Vadodara : જન આશીર્વાદ યાત્રાનો પ્રારંભ, અમે પ્રજાના પ્રશ્નો ઉકેલવા નીકળ્યા છીએ : મહેસુલ મંત્રી
રાજ્યના મહેસૂલ અને કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ વડોદરા શહેરના અટલાદરા મંદિર ખાતે ભગવાન સ્વામિનારાયણના દર્શન અર્ચન કરી વડોદરા જિલ્લામાં જન આશીર્વાદ યાત્રાનો પ્રારંભ કર્યો હતો.
વડોદરા જિલ્લામાં આજે મહેસુલ અને કાયદા મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીના વડપણ હેઠળ જન આશીર્વાદ યાત્રાનો પ્રારંભ થયો છે. મહેસુલ અને કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ અટલાદરા મંદિર ખાતે ભગવાન સ્વામિનારાયણના દર્શન કરી અને સંતોના આશીર્વાદ મેળવી વડોદરા શહેર જિલ્લામાં ભારતીય જનતા પક્ષની જન આશીર્વાદ યાત્રા શરૂ કરાવી હતી.
પોતાના પ્રશ્નો ઉકેલવા લોકોને ગાંધીનગર સુધી લાંબા ન થવું પડે એવી વ્યવસ્થા અમારો સંકલ્પ છે એવી લાગણી વ્યક્ત કરતાં મહેસુલ મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ જણાવ્યું કે,મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ભારતીય જનતા પક્ષના પ્રદેશ અઘ્યક્ષ સી.આર.પાટીલની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ ઉપાડ્યો છે.
કૂવો પ્યાસા પાસે જાય એવી આ યાત્રા છે એવી લાગણી વ્યક્ત કરતાં તેમણે જણાવ્યું કે આ યાત્રાનો આશય લોકો પાસે જવાનો,તેમના પ્રશ્નો જાણવાનો અને તેમના આશીર્વાદ મેળવવાનો છે. કાર્યકર્તાઓ સાથે તેમની મૂંઝવણો અને ઉચિત નિરાકરણનો પરામર્શ પણ કરવો છે.
મારી પાસે મહેસૂલ વિભાગ છે જેના ઘણાં પેચીદા પ્રશ્નો છે અને લાંબાગાળાથી પડતર છે.મારી પાસે સમય ઓછો છે,પણ ઉપલબ્ધ સમયમાં આ પ્રશ્નો સમજી,તેના મૂળ સુધી જઈ,યોગ્ય નિરાકરણ દ્વારા લોકોને લાભ આપવો છે.
દરેકને ઘર આંગણે,સમયસર અને સમુચિત ન્યાય મળે એટલે કે જસ્ટિસ એટ ડોર સ્ટેપની કલ્પના કાયદા વિભાગના માધ્યમથી સાકાર કરવાની નેમ વ્યક્ત કરતાં તેમણે જણાવ્યું કે,સરકારી વકીલોને લીધે કોઈ કેસ બિન જરૂરી લંબાય નહિ,લોકોને અદાલતના ધક્કા ખાવાના પડે,તારીખ પે તારીખની મજબૂરી છૂટે અને કેસોનો સમયસર નિકાલ થાય,લોકોને ન્યાય મળે તે માટે સરકારી વકીલો સાથે પરામર્શ કરીને ઉચિત વ્યવસ્થા સાકાર કરવાની મહેચ્છા પણ તેમણે વ્યકત કરી હતી.
રાજ્યના મહેસૂલ અને કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ વડોદરા શહેરના અટલાદરા મંદિર ખાતે ભગવાન સ્વામિનારાયણના દર્શન અર્ચન કરી વડોદરા જિલ્લામાં જન આશીર્વાદ યાત્રાનો પ્રારંભ કર્યો હતો. સંતોએ નિલકંઠવર્ણીનો અભિષેક કરવી જનકલ્યાણના કાર્યો કરવાના આશીર્વાદ આપ્યા હતા.
કોઠારી ભાગ્યસેતુ સ્વામી અને જ્ઞાનવત્સલ સ્વામીએ મંત્રી સહિતના મહાનુભાવોને જળાભિષેક કરાવ્યો હતો.જ્ઞાનવત્સલ સ્વામીએ મંત્રીને મંદિર અને સંસ્થાના કર્યો વિશે જાણકારી આપી હતી.
આ જન આશીર્વાદ યાત્રામાં ધારાસભ્ય અક્ષય પટેલ, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન અશ્વિનભાઈ વકીલ, જિલ્લા ભાજપ પ્રમુખ અશ્વિન પટેલ, પ્રભારી પરાક્રમસિંહ જાડેજા, યુવા મોરચાના હોદ્દેદારો- કાર્યકરો હાજર રહ્યા હતા.