
2026નો T20 વર્લ્ડ કપ નજીક આવી રહ્યો છે. જ્યાં દરેકનું ધ્યાન ફરી એકવાર વિસ્ફોટક બેટિંગ અને મોટા સ્કોર પર કેન્દ્રિત થશે. દરેક ખેલાડીના ચોગ્ગા અને છગ્ગા સાથે રનના વરસાદ પર ભારે ચર્ચા થશે. પરંતુ તે ફક્ત છગ્ગા અને ચોગ્ગા જ નહીં, પરંતુ ઘણા ખેલાડીઓ ખાતું ખોલ્યા વિના પણ આઉટ થશે, જેમ કે હંમેશા થતું રહ્યું છે.

કેટલાક ખેલાડીઓ ઘણી વખત શૂન્ય પર આઉટ થયા છે. જો આપણે T20 વર્લ્ડ કપમાં સૌથી વધુવાર શૂન્ય રને આઉટ થવાની વાત કરીએ, તો પાકિસ્તાનના આક્રમક બેટ્સમેન શાહિદ આફ્રિદી આ ક્રમમાં સૌથી આગળ છે. તે T20 વર્લ્ડ કપની 32 ઇનિંગ્સમાં પાંચ વખત ખાતું ખોલ્યા વિના જ આઉટ થઈને પેવેલિયન પરત ફર્યો હતો.

શૂન્ય રને આઉટ થવાની યાદીમાં બીજા ક્રમાકે શ્રીલંકાના ભૂતપૂર્વ સ્ટાર ઓપનર તિલકરત્ને દિલશાન છે. આ વિસ્ફોટક જમણા હાથના બેટ્સમેન T20 વર્લ્ડ કપમાં 34 ઇનિંગ્સમાં બેટિંગ કરી ચૂક્યા છે, પરંતુ પાંચ વખત ખાતું ખોલવામાં નિષ્ફળ રહ્યા છે.

શૂન્ય રને આઉટ થવામાં ત્રીજા ક્રમાંકે, ફક્ત એક કે બે નહીં, પરંતુ 10 ખેલાડીઓનો સમાવેશ થાય છે. જેઓ ચાર-ચાર વખત શૂન્ય રને આઉટ થયા હતા. આમાં શ્રીલંકાના દિગ્ગજ ખેલાડી સનથ જયસૂર્યા અને વેસ્ટ ઈન્ડિઝના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર આન્દ્રે રસેલ જેવા બેટ્સમેનનો પણ સમાવેશ થાય છે.

ભારતની વાત કરીએ તો, T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ વખત શૂન્ય રને આઉટ થનારા ભારતીય ખેલાડીમાં બોલર આશિષ નેહરા છે. જે ત્રણ વખત શૂન્ય રને આઉટ થયો હતો. તેમના ઉપરાંત, ક્વિન્ટન ડી કોક, શાકિબ અલ હસન અને પથુમ નિસાન્કા જેવા ઘણા ખેલાડીઓ પણ ત્રણ-ત્રણ વખત શૂન્ય રને આઉટ થયેલા છે.