બાળકો પર ધ્યાન ન હોવાથી શું થઈ શકે છે અને કેટલું જોખમી સાબિત થઈ શકે છે. તેનું તાજેતરનું એક ઉદાહરણ સામે આવ્યું છે. બેંગલુરુની એક ઘટના સામે આવી છે. અહીં એક બાળક ભગવાન ગણેશની નાની મૂર્તિ ગળી ગયો હતો. પરંતુ સદભાગ્યે સમયસર સારવારને લીધે બાળકનો બચાવ થઈ ગયો હતો. સમયનો બગાડ કર્યા વગર ડોકટરોએ એક્સ-રેમાંથી શોધી કાઢયું કે, મૂર્તિ ક્યાં છે અને જલ્દીથી બહાર કાઢીને માસૂમ બાળકનો જીવ બચાવ્યો હતો.
આ ચોંકાવનારી ઘટના કર્ણાટકના બેંગલુરુમાં બની છે. જ્યાં ત્રણ વર્ષના બાળકે આશરે 5 સે.મી.ની લંબાઈ વાળી ભગવાન ગણેશની મૂર્તિ ગળી હતી. પરંતુ સમયસર સારવારના કારણે તેમનો બચાવ થયો હતો. બાળક રમતી વખતે મૂર્તિ ગળી ગયો. જે બાદ તેને છાતીમાં દુખાવો થવા લાગ્યો હતો અને તેને લાળ ગળવામાં પણ તકલીફ થવા લાગી હતી. બાસાવા નામના આ બાળકને મનિપાલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ડોકટરોએ પહેલા તેનો એક્સ-રે કર્યો, જેમાં તેણે જોયું કે મૂર્તિ કયા ભાગમાં અટવાઇ હતી.
અન્ન નળીના ઉપરના ભાગમાં મૂર્તિ અટવાઇ હતી. મૂર્તિને એન્ડોસ્કોપિ દ્વારા દૂર કર્યા પછી બાળકને લગભગ ત્રણ કલાક હોસ્પિટલમાં મોનિટર કરવામાં આવ્યું હતું અને ચાર કલાક પછી તેને ખવડાવવામાં આવ્યું હતું. આ પછી તેને સાંજ સુધી રજા આપવામાં આવી હતી. ડો.મનીષ રાયે જણાવ્યું હતું કે ‘બાળકને પીડિયાટ્રિક ઈમરજન્સીમાં લાવ્યા બાદ તરત જ તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી હતી. તમામ પરીક્ષણો કર્યા પછી, બાળકને તરત જ ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવ્યું અને ત્યાં ગેસ્ટ્રોએંટોરોલોજિસ્ટની અમારી ટીમે એનેસ્થેસિયા આપ્યા પછી તરત જ કાર્યવાહી કરી અને બાળકને બચાવવામાં સફળ રહી.’
Published On - 9:17 pm, Sat, 24 July 21