આ 28 વર્ષીય યુવા ક્રિકેટરે ભારતીય ક્રિકેટમાંથી સન્યાસ લઇ લીધો, આ કારણે BCCIને કહ્યુ અલવિદા
ભારતીય ક્રિકેટર અંડર 19 ટીમનો કેપ્ટન પદે રહ્યો હતો. તેણે વર્ષ 2012 માં ભારતીય ટીમને 111 રનની અણનમ કેપ્ટન ઇનીંગ રમીને વિશ્વકપ અપાવ્યો હતો.
Cricket News: ભારતીય અંડર 19 ટીમને વિશ્વકપમાં જીત અપાવનારા ક્રિકટરે અચાનક જ ભારતીય ક્રિકેટમાંથી સન્યાસ જાહેર કર્યો છે. તે હવે વિદેશમાં ક્રિકેટ રમતો જોવા મળશે. તે હવે અમેરિકામાં રમતો જવા મળી શકે છે. 28 વર્ષીય ઉન્મુક્ત ચંદ (Unmukt Chand) ની આ વાત છે, તેણે હવે ભારતીય ક્રિકેટને અલવિદા કહી દીધુ છે. જતા જતા તેણે મીડિયા રિપોર્ટમાં એસોસિએશન પોલિટીક્સને પણ આ માટે જવાબદાર બતાવ્યુ હતુ.
ઉન્મુક્તે ટ્વીટ કરીને ભારતીય ક્રિકેટ થી સન્યાસ જાહેર કર્યો હતો. તેણે લખ્યુ હતુ કે, ક્રિકેટ એક યુનિવર્સલ રમત છે. બની શકે છે કે મતલબ બદલાઇ જાય પરંતુ મકસદ હંમેશા એક જ રહે છે, તે એ છે કે સર્વોચ્ચ સ્તર પર રમવુ. સાથે જ મારા સમર્થકો અને મને ચાહનારાઓનો આભાર, જેઓએ મને દિલમાં સ્થાન આપ્યુ છે. આપ જેવા છો એને લોકો પ્રેમ કરે એનાથી વધારે કોઇ ભાવના નથી હોતી. હું ખુદને ભાગ્યશાળી માનુ છુ કે, મારી પાસે આવા લોકો છે. સૌનો આભાર. આગળના અધ્યાય તરફ વધીએ છીએ.
ઉન્મુક્ત ચંદ ભારતીય અંડર 19 ટીમનો કેપ્ટન રહી ચુક્યો છે. તેણે વર્ષ 2012 માં ભારતીય ટીમને વિશ્વકપ જીતાડી આપ્યો હતો. ઉન્મુક્ત ચંદેવિશ્વકપ ફાઇનલ મેચમાં 111 રનની અણનમ રમત રમી હતી. આમ ફાઇનલમાં તેણે કેપ્ટન ઇનીંગ રમીને વિશ્વકપ ભારતને નામ કરાવ્યો હતો. અંડર19 ની ભારતીય ટીમમાં 2015 સુધી કેપ્ટન પદે રહ્યો હતો. ત્યાર બાદ 2013 માં તેને આઇસીસી ચેમ્પીયન્સ ટ્રોફી માટે ની 30 સભ્યોની ભારતીય ટીમમાં સ્થાન મળ્યુ હતુ. આ ઉપરાંત T20 વિશ્વકપ 2014 માટે પણ 30 સભ્યોમાં સામેલ હતો.
અગાઉ ઉત્તરાખંડ માટે ઘરેલુ ક્રિકેટ રમી ચુકેલા ઉન્મુક્ત ચંદે વર્ષ 2010 થી ઘરેલુ ક્રિકેટ કરિયરની શરુઆત કરી હતી. તેણે દિલ્હી ની ટીમ વતી થી ઘરેલુ ક્રિકેટ રમી હતી. તે દિલ્હીની ટીમનો પણ કેપ્ટન રહી ચુક્યો હતો અને 8 સિઝન તે ઘરેલુ સિઝનમાં દિલ્હી માટે રમ્યો હતો. તેણે બીસીસીઆઇનો પણ પોતાને આપેલી તકોને લઇને આભાર માન્યો હતો.