ખેડૂતોને પાક ધિરાણની રકમ ચૂકવવામાં રાહત આપતો ગુજરાત સરકારનો નિર્ણય
કોરોનાના કપરાકાળને ધ્યાને લઈને પાક ધિરાણ ( crop loan ) ભરપાઈ કરવાની મુદત વધારીને 30 જૂન સુધી લંબાવવામાં આવી છે.
ગુજરાતમાં કોરોનાકાળમાં ખેડૂતોને રાહત આપતો નિર્ણય ગુજરાત સરકારે કર્યો છે. રાજ્યના ખેડૂતોને પાક ધિરાણની ( crop loan )રકમ ચૂકવવામાં રાહત આપવા ગુજરાત સરકારે નિર્ણય કર્યો છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ખેડૂતલક્ષી નિર્ણયની જાહેરાત કરતા કહ્યુ છે કે, ખેડૂતોએ સહકારી મંડળીઓ સંસ્થામાંથી મેળવેલા પાક ધિરાણ ભરપાઈ કરવાની મુદત વધારીને 30 જૂન સુધી લંબાવવામાં આવી છે. રાજ્યના સહકારી ધિરાણ માળખા હેઠળના ખેડૂતો માટે રાજ્ય સરકારના 4 ટકા તેમજ કેન્દ્ર સરકારના 3 ટકા મળી કુલ 7 ટકા વ્યાજ રાહતની રકમ ગુજરાત સરકાર ચૂકવશે.
ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વધુમાં જણાવ્યુ કે, ગુજરાતના ખેડૂતોને સાત ટકા વ્યાજ ધિરાણની મદદ કરવાને કારણે, ગુજરાત સરકાર ઉપર વધારાનો 16.30 કરોડનો બોજો આવશે. પરંતુ કોરોનાના આવા કપરાકાળમાં ખેડૂતોને મદદ કરવાનો સંતોષ રાજ્ય સરકારને છે.
આ પહેલા ગુજરાત સરકારે, કોરોનાકાળમાં ગુજરાતની જનતાને સારી અને ઝડપી સારવાર મળી રહે તે હેતુથી, વિદેશથી આયાત થતી, આરોગ્યલક્ષી સાધન સામગ્રી ઉપર વસુલાતા આઈજીએસટી વેરો રાજ્ય સરકારે ભોગવવાનો નિર્ણય કર્યો હતો.
ગુજરાત સરકારના આ નિર્ણયને કારણે, સ્વૈચ્છિક સામાજીક સંગઠનો, કોપોરેટ કંપની કે વ્યક્તિ દ્વારા મેડિકલ ઑક્સીજન, ઑક્સિજન સિલીન્ડર, ઑક્સીજન પ્લાન્ટ, ઑક્સિજન ફિલીંગ સિસ્ટમ, ઑક્સિજન સ્ટોરેજ ટેન્ક, ઑક્સિજન જનરેટર, ક્રાયોજેનિક રોડ ટ્રાન્સપોર્ટ ટેન્ક વગેરે અને આ સાધનો બનાવવામાં વપરાતા પાર્ટ્સ, વેન્ટીલેટર્સ, વેક્સીન, રેમડેસીવીર ઈન્જેક્શન અને તે બનાવવામાં વપરાતી સામગ્રી વગેરે વિદેશથી આયાત કરવામાં વસૂલતો વેરો ગુજરાત સરકારે ભોગવવાનું નક્કી કર્યું છે.