ટીમમાં હવે ચેતવણીના સૂર, કહ્યુ-યોર્કર કરવાનુ નથી જાણતા તો બચવુ મુશ્કેલ!
CSK vs MI: ચેન્નાઈ સુપર કિંગ્સ શનિવારે મુંબઈ ઈન્ડિયન્સ સામે વાનખેડે સ્ટેડિયમમાં ટકરાશે, આ પહેલા બોલિંગ કોચે તેમના બોલરોને વાત વાતમાં ચેતવણી આપી દીધી છે.

IPL 2023 માં ચેન્નાઈ સુપર કિંગ્સ પોતાની પ્રથમ જીત નોંધાવી ચૂક્યુ છે. સિઝનની ઓપનીંગ મેચમાં ગુજરાત ટાઈટન્સ સામે ચેન્નાઈની હાર થઈ હતી. ત્યારબાદ ધોની સેનાએ બીજી મેચમાં જીત મેળવી હતી. હવે બીજી મેચ શનિવારે મુંબઈ ઈન્ડિયન્સ સામે થનારી છે. મુંબઈ અને ચેન્નાઈ વચ્ચેની આ ટક્કર જબરદસ્ત રહેનારી છે. વાનખેડેમાં રમાનારી આ મેચ પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સના બોલિંગ કોચ દ્વારા ચેતવણી આપી દીધી છે. બોલિંગ કોચ બ્રાવોએ બોલરોને બતાવી દીધુ છે કે, યોર્કર બોલ કરવા જરુરી છે. આમ કરવામાં ચૂક મુશ્કેલી સર્જી શકે છે.
મુંબઈ ઈન્ડિયન્સ ટીમ સિઝનમાં હજુ પોતાનુ જીતનુ ખાતુ ખોલી શકી નથી. મુંબઈ IPl ની સૌથી સફળ ટીમ છે અને તે ગત સિઝનમાં તેમનુ પ્રદર્શન સારુ રહ્યુ નહોતુ. વર્તમાન સિઝનમાં પોતાની પ્રથમ મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે રમતા હાર મેળવી હતી. બેંગ્લોરે એતરફી રીતે મુંબઈની સામે જીત મેળવી હતી.
યોર્કર નથી કરતા તો નહીં બચો!
એક મીડિયા રિપોર્ટનુસાર ચેન્નાઈની ટીમના બોલિંગ કોચે વાતચીત દરમિયાન બતાવ્યુ હતુ કે, જો તમારી પાસે પેસ પણ નથી અને યોર્કર પણ નથી કરી શકતા તો તમે નહીં બચી શકો. બ્રાવોએ કહ્યુ હતુ કે, જો તમારી પાસે 150 કિલોમીટર પ્રતિકલાકની ઝડપની ગતિ હોય તો પણ યોર્કરની જરુર છે. બ્રાવોનુ કહેવુ છે કે, યોર્કર મારવા એ સૌથી મુશ્કેલ છે, જોકે બચવાનો સૌથી શ્રેષ્ઠ પ્રકાર છે. આ વાત બ્રાવોએ પોતાના નિવેદન થકી ચેન્નાઈના બોલરોને માટે એક ચેતાવણી રુપ જોવામાં આવી રહ્યુ છે.
વાઈડ-નો બોલ કરનારા માટે ચેતવણી
ધોનીને સૌથી વધારે પરેશાની પોતાના એવા બોલરોથી છે કે, જેઓ નો અને વાઈડ બોલ વડે એક્સ્ટ્રા રન અને ફાયદો હરીફ ટીમોને આપી રહ્યા છે. ધોનીએ તો એ હદે કહ્યુ હતુ કે, જો આવી જ સ્થિતી રહી તો ટીમે હવે નવો કેપ્ટન શોધવો પડી શકે છે. નો બોલ અને વાઈડ બોલ ફેંકવામાં ચેન્નાઈની ટીમ તરફથી તુષાર દેશપાંડે સૌથી આગળ છે. આમ તેના માટે પણ આ ચેતવણી લાગુ પડી શકે છે, એમ માનવામાં આવી રહ્યુ છે.
તુષારની વાત કરવામાં આવે તો, તેણે આ સિઝનમાં ખરાબ પ્રદર્શન કર્યુ છે. ચેન્નાઈ વતીથી તે 2 મેચ રમીને 96 રન લુટાવી ચુક્યો છે. આ દરમિયાન તેની ઈકોનોમી 13ની રહી છે. તુષાર દેશપાંડે અત્યાર સુધીમાં 9 મેચ આઈપીએલમાં રમી ચુક્યો છે. જેમાં તેની ઈકોનોમી 11.20 ની રહી છે અને તે 7 જ વિકેટ ઝડપી શક્યો છે. આમ હવે તુષારે પોતાના પ્રદર્શનને સુધારવા માટે પ્રયાસ કરવો જરુરી છે.
રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…