
આજે ભારત અને ઈરાનના સંબંધો ગમે તેટલા મજબૂત ગણાવવામાં આવે પરંતુ ભૂતકાળમાં ઈરાન પાકિસ્તાનનું ખુલ્લું સમર્થક હતું અને અમેરિકાના ઈશારે પડદા પાછળથી હથિયારો, વિમાનો, દારૂગોળો અને ઈંધણનો પુરવઠો પૂરો પાડતું હતું.

વર્ષ 1965નું યુદ્ધ: પાકિસ્તાનને પશ્ચિમી દેશો પાસેથી હથિયારો મેળવવામાં મુશ્કેલી પડી રહી હતી, ત્યારે ઈરાને 'પર્ચેઝિંગ એજન્ટ' (ખરીદનાર એજન્ટ) તરીકેની ભૂમિકા ભજવી હતી. ઈરાને પશ્ચિમ જર્મની પાસેથી એફ-86 (F-86) લડાયક વિમાનો ખરીદીને પાકિસ્તાનને આપ્યા હતા. સત્તાવાર કાગળો પર આ હથિયારો ખરીદનાર દેશ ઈરાન હતો, જેથી પશ્ચિમી દેશો પ્રતિબંધના ઉલ્લંઘનનો આરોપ ન લગાવી શકે.

વર્ષ 1971નું યુદ્ધ: પાકિસ્તાને બાંગ્લાદેશમાં સંઘર્ષ દરમિયાન તાત્કાલિક મદદની અપીલ કરી હતી. અમેરિકાના ઈશારે ઈરાને પાકિસ્તાનને લગભગ એક ડઝન હેલિકોપ્ટર ઉધાર આપ્યા હતા અને દારૂગોળો તથા સ્પેરપાર્ટ્સનો પુરવઠો પૂરો પાડ્યો હતો. વર્ષ 1971 ના યુદ્ધ દરમિયાન, જ્યારે પૂર્વી પાકિસ્તાનમાં (હાલનું બાંગ્લાદેશ) સંઘર્ષ ચરમસીમાએ હતું, ત્યારે અમેરિકા અને ઈરાન વચ્ચે એક અત્યંત ગુપ્ત વ્યૂહાત્મક સમજૂતી થઈ હતી. અમેરિકી રાષ્ટ્રપતિ રિચાર્ડ નિક્સન અને તેમના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર હેનરી કિસિંજર ભારતની વધતી શક્તિને ડામવા માંગતા હતા. પાકિસ્તાનના તત્કાલીન રાષ્ટ્રપતિ યાહ્યા ખાને જ્યારે તાત્કાલિક સૈન્ય મદદની અપીલ કરી, ત્યારે અમેરિકાએ સીધું જોડાવાને બદલે ઈરાનનો મોહરા તરીકે ઉપયોગ કર્યો.

4 ડિસેમ્બર 1971 ના રોજ અમેરિકી રાષ્ટ્રપતિ નિક્સન અને હેનરી કિસિંજર વચ્ચે થયેલી વાતચીતમાં નક્કી કરાયું કે, ઈરાન દ્વારા પાકિસ્તાનને સૈન્ય મદદ પહોંચાડવામાં આવે જેથી અમેરિકા સીધું જોડાયેલું ન દેખાય.

ઈરાન દ્વારા પાકિસ્તાનને કરવામાં આવેલી આ અવિરત મદદ માત્ર વ્યક્તિગત નહોતી પરંતુ એક સંસ્થાકીય જોડાણનું પરિણામ હતી. વર્ષ 1955 માં રચાયેલું 'સેન્ટો' (CENTO - Central Treaty Organization) સંગઠન, જેમાં ઈરાન, પાકિસ્તાન અને તુર્કી જોડાયેલા હતા, તે મદદનું મુખ્ય કારણ હતું. પશ્ચિમી દેશોના સમર્થનવાળા આ સંગઠને એ સાબિત કર્યું કે, યુદ્ધના સમયે સાંસ્કૃતિક સંબંધો કરતા સંસ્થાકીય અને વ્યૂહાત્મક ગઠબંધન વધુ મજબૂત સાબિત થાય છે.

જો કે, આટલી મોટી બાહ્ય મદદ અને આંતરરાષ્ટ્રીય ષડયંત્રો છતાં ભારતની મક્કમ સૈન્ય વ્યૂહરચના અને મનોબળ સામે આ ગઠબંધન નિષ્ફળ રહ્યું. વર્ષ 1971 માં પાકિસ્તાનનો શરમજનક પરાજય થયો અને છેવટે બાંગ્લાદેશનું નિર્માણ થયું.

ઈતિહાસનો સૌથી નિર્ણાયક વળાંક વર્ષ 1979 માં આવ્યો જ્યારે ઈરાનમાં 'ઈસ્લામી ક્રાંતિ' થઈ. આ ઘટનાએ પ્રો-વેસ્ટર્ન (પશ્ચિમતરફી) શાહના શાસનનો અંત આણ્યો અને ઈરાન-અમેરિકાના સંબંધો જે ક્યારેક ગાઢ હતા, તે કાયમી દુશ્મનાવટમાં ફેરવાઈ ગયા.

આ ક્રાંતિએ ભારત-પાકિસ્તાન-ઈરાન અને અમેરિકાના જૂના સમીકરણોને જડમૂળથી બદલી નાખ્યા, જે ઈરાન એક સમયે અમેરિકાના ઈશારે પાકિસ્તાનને હથિયાર આપતું હતું, તે આજે અમેરિકાના પ્રભુત્વ સામે મોરચો માંડીને બેઠું છે. આ પરિવર્તન એ વાતની સાબિતી છે કે, વૈશ્વિક મંચ પર માત્ર 'રાષ્ટ્રીય હિત' જ એકમાત્ર સત્ય છે.