ગુજરાતમાં ભાજપ પોતાના જ સાંસદો પર કરાવી રહી છે 10 એજન્સીઓ પાસેથી સર્વે, જાણવા માગે છે જનમાનસનું મન, રીપોર્ટના આધારે મળશે સાંસદોને ટિકિટ
ભાજપે રાજ્યમાં લોકસભા ચૂંટણી માટે ધમાકેદાર પ્રચારની શરુઆત તો કરી છે પણ સાથે હવે ઉમેદવારોની પસંદગી માટેની કવાયત પણ શરુ કરી દેવાઇ છે. આવા સમયે પાર્ટી હાઇ કમાન્ડ આ વખતે ઓછામાં ઓછી દસ વિવિધ એજન્સીઓ પાસેથી સર્વે કરાવી રહ્યાં હોવાનું સામે આવ્યું છે. જેમાં સરકારી સ્તરે IBને જવાબદારી સોંપાઇ છે. તેમાં નમો એપનો તો ઉપયોગ […]
ભાજપે રાજ્યમાં લોકસભા ચૂંટણી માટે ધમાકેદાર પ્રચારની શરુઆત તો કરી છે પણ સાથે હવે ઉમેદવારોની પસંદગી માટેની કવાયત પણ શરુ કરી દેવાઇ છે. આવા સમયે પાર્ટી હાઇ કમાન્ડ આ વખતે ઓછામાં ઓછી દસ વિવિધ એજન્સીઓ પાસેથી સર્વે કરાવી રહ્યાં હોવાનું સામે આવ્યું છે.
જેમાં સરકારી સ્તરે IBને જવાબદારી સોંપાઇ છે. તેમાં નમો એપનો તો ઉપયોગ કરાશે, પણ રિક્ષાચાલક અને ટેક્સીચાલકોનો પણ આ સર્વેમાં ઉપયોગ કરાયો છે.
સૂત્રોનું માનીએ તો આ વખતે ગુજરાતમાં ઓછામાં ઓછા 26 સીટીંગ સાંસદ પૈકી પાર્ટી 2019 માટે 50થી 60 ટકાથી વધુ સાંસદોની ટીકીટ કાપી શકે છે, તો કોગ્રેસમાંથી આવેલાને પણ પાર્ટી ઉમેદવાર બનાવી શકે છે. એટલે જીત એકમાત્ર ધારાધોરણ રહેશે ટીકીટ મેળવવા માટે, હાલ તેવું લાગી રહ્યું છે.
ગુજરાતમાં ભાજપ લોકસભા ચૂંટણી દરમિયાન ફરીથી 26 સીટ જીતવા માટે કવાયત કરી રહી છે. વાત જ્યારે લોકસભાના ઉમેદવારોની હોય તો પાર્ટી સીધી રીતે આ વખતે કોઇ જોખમ લેવા માગતી નથી. ભાજપ આ વખતે માત્ર જીત જ નહીં, પણ રેકોર્ડબ્રેક જીત નોધાવવા માગે છે. ત્યારે આ વખતે ભારતીય જનતા પાર્ટી બુથ સ્તર સુધી એવો માહોલ બનાવવા માગે છે જેનાથી કોઇને મનદુ:ખ ન થાય. અને કોઇ સ્થાનિક નેતા નિષ્ક્રિય ન થાય.
પણ જ્યારે બીજેપીના 26 સીટીંગ સાંસદ છે તો શું પાર્ટી ફરી બધાને રિપીટ કરશે કે કોઇ નવાને તક આપશે. ત્યારે જાણવા મળ્યું કે પાર્ટીએ દસ વિવિધ પ્રકારના સર્વેની કામગીરી શરુ કરી છે અને સાથે નવા કોઇ ઉમેદવાર છે જે જીતી શકે તેને લઇને પણ નામો મગાવવાની શરુઆત કરી દીધી છે. આ દસ સર્વેના રિપોર્ટ અને નવા નામો પર પણ હાઇ કમાન્ડ ચર્ચા કરશે. સંભવિત નવા ઉમેદવારોને આ સર્વે પ્રમાણે લોટરી પણ લાગી શકે છે.
કોના દ્વારા કરાઇ રહ્યાં છે સર્વે?
સ્ટેટ ઇન્ટેલિજન્સ બ્યુરોના પોલિટિકલ વિંગના કર્મચારીઓ અને અધિકારીઓ સ્થાનિક કક્ષાએ ઉમેદવારોને લઇને યાદી બનાવી રહ્યાં છે. તેમના બેકગ્રાઉન્ડ અને જીતની સંભાવનાની પણ ટૂંકી નોંધ તૈયાર કરી રહ્યાં છે.
રિક્ષાચાલકો અને ટેક્સીચાલકો પાસે પણ સમાન્ય ગ્રાહકો બનીને કંપનીઓના કર્મચારીઓ લોકોના અભિપ્રાય લઈ રહ્યાં છે. જેમાં હાલના સાંસદનું કામ, તેમનો જનસપંર્ક વગેરેની માહિતી લેવાઇ રહી છે, રિપોર્ટ તૈયાર કરાઇ રહ્યો છે.
સ્થાનિક પોલીસ સ્ટેશનો મારફતે જેતે સાંસદોના વ્યવહાર અને લોકો વચ્ચેની લોકપ્રિયતા અંગે માહિતી લેવાઈ રહી છે.
ગ્રામ્ય સ્તરે તલાટીઓ પાસે પણ હાલના સાંસદો અને નવા નામો અંગે નામાવલી ફોન નંબરના લિસ્ટ સાથે મગાવવામાં આવી રહ્યાં છે.
બીજેપી સંગઠનમાં બુથ સ્તરે હાલના સાસંદોની સક્રિયતા અને નવા નામો અંગે પણ મતવ્યો લેવાઇ રહ્યા છે.
RSSના વિવિધ પ્રકલ્પો જેમ કે કિસાન સંઘ, દુર્ગા વાહિની, ભારતીય મજૂર સંઘ જેવી સંસ્થાઓ પાસે પણ સર્વે કરવાઈ રહ્યાં છે.
નમો એપના માધ્યમથી પણ કેવા સાસંદો જોઇએ તેને લઇને માહિતીઓ એકત્ર કરાઇ રહી છે.
તે સિવાય બે એજન્સીઓ, ખાનગી એજન્સીઓ રાજ્ય સ્તરે અને ઉમેદવારોને શોર્ટલિસ્ટ કરવા એક એજન્સી કેન્દ્રિય સ્તરે કામ કરી રહી છે જે ઉમેદવારનો ફાઇનલ રિપોર્ટ મોવડી મંડળ સુધી પહોંચાડશે.
હાલની પરિસ્થિતિ જોતાં અને સૂત્રો જે કહી રહ્યાં છે તે પ્રમાણે રાજ્યમાં 50થી 60 ટકા સીટીંગ સાંસદોની ટીકીટ કપાઇ શકે છે.
કોનું પત્તું કપાઈ શકે છે લોકસભા 2019ની ચૂંટણીની ટિકિટમાં?
હાલ અનેક સાસંદો છે જેમના વિરુધ્ધ વિવિધ પ્રકારની ફરિયાદો છે. તો પાર્ટી પણ તેમને વિવિધ સમિકરણોના કારણે બદલી શકે છે. આ યાદીમાં અમદાવાદ પૂર્વ લોકસભાના સાંસદ પરેશ રાવલ, મહેસાણાના જયશ્રીબેન પટેલ, એલ.કે.આડવાણી, લીલાધર વાધેલા, દીપસિહ ચૌહાણ, હરિભાઇ ચૌધરી, વિનોદ ચાવડા, ભારતીબેન શિયાળ, નારાણ કાછડીયા, દેવજી ફતેપરા, વિઠ્ઠલ રાદડીયા, મનસુખ વસાવા, દર્શના જરદોશ અને કેસી પટેલ જેવા સિટિંગ સાંસદોની ટીકીટ કપાઇ શકે છે. તેમના સ્થાને પાર્ટી નવા ઉમેદવારોને ટીકીટ આપવાનું વિચાર કરી શકે છે.
બીજેપી માટે આ વખતે માત્ર જીતાઉ ઉમેદવારને જ તક આપે તેવી પ્રબળ સંભાવના
આમ તો બીજેપી માટે ગુજરાતમાં આ વખતે પુનઃ 26 સીટો જીતવી એ પ્રતિષ્ઠાનો સવાલ છે. ત્યારે પાર્ટીએ કોંગ્રેસની જેમ કોઇ ચોક્કસ ધારાધોરણ નથી બનાવ્યા. ગુજરાતમાં ભાજપને જરુર લાગશે તો તે સ્થાનિક ચારથી વધુ ધારાસભ્યોને તક આપી શકે છે તો રાજ્યસભાના એ કે બે સાંસદોને લોકસભા ટીકીટ આપી શકે છે. સાથે કોંગ્રેસમાંથી હજુ પણ કેટલાક ધારાસભ્યો તોડવાની પાર્ટી રણનિતિ બનાવી રહી છે. ત્યારે તે પૈકી પણ કેટલાકને પાર્ટી લોકસભાના ઉમેદવાર બનાવી શકે છે. ત્યારે પાર્ટીના સિનિયર નેતાઓ જરુરથી કહે છે કે માત્ર જે ઉમેદવાર જીતશે અથવા જીતી શકે તેવા છે તેમને ટીકીટ આપવાની એક માત્ર ક્રાઇટેરિયા છે.
આ અંગે ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીનું કહેવું છે,
“ભાજપમાં કોને ટીકીટ મળશે, કોને નહીં, તેના માટે પાર્ટીમાં સેન્ટ્રલ પાર્લામેન્ટરી બોર્ડની વ્યવસ્થા છે. અને આખરી નામો નક્કી કરવાનો તેમને જ અધિકાર છે. પ્રાદેશિક પાર્લામેન્ટરી બોર્ડ માત્ર નામોની યાદી મોકલી શકે છે. નિરીક્ષકો જલ્દી જ વિસ્તારોમાં જશે. પણ 26 સીટ બીજેપી જ જીતશે તેવો અમને વિશ્વાસ છે.”
આમ, અહીં બીજેપી એક પણ સીટમાં કોઇ બૂથમાં પાર્ટી વોટ્સમાં કોઈ ઉણપ ન રહે તેવી તૈયારી તો કરી રહી છે, પણ સાથે એ પણ મહત્ત્વનું છે કે આ વખતે ચૂંટણી માત્ર પાર્ટીના દમ પર નહીં પણ સાથે ઉમેદવારોના દમની પણ એટલી જ જરૂર પડશે. ઉમેદવારોથી સ્થાનિક કાર્યકર્તા કે કોઇ સમાજીક સગંઠન નારાજ રહેશે તો પાર્ટીની રેકોર્ડબ્રેક માર્જીનથી જીતની રણનીતિને ફટકો પડી શકે છે. બીજેપી આવો કોઇ પણ ખૂણો છોડવા માગતી નથી જેનાથી તેને નુકશાન થઇ શકે. તે પછી પ્રચારની રણનિતિ હોય કે ઉમેદવાર પસંદગીની રણનિતિ.
[yop_poll id=1371]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]