
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની ત્રણ મેચની ODI શ્રેણીની પહેલી મેચમાં અફઘાન ઓપનર રહેમાનુલ્લાહ ગુરબાઝે શાનદાર અને યાદગાર સદી ફટકારીહતી. જોકે, ગુરબાઝની વિસ્ફોટક ઈનિંગ ભારતીય ટીમની એક મોટી ભૂલના કારણે થઈ શકી હતી. જો કેપ્ટન શુભમન ગિલ અને સિનિયર ખેલાડી રોહિત શર્માએ સમજદારી બતાવી હોત, તો ગુરબાઝ ફક્ત 11 રનમાં આઉટ થઈ ગયો હોત.
ધર્મશાલામાં સતત ભારે વરસાદને કારણે મેચ લગભગ ચાર કલાક મોડી શરૂ થઈ. હવામાન અને સમયના નુકસાનને કારણે અમ્પાયરોએ મેચ ઘટાડીને 25-25 ઓવર કરી. ત્યારબાદ રહેમાનુલ્લાહ ગુરબાઝે ધમાકેદાર ઈનિંગ રમી. તેણે માત્ર 48 બોલમાં 100 રન પૂરા કર્યા અને અફઘાનિસ્તાન માટે સૌથી ઝડપી ODI સદીનો રેકોર્ડ પણ બનાવ્યો.
આ ભારત સામે બીજી સૌથી ઝડપી ODI સદી પણ છે. તે શાહિદ આફ્રિદી પછી ભારત સામે ODIમાં 50 થી ઓછા બોલમાં સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન પણ બન્યો. શાહિદ આફ્રિદીએ 2005માં 45 બોલમાં આ સિદ્ધિ મેળવી હતી. રહેમાનુલ્લાહ ગુરબાઝે 51 બોલમાં 102 રન બનાવ્યા, જેમાં 8 ચોગ્ગા અને 8 છગ્ગાનો સમાવેશ થાય છે. તેણે આ રન 200 ના સ્ટ્રાઈક રેટથી બનાવ્યા. જોકે, નીતિશ કુમાર રેડ્ડીએ શાનદાર યોર્કર ફેંકીને તેની ઈનિંગનો અંત લાવ્યો હતો.
Rahmanullah Gurbaz brings up the fastest century by an Afghanistan batter in ODI cricket ‼️ pic.twitter.com/2aoSua6ghJ
— ESPNcricinfo (@ESPNcricinfo) June 13, 2026
અફઘાનિસ્તાનની ઈનિંગની શરૂઆતમાં ભારતીય ટીમે મેચ પર નિયંત્રણ મેળવવાની સુવર્ણ તક ગુમાવી દીધી. આ ઘટના અફઘાનિસ્તાનની ઈનિંગની ત્રીજી ઓવર દરમિયાન બની હતી, જે ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે ફેંકી હતી. ઓવરના પાંચમા બોલ પર અર્શદીપે ગુરબાઝને ફસાવ્યો. બોલ તેના ડાબા પેડ પર વાગ્યો. ભારતીય ખેલાડીઓએ LBW માટે જોરદાર અપીલ કરી, પરંતુ અમ્પાયરે તેને નોટ આઉટ જાહેર કર્યો.
અમ્પાયરે નોટ આઉટ જાહેર કર્યા બાદ ભારતીય ટીમ મૂંઝવણમાં હતી. કેપ્ટન શુભમન ગિલ અને રોહિત શર્માને લાગ્યું કે બોલ બેટ સાથે અથડાઈને બેટિંગ પેડ પર વાગ્યું હતું, તેથી ટીમ ઈન્ડિયાએ DRS રિવ્યૂ ન લેવાનો નિર્ણય કર્યો. તે સમયે ગુરબાઝ માત્ર 11 રન બનાવીને રમી રહ્યો હતો. પરંતુ જ્યારે આ બોલનો રિપ્લે ટીવી સ્ક્રીન પર બતાવવામાં આવ્યો ત્યારે ભારતીય પ્રશંસકો અને ટીમ મેનેજમેન્ટ ચોંકી ગયા હતા.
રિપ્લેએ સ્પષ્ટપણે દર્શાવ્યું હતું કે બેટનો બોલ સાથે કોઈ સંપર્ક નહોતો અને બોલ સીધો જ મધ્યમ સ્ટમ્પના ઉપરના ભાગમાં અથડાતો હતો. એટલે કે જો ભારતે ત્યાં રિવ્યુ લીધો હોત તો અમ્પાયરે પોતાનો નિર્ણય બદલવો પડ્યો હોત અને ગુરબાઝ આઉટ થયો હોત. રહેમાનુલ્લા ગુરબાઝે આ બેદરકારીનો પૂરો ફાયદો ઉઠાવ્યો અને સદી ફટકારીને પેવેલિયન પરત ફર્યો.