Breaking News : અક્ષર પટેલને બહાર રાખવાનો નિર્ણય મોટી ભૂલ, T20 વર્લ્ડ કપ જીત્યા બાદ સૂર્યકુમાર યાદવનો મોટો ખુલાસો

T20 વર્લ્ડ કપ 2026 દરમિયાન ભારતના કેપ્ટન સૂર્યકુમાર યાદવે પ્લેઈંગ ઈલેવનને લઈને લેવાયેલા એક મહત્વપૂર્ણ નિર્ણય અંગે ખુલાસો કર્યો છે. સુપર-8 રાઉન્ડમાં દક્ષિણ આફ્રિકા સામેની મેચમાં અક્ષર પટેલને બહાર રાખવાનો નિર્ણય બાદમાં મોટી ભૂલ સાબિત થયો હોવાનું તેણે સ્વીકાર્યું અને મેચ પછી વ્યક્તિગત રીતે અક્ષર પટેલ પાસે માફી માંગી હોવાનું જણાવ્યું.

Breaking News : અક્ષર પટેલને બહાર રાખવાનો નિર્ણય મોટી ભૂલ, T20 વર્લ્ડ કપ જીત્યા બાદ સૂર્યકુમાર યાદવનો મોટો ખુલાસો
Suryakumar Yadav & Axar Patel
Image Credit source: X
| Updated on: Mar 12, 2026 | 5:44 PM

ભારતીય ટીમે T20 વર્લ્ડ કપ 2026માં શાનદાર પ્રદર્શન કરીને ખિતાબ જીત્યો હતો, પરંતુ ટુર્નામેન્ટ દરમિયાન કેટલાક નિર્ણયો ચર્ચાનો વિષય બન્યા હતા. તેમાં સૌથી વધુ ચર્ચામાં રહેલો નિર્ણય સુપર-8 તબક્કામાં લેવામાં આવેલો પ્લેઈંગ ઈલેવનનો ફેરફાર હતો. તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં સૂર્યકુમાર યાદવે આ મામલે ખુલીને વાત કરી હતી.

અક્ષર પટેલને કર્યો ડ્રોપ

સુપર-8 રાઉન્ડમાં ભારતનો મુકાબલો દક્ષિણ આફ્રિકા સામે થયો હતો. તે મેચમાં ટીમ મેનેજમેન્ટે અક્ષર પટેલને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર રાખીને વોશિંગ્ટન સુંદરને તક આપી હતી. ટીમ મેનેજમેન્ટે આ નિર્ણય વ્યૂહાત્મક કારણોસર લીધો હતો, પરંતુ મેદાન પર તેનો લાભ મળ્યો નહોતો અને ભારતને ટુર્નામેન્ટમાં એકમાત્ર હારનો સામનો કરવો પડ્યો.

સૂર્યાએ પોતાની ભૂલ સ્વીકારી

સૂર્યકુમાર યાદવે સ્વીકાર્યું કે આ નિર્ણયથી અક્ષર પટેલ ખૂબ જ નારાજ થયો હતો. તેના કહેવા મુજબ, અક્ષરનો ગુસ્સો સ્વાભાવિક હતો કારણ કે તે ટીમનો મહત્વનો ખેલાડી છે અને સતત સારું પ્રદર્શન કરતો આવ્યો છે. કેપ્ટને જણાવ્યું કે મેચ પૂર્ણ થયા પછી તેણે તરત જ અક્ષર સાથે વાત કરી અને પોતાની ભૂલ સ્વીકારી.

સૂર્યાએ બાપુની માફી માંગી

સૂર્યકુમારના જણાવ્યા પ્રમાણે, શરૂઆતમાં વાતચીત થોડી મુશ્કેલ રહી હતી. પરંતુ તેણે ખુલ્લા દિલથી પોતાની લાગણીઓ વ્યક્ત કરી અને અક્ષરને સમજાવ્યું કે નિર્ણય પાછળ કોઈ વ્યક્તિગત કારણ નહોતું. તેણે જણાવ્યું કે ટીમના હિતમાં નિર્ણય લેવાયો હતો, છતાં પરિણામને ધ્યાનમાં રાખીને તેણે અક્ષર પાસે માફી માંગવી જરૂરી માન્યું.

સૂર્યા-અક્ષર વચ્ચે થઈ ચર્ચા

આગલા દિવસે બંને ખેલાડીઓ વચ્ચે ફરી શાંતિપૂર્વક ચર્ચા થઈ હતી. તે સમયે અક્ષર પટેલે પરિસ્થિતિને સમજવાનો પ્રયાસ કર્યો અને બંને વચ્ચેનો મતભેદ દૂર થયો. સૂર્યકુમાર યાદવના મત મુજબ, આવી નિખાલસ વાતચીત ટીમના ડ્રેસિંગ રૂમમાં સકારાત્મક વાતાવરણ જાળવવામાં મદદરૂપ બને છે.

અક્ષર પટેલે શેર કરી પોતાની લાગણી

વર્લ્ડ કપ જીત્યા પછી અક્ષર પટેલે પણ પોતાની ખુશી સોશિયલ મીડિયા પર વ્યક્ત કરી હતી. તેણે લખ્યું હતું કે દરેક ક્રિકેટર માટે વર્લ્ડ કપ જીતવું બાળપણથી જ મોટું સ્વપ્ન હોય છે. આ જીત તેની માટે ખાસ બની કારણ કે તેના દીકરાએ પહેલીવાર સ્ટેડિયમમાં તેને રમતા જોયો હતો.

ભારતે ત્રીજી વખત T20 વર્લ્ડ કપ જીત્યો

ફાઇનલ મેચમાં ભારતે ન્યુઝીલેન્ડ સામે દમદાર પ્રદર્શન કર્યું હતું. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ભારતે પહેલા બેટિંગ કરીને 255 રનનો વિશાળ સ્કોર ઉભો કર્યો. ત્યારબાદ ન્યુઝીલેન્ડની ટીમ 159 રનમાં ઓલઆઉટ થઈ ગઈ અને ભારતે 96 રનથી ભવ્ય જીત મેળવીને ત્રીજી વખત T20 વર્લ્ડ કપનો ખિતાબ પોતાના નામે કર્યો.

Breaking News : આ ખેલાડીઓની ખુબસુરત પત્નીઓ મેચ પહેલા પસંદ કરતી હતી પાકિસ્તાનની પ્લેઈંગ 11, વીડિયો વાયરલ