Breaking News: શ્રીલંકમાં ક્રિકેટ કોચની હત્યા, ખેલાડીઓ સાથે થયો હતો ઝઘડો, એક ક્રિકેટરની ધરપકડ
15 ઓગસ્ટથી ભારત-શ્રીલંકા વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણી શરૂ થશે. જોકે પ્રથમ ટેસ્ટ મેચ પહેલા શ્રીલંકામાં એક કોચની હત્યા થઈ હતી. આ સમાચાર સામે આવતા ખડભડાટ મચી ગયો છે. જાણો કોણ છે આ કોચ અને કોણે કરી તેની હત્યા.

ભારત-શ્રીલંકા ટેસ્ટ શ્રેણી પહેલા શ્રીલંકામાં એક ક્રિકેટ કોચની હત્યા કરવામાં આવી હતી. કોલંબોમાં એક ક્રિકેટ ક્લબને કોચિંગ આપતા સુમિત ફર્નાન્ડોનું પોતાના જ ખેલાડીઓ સાથેના ઝઘડા બાદ હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. 62 વર્ષીય કોચે શ્રીલંકાના ODI કેપ્ટન કુસલ મેન્ડિસ સહિત અનેક ખેલાડીઓને કોચિંગ આપ્યું હતું.
શ્રીલંકામાં ક્રિકેટ કોચની હત્યા
મોરાટુવામાં પ્રિન્સ ઓફ વેલ્સ કોલેજના ભૂતપૂર્વ કોચ ફર્નાન્ડો 8 ઓગસ્ટના રોજ બ્લૂમફિલ્ડ ક્રિકેટ એન્ડ એથ્લેટિક ક્લબમાં હતા ત્યારે તેમની પાણી અંગે ખેલાડીઓ સાથે દલીલ થઈ હતી. ત્યારબાદ તેમની સાથે શાબ્દિક દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો અને તેમને કથિત રીતે માર મારવામાં આવ્યા હતા. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને બાદમાં તેમનું મૃત્યુ થયું હતું. ગુરુવારે કોચના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
આરોપી ક્રિકેટરની ધરપકડ
સોમવારે આ ઘટનાના સંદર્ભમાં પોલીસે 17 વર્ષીય ક્રિકેટરની ધરપકડ કરી હતી. 11 ઓગસ્ટના રોજ કોલંબો મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કર્યા પછી, છોકરાને 17 ઓગસ્ટ સુધી બાળ સંભાળ સેવા વિભાગની દેખરેખ હેઠળ રહેવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
આખી ઘટના શું હતી?
પોલીસ તપાસ અનુસાર, બ્લૂમફિલ્ડ ક્લબમાં તાલીમ લઈ રહેલા ક્રિકેટરોનું એક ગ્રુપ પાણી પીવા ગયું હતું, પરંતુ નળ બંધ હતો. ત્યારબાદ ખેલાડીઓ અને ક્લબના કોચ સુમિત ફર્નાન્ડો વચ્ચે દલીલ થઈ. પોલીસે જણાવ્યું હતું કે ઝઘડા દરમિયાન ફર્નાન્ડોએ કથિત રીતે એક ખેલાડી પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, જેના પછી 17 વર્ષીય ખેલાડીએ તેને માર માર્યો હતો. કોચનું હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું.
તપાસ હજુ પણ ચાલુ છે
કોચના મૃત્યુની તપાસ હજુ પણ ચાલુ છે. મેડિકલ રેકોર્ડ્સ દર્શાવે છે કે ફર્નાન્ડોને પહેલાથી જ હૃદયની બીમારી હતી. અધિકારીઓએ શબની તપાસનો આદેશ આપ્યો છે, અને રિપોર્ટ હજી આવવાના બાકી છે. 15 ઓગસ્ટથી ગાલેમાં શરૂ થનારી ભારત-શ્રીલંકા ટેસ્ટ મેચ પહેલા આ સમાચાર આઘાતજનક છે.
