દિલ્હીના LG ને અધિકારો આપતું બિલ રાજ્યસભામાંથી પસાર થતા કેજરીવાલનો આક્રંદ, કહી આ વાત
રાષ્ટ્રીય રાજધાની રાજ્યક્ષેત્ર શાસન (સંશોધક) બિલ 2021 (એનસીટી બિલ) ને રાજ્યસભાએ મંજૂરી આપી દીધી છે આ બાબતે આમ આદમી પાર્ટીએ વિરોધ કરતા આ દિવસને કાળો દિવસ ગણાવ્યો હતો.
રાજ્યસભાએ બુધવારે વિપક્ષના ભારે વિરોધ વચ્ચે રાષ્ટ્રીય રાજધાની રાજ્યક્ષેત્ર શાસન (સંશોધક) બિલ 2021 (એનસીટી બિલ) ને મંજૂરી આપી દીધી છે. જેમાં દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરની કેટલીક ભૂમિકા અને અધિકારો દર્શાવવામાં આવ્યા છે. આ બિલ પસાર થયા પછી, દિલ્હીના ઉપરાજ્યપાલને વધુ સત્તા મળશે. આ પહેલા 22 માર્ચે લોકસભામાં આ બિલ પસાર કરવામાં આવ્યું હતું. જ્યારે હવે તે રાષ્ટ્રપતિની સહી બાદ આ બિલ કાયદાનું સ્વરૂપ લેશે. આ કાયદો રજૂ થયા બાદ વિપક્ષે ગૃહમાં ભારે હોબાળો મચાવ્યો હતો.
લોકશાહી માટે બ્લેક ડે
રાજ્યસભામાંથી બિલ પસાર થયા બાદ આમ આદમી પાર્ટીએ તેને લોકશાહી માટે કાળો દિવસ ગણાવ્યો છે. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે “જીએનસીટીડી બિલ રાજ્યસભામાં પસાર થઇ ગયું. ભારતીય લોકશાહી માટે આ અંધકારમય દિવસ છે. અમે લોકોને સત્તા પાછી આપાવવા માટે અમે અમારો સંઘર્ષ ચાલુ રાખીશું. ગમે તે અવરોધો આવે, અમે સારા કામ કરવાનું ચાલુ રાખીશું. કામ ન તો અટકશે અને ન ધીમું થશે.
દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ ટ્વિટ કર્યું હતું કે “લોકશાહી માટે આજનો દિવસ કાળો દિવસ છે. દિલ્હીની જનતા દ્વારા ચૂંટાયેલી સરકારના અધિકારને છીનવી લઈને એલજીને સોંપી દીધા છે. વિડંબના જુઓ કે સંસદને લોકશાહીની હત્યા માટે સિલેક્ટ કરવામાં આવી, જે આપણા લોકશાહીનું મંદિર છે. દિલ્હીની પ્રજા આ તાનાશાહી સામે લડશે.”
તે જ સમયે, ઉપલા ગૃહમાં બિલ અંગેની ચર્ચાનો જવાબ આપતા ગૃહ રાજ્ય મંત્રી કિશન રેડ્ડીએ કહ્યું કે બંધારણ મુજબ, દિલ્હી મર્યાદિત સત્તાઓ ધરાવતો કેન્દ્ર શાસિત પ્રદેશ છે. સુપ્રીમ કોર્ટે પણ પોતાના ચુકાદામાં કહ્યું છે કે તે કેન્દ્રશાસિત પ્રદેશ છે. તમામ સુધારા કોર્ટના નિર્ણયને અનુરૂપ છે.
‘દિલ્હી સરકારના અધિકાર ઘટી રહ્યા નથી’
રેડ્ડીએ કહ્યું કે બંધારણની કલમ 239-એ હેઠળ રાષ્ટ્રપતિ દિલ્હી માટે લેફ્ટનન્ટ ગવર્નરની નિમણૂક કરે છે. તેમણે કહ્યું કે, જો કોઈ વિષય પર લેફ્ટનન્ટ ગવર્નર અને દિલ્હીની ચૂંટાયેલી સરકાર વચ્ચે મતભેદ હોય તો લેફ્ટનન્ટ ગવર્નર તે અંગે રાષ્ટ્રપતિને જાણ કરે છે. તેમણે કહ્યું કે તેઓ દિલ્હીની જનતાને વિશ્વાસ અપાવવા માંગે છે કે દિલ્હી સરકારની કોઈ સત્તા કાપવામાં આવી નથી. તેમજ દિલ્હી વિધાનસભામાં ધારાસભ્યોને મર્યાદિત અધિકાર છે.
‘ગૃહમાં એનસીટી બિલને મંજૂરી મળી’
મંત્રીના જવાબ બાદ ગૃહ દ્વારા રાષ્ટ્રીય કેપિટલ ટેરિટરી ગવર્નન્સ (સંશોધન) બિલ 2021 (એનસીટી બિલ) ને અવાજ દ્વારા મંજૂરી આપવામાં આવી. આ દરમિયાન, કોંગ્રેસ, બીજેડી, એસપી, વાયએસઆર સહિતના અનેક વિપક્ષી પાર્ટીઓના સભ્યો ગૃહમાંથી બહાર નીકળી ગયા હતા. વિપક્ષી નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે તેઓ સરકારના બિલ અંગેના જવાબથી સંતુષ્ટ નથી, તેથી તેમનો પક્ષ ગૃહથી બહિર્ગમન કરી રહ્યું છે. ગૃહ રાજ્ય પ્રધાને કહ્યું કે, દિલ્હી વિધાનસભા જન વ્યવસ્થા, પોલીસ અને જમીન સિવાયની રાજ્ય અને સમવર્તી સૂચી પર કાયદો બનાવી શકે છે.
રાજ્યસભામાં ગૃહ રાજ્ય પ્રધાને બીજું શું કહ્યું?
ગૃહ રાજ્ય પ્રધાને વધુમાં કહ્યું કે, “બંધારણ હેઠળ દિલ્હી સરકાર પાસે જે જે અધિકાર છે, નરેન્દ્ર મોદી સરકાર તેમાંથી એક પણ અધિકાર નથી લઈ રહી.” રેડ્ડીએ કહ્યું કે આ સુધારાનો હેતુ મૂળભૂત રીતે અસ્પષ્ટતાને દૂર કરવાનો છે. જેથી કાયદાને વિવિધ અદાલતોમાં પડકારવામાં ન આવે. તેમણે સુપ્રીમ કોર્ટના 2018 ના આદેશને ટાંકીને કહ્યું કે લેફ્ટનન્ટ ગવર્નરને તમામ નિર્ણયો, દરખાસ્તો અને એજન્ડાની જાણકારી આપવી પડશે. લેફ્ટનન્ટ ગવર્નર અને મંત્રીઓની પરિષદ વચ્ચે કોઈ બાબતે મતભેદ હોય તો લેફ્ટનન્ટ ગવર્નર એ બાબતને રાષ્ટ્રપતિને મોકલી શકે છે.