ભરૂચમાં કોંગ્રેસના આગેવાનોનું કહેવું છે કે એક તરફ ભરૂચમાં બિસ્માર રસ્તાની સમસ્યા છે તો સામે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ધૂળ ખાઈ રહી છે. ભરૂચ નગરપાલિકાએ રૂપિયા 12 કરોડ ઉપરાંતની ગ્રાન્ટ ત્રણ મહિના ઉપરાંતથી ઉપયોગ વગર મૂકી રાખી ભરૂચવાસીઓને પ્રાથમિક સુવિધાઓથી વંચિત રાખ્યા છે. વિપક્ષે આક્ષેપ કરી 10 દિવસમાં ગ્રાન્ટનો ઉપયોગ ન કરાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. વિપક્ષના આક્ષેપને શાસકોએ ચૂંટણીલક્ષી અને અધૂરી માહિતીનું પરિણામ ગણાવ્યું હતું.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
ભરૂચવાસીઓને પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ થાય અને સમસ્યાઓનો અંત આવે તે માટે સરકાર દ્વારા ફાળવાયેલી ગ્રાન્ટ યેનકેન પ્રકારે ન ઉપયોગ કરી ભરૂચવાસીઓની સમસ્યામાં વધારો કર્યો હોવાનો વિપક્ષ આક્ષેપ કરી રહ્યું છે. પૈસા હોવા છતાં રસ્તાના સમારકામ સહિતની બાબતોમાં લાચારી વ્યક્ત કરનાર પાલિકા 10 દિવસમાં ગ્રાન્ટનો ઉપયોગ ન કરે તો આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. વિપક્ષના નેતા સમસાદઅલી સૈયદ જણાવી રહ્યા છે કે તહેવારો આવી રહ્યા છે, ત્યારે અમારી ચેતવણી છે કે નવા કામ મુકવામાં આવે અન્યથા આંદોલન કરવાની ફરજ પડશે.
પાલિકા પ્રમુખે આક્ષેપ ચૂંટણીલક્ષી ગણાવ્યા હતા. ગ્રાન્ટ મામલે પાલિકા પ્રમુખ પાસે જવાબ માંગવા પહોંચેલા કોંગી કાર્યકરો અધૂરી માહિતી સાથે આવ્યા હોવાનો પ્રમુખે આક્ષેપ કર્યો હતો. ભરૂચ નગરપાલિકાના પ્રમુખ સુરભીબેન તમાકુવાળા જણાવી રહ્યા છે કે આક્ષેપો ચૂંટણીલક્ષી છે. આક્ષેપ કરનારા નેતાઓ પાસે અધૂરી માહિતી છે. સ્વર્ણિમ ગ્રાન્ટ 5 વર્ષ માટે વાર્ષિક હપ્તામાં આવે છે તો આખી ગ્રાન્ટની રકમ મળ્યું હોવાનું સ્વીકારી નથી વપરાઈ તેવા આક્ષેપ હાસ્યાસ્પદ છે, આવી જ અધૂરી માહિતી અન્ય ગ્રાન્ટમાં પણ છે.
વિવાદિત બનેલા ગ્રાન્ટના મામલામાં કોંગ્રેસે રજૂ કરેલ આંકડાઓ
સ્વર્ણિમ ગુજરાત ગ્રાન્ટ – 5 કરોડ રૂપિયા
૧૫માં નાણાં પંચની ગ્રાન્ટ – 6 કરોડ રૂપિયા
રોડ રીપેરીંગની ગ્રાન્ટ – 1.20 કરોડ રૂપિયા
કુલ – 12.20 કરોડ રૂપિયા
સ્થાનિક સ્વરાજની ચૂંટણી ભલે પાછી ઠેલાઈ હોય પણ ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. એકબીજાને ઘેરવા અને પ્રજાના હમદર્દ બનવા નેતાઓએ ધમપછાડા શરુ કર્યા છે. ત્યારે ગ્રાન્ટના વિવાદ નિવેદન સુધી સીમિત રહે છે કે આંદોલન છેડાય છે તે જોવું રહ્યું.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો