નવજોતસિંહ સિદ્ધુને લઈને કેપ્ટન અમરિન્દરસિંહે સોનિયા ગાંધીને લખ્યો પત્ર, પ્રદેશ પ્રમુખ બનાવવા સામે વ્યક્ત કરી નારાજગી
કેપ્ટન અમરિંદરસિહે, સોનિયા ગાંધીને આ પત્ર એવા સમયે લખ્યો છે, જ્યારે કોંગ્રેસના હાઈકમાન્ડ નવજોતસિંહ સિદ્ધુને પંજાબ કોંગ્રેસની કમાન આપવાનો નિર્ણય કર્યો છે.
પંજાબ કોંગ્રેસના પ્રમુખપદે નવજોતસિંહ સિધ્ધુની વરણી કરવા સામે, પંજાબના મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિન્દરસિહે નારાજગી વ્યકત કરીને કોગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર લખ્યો છે. કોંગ્રેસના સૂત્રોને ટાંકીને મીડિયા રિપોર્ટમાં જણાવ્યુ છે કે, સિધ્ધુને પંજાબ કોંગ્રેસની કમાન સોપવા સામે કેપ્ટનને વાંધો છે. કેપ્ટનનું કહેવુ છે કે, કોંગ્રેસના અન્ય વરિષ્ઠ નેતાઓની અવગણના કરવી કોંગ્રેસને ભારે પડી શકે છે. વિધાનસભાની ચૂંટણીમાં વરિષ્ઠોની નારાજગીને લઈને નુકસાન સહન કરવાનો વારો આવી શકે છે.
કેપ્ટન અમરિંદરસિહે, સોનિયા ગાંધીને આ પત્ર એવા સમયે લખ્યો છે, જ્યારે કોંગ્રેસના હાઈકમાન્ડ નવજોતસિંહ સિદ્ધુને પંજાબ કોંગ્રેસની કમાન આપવાનો નિર્ણય કર્યો છે. પંજાબના પૂર્વ રાજ્યકક્ષાના પ્રધાન નવજોતસિંહ સિદ્ધુ શુક્રવારે, કોંગ્રેસ ના રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધીને મળ્યા હતા. આ બેઠકમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પંજાબ કોગ્રેસના પ્રભારી હરીશ રાવત પણ ઉપસ્થિત રહ્યા હતા.
બેઠક બાદ રાવતે કહ્યું કે સોનિયા ગાંધીએ હજી સુધી પંજાબના પ્રદેશ પ્રમુખપદે નિમણૂક કરવાનો કોઈ અંતિમ નિર્ણય લીધો નથી. જ્યારે નિર્ણય લેવામાં આવશે ત્યારે મીડિયાને જાણ કરશે. સૂત્રો કહે છે કે હરીશ રાવત હવે પંજાબના મુખ્ય પ્રધાન અમરિંદર સિંહને મળીને બન્ને વચ્ચે સમાધાન થાય તેવી ભૂમિકાને અંતિમ સ્વરૂપ આપશે.
અત્રે ઉલ્લેખ કરવો જરૂરી છે કે છેલ્લા કેટલાક સમયથી પંજાબ કોંગ્રેસમાં ખુલ્લેઆમ મતભેદ જોવા મળી રહ્યા છે. પૂર્વ પ્રધાન નવજોતસિંહ સિદ્ધુ અને અન્ય કેટલાક નેતા અને આગેવાનોઓએ મુખ્ય પ્રધાન અમરિંદર સિંહ સામે મોરચો ખોલ્યો છે. જ્યારે કેપ્ટન અમરિંદર સિંહે સ્પષ્ટ કહ્યું છે કે, વિધાનસભાની આગામી ચૂંટણી તેમના નેતૃત્વ હેઠળ લડવામાં આવશે. મુખ્યપ્રધાન ઇચ્છતા નથી કે નવજોતસિંહ સિદ્ધુ જાહેર સમારંભમાં તેમની બાજુમાં બેસે. તેઓ સિદ્ધુને પંજાબ કોંગ્રેસનુ અધ્યક્ષપદ કે ચૂંટણી પ્રચાર સમિતિના પદાધિકારી પણ બનાવવાની તરફેણમાં નથી.
પંજાબ કોંગ્રેસ પક્ષમાં થયેલી તકરારના સમાધાન માટે કોંગ્રેસ હાઈકમાન્ડે રાજ્યસભાના વિપક્ષી નેતા મલ્લિકાર્જુન ખડ્ગેની અધ્યક્ષતામાં ત્રણ સભ્યોની સમિતિની રચના કરી હતી. આ સમિતિએ મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિંદર સિંહ સહિત પંજાબ કોંગ્રેસના 100 થી વધુ નેતાઓનો અભિપ્રાય લીધો હતો. ત્યારબાદ તેનો અહેવાલ હાઇકમાન્ડને સુપરત કર્યો. તાજેતરમાં જ અમરિંદરસિંહે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી. નવજોતસિંહ સિદ્ધુએ કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે પણ મુલાકાત કરી હતી.