
આઈપીએલ 2026ની 53મી મેચ બાદ પ્લેઓફની રેસમાંથી એક ટીમ બહાર થઈ ગઈ છે પરંતુ હજુ પણ નવ ટીમ અંતિમ ચારની રેસમાં ટકી રહી છે. રવિવારે ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે લખનૌ સુપર જાયન્ટ્સને CSK સામે હારનો સામનો કરવો પડ્યો હતો. સીઝનમાં લખનૌની આ આઠમી હાર છે. હવે આ હાર સાથે જ તે સત્તાવાર રીતે પ્લેઓફની રેસમાંથી બહાર ફેંકાઈ ગઈ છે. હવે બાકીની ત્રણેય મેચ જીતવા છતાં તે પ્લેઓફમાં જગ્યા બનાવી શકશે નહીં.
બીજી તરફ, CSK એ લાંબી છલાંગ લગાવી છે. સીઝનની શરૂઆતમાં જે ટીમ દસમા નંબરે હતી, તે હવે રાજસ્થાન રોયલ્સને પાછળ છોડીને પાંચમા સ્થાને આવી ગઈ છે. CSKની આ જીતથી પોઈન્ટ ટેબલમાં રાજસ્થાન રોયલ્સને નુકસાન થયું છે અને તે હવે એક સ્થાન નીચે એટલે કે છઠ્ઠા સ્થાને સરકી ગયું છે. આ મુકાબલામાં લખનૌ સુપર જાયન્ટ્સે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 8 વિકેટે 203 રન બનાવ્યા હતા. 204 રનના લક્ષ્યાંકને ચેન્નાઈ સુપર કિંગ્સે છેલ્લી ઓવરમાં 5 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો.
Ruturaj Gaikwad & Co. have knocked LSG out of the playoffs race! ♂️
A campaign to forget for Rishabh Pant and his team, as they become the first side to be eliminated from IPL 2026. #IPL2026 #SKC #LSG #Sportskeeda pic.twitter.com/WEBGRDXhyN
— Sportskeeda (@Sportskeeda) May 10, 2026
આ જીત સાથે ચેન્નાઈ સુપર કિંગ્સના 12 પોઈન્ટ થઈ ગયા છે અને તેનો નેટ રન રેટ રાજસ્થાન રોયલ્સ કરતા સારો છે. આ જ કારણ છે કે, લખનૌની હારથી રાજસ્થાન રોયલ્સને પણ નુકસાન વેઠવું પડ્યું છે. બીજી તરફ ચેન્નાઈ પ્લેઓફની વધુ નજીક પહોંચી ગઈ છે. તેના 11 મેચમાં 12 પોઈન્ટ છે અને બાકીની ત્રણેય મેચ જીતીને તે સરળતાથી અંતિમ 4માં સ્થાન પાકું કરી શકે છે. જો સીએસકે 3માંથી 2 મેચ પણ જીતે છે, તો તેની પ્લેઓફની આશા જીવંત રહેશે.
આ મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સે પ્રથમ બેટિંગ કરતા 203 રન બનાવ્યા હતા પરંતુ તેમાં મુખ્યત્વે બે જ બેટ્સમેનોનું યોગદાન હતું. જોશ ઈંગ્લિસે 83 રનની તોફાની ઈનિંગ રમી હતી, જ્યારે શાહબાઝ અહેમદે 43 રન બનાવ્યા હતા. ચેન્નાઈ તરફથી જેમી ઓવરટને 3 વિકેટ ઝડપી હતી, જ્યારે અંશુલ કંબોજને 2 સફળતા મળી હતી. નૂર અહેમદે સૌથી કરકસરભરી બોલિંગ કરતા 4 ઓવરમાં 24 રન આપીને 1 વિકેટ લીધી હતી.
204 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ચેન્નાઈની શરૂઆત ધમાકેદાર રહી હતી. સંજુ સેમસન 14 બોલમાં 28 રન બનાવીને આઉટ થયો, ત્યારબાદ કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ અને ઉર્વિલ પટેલે મોરચો સંભાળ્યો હતો. બંનેએ આક્રમક બેટિંગ કરીને લખનૌની જીતની આશાઓ પર પાણી ફેરવી દીધું હતું.
ઉર્વિલે આઈપીએલ ઈતિહાસની સંયુક્ત રીતે સૌથી ઝડપી ફિફ્ટી ફટકારી હતી. તેણે માત્ર 13 બોલમાં આ પરાક્રમ કરીને યશસ્વી જયસ્વાલના રેકોર્ડની બરાબરી કરી લીધી હતી. ગાયકવાડ અને ઉર્વિલ આઉટ થયા બાદ લખનૌએ વાપસી કરી અને મેચ રોમાંચક બનાવી દીધી હતી. જો કે, પ્રશાંત વીર-શિવમ દુબેએ ટીમને વધુ નુકસાન થવા દીધું નહીં અને ટીમને જીત અપાવી દીધી હતી.