Rajya Sabha Election 2022 : 57 બેઠકો માટેની ચૂંટણી બાદ કેટલું બદલાશે રાજ્યસભાનું ચિત્ર ? 16 બેઠકો માટે રસપ્રદ રહેશે ચૂંટણી
જે સાંસદો તેમનો કાર્યકાળ પૂરો કરી રહ્યા છે તેમાં ભાજપના 26, કોંગ્રેસના છ, DMK, AIADMK, SP અને BJDના ત્રણ-ત્રણ સાંસદ છે. TRS અને BSP પાસે બે-બે સાંસદ છે, YSR કોંગ્રેસ, NCP, શિવસેના, RJD, JDU અને અકાલી દળ પાસે એક-એક સાંસદનો સમાવેશ થાય છે.
દેશના 15 રાજ્યોની 57 બેઠકો માટે રાજ્યસભાની ચૂંટણી (Rajya Sabha Election) માટે ઉમેદવારીની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. જેમાં 11 રાજ્યોની 41 બેઠક ઉપરના ઉમેદવારો બિનહરીફ (Uncontested) ચૂંટાયેલા જાહેર કરાયા છે. બાકીના ચાર રાજ્યોની 16 બેઠકો માટે કુલ 21 ઉમેદવારો મેદાનમાં છે. આ 16 બેઠકો માટે આગામી 10 જૂને મતદાન થશે અને તે જ દિવસે મોડી સાંજે પરિણામ જાહેર થશે. આ ચૂંટણીના પરિણામો બાદ રાજ્યસભામાં સભ્યસંખ્યાનુ (Members in Rajya Sabha) ચિત્ર બદલાઈ જશે.
આ ચૂંટણી પરિણામો પછી રાજ્યસભામાં કઈ પાર્ટીને કેટલી સીટો મળશે ? કયા પક્ષોને ફાયદો થશે ? કયા પક્ષોને ઓછી બેઠક મળશે ? ગૃહનું ચિત્ર બદલવાથી કોને ફાયદો થશે ?
હાલમા રાજ્યસભાની સ્થિતિ કેવી છે ?
રાજ્યસભામા 25 મે સુધી, ભાજપ પાસે રાજ્યસભામાં 95 સાંસદો છે. કોંગ્રેસ 29 સાંસદો સાથે બીજી સૌથી મોટી પાર્ટી છે. તૃણમૂલ કોંગ્રેસ પાસે 13, ડીએમકે 10, બીજેડી અને AAP પાસે આઠ, TRS સાત, YSR કોંગ્રેસ છ, CPM, AIADMK, SP, RJD અને JDU પાસે પાંચ-પાંચ સાંસદ છે. એનસીપીના ચાર, બસપા અને શિવસેનાના ત્રણ સાંસદ છે. જ્યારે, પાંચ નિયુક્ત સાંસદો પણ છે. સીપીઆઈના બે સાંસદો સિવાય, અન્ય પાર્ટીઓ એક-એક સાંસદ ધરાવે છે, જેમની કુલ સભ્ય સંખ્યા 17 છે.
જે 57 બેઠકો પર ચૂંટણી થઈ રહી છે તેમાંથી કયા પક્ષના કેટલા સાંસદ છે ?
15 રાજ્યોમાં રાજ્યસભાની 57 બેઠકો માટે ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી છે. તેમાં ઉત્તર પ્રદેશમાં 11, મહારાષ્ટ્રમાં છ, તમિલનાડુ, બિહારમાં પાંચ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, રાજસ્થાનમાં ચાર, ઓડિશા, મધ્ય પ્રદેશ, ઝારખંડ, છત્તીસગઢ, તેલંગાણા, હરિયાણામાં પ્રત્યેક ત્રણ, પંજાબમાં બે-બેનો સમાવેશ થાય છે. જ્યારે ઉત્તરાખંડની એક બેઠકનો સમાવેશ થાય છે.
આ 57 બેઠકોમાં ભાજપના 26, કોંગ્રેસના છ, ડીએમકે, એઆઈએડીએમકે, સપા અને બીજેડીના ત્રણ-ત્રણ સાંસદો છે. TRS અને BSP પાસે બે-બે સાંસદ છે, YSR કોંગ્રેસ, NCP, શિવસેના, RJD, JDU અને અકાલી દળ પાસે એક-એક સાંસદ છે. ભાજપના સમર્થનથી જીતેલા અપક્ષ સુભાષ ચંદ્રાનો કાર્યકાળ પણ 2 ઓગસ્ટે પૂરો થઈ રહ્યો છે. આ સિવાય કોંગ્રેસના ઓસ્કર ફર્નાન્ડિસના નિધન અને જેડીયુના ક્વોટામાંથી જીતેલા શરદ યાદવને ગેરલાયક ઠેરવવાને કારણે ખાલી પડેલી સીટ પર પણ ચૂંટણી યોજાઈ રહી છે. આ બે બેઠકો ઉમેરવાથી કોંગ્રેસ પાસે સાત અને JDU પાસે બે સાંસદ ઓછા છે.
ચૂંટણી પરિણામો બાદ કોને ફાયદો અને કોને નુકસાન ?
સૌથી પહેલા એ 11 રાજ્યો ઉપર નજર કરીએ કે જ્યાં રાજ્યસભાની ચૂંટણી પૂર્વે જ ઉમેદવારો બિનહરીફ ચૂંટાયેલા જાહેર થયા છે. આ રાજ્યોમાં વર્તમાન સભ્યોની સંખ્યા કેવી રહેશે ?
Uttar Pradesh ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ 11 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. અહીં આઠ બેઠકો ભાજપે અને એક બેઠક સપાના ઉમેદવારે જીતી હતી. આરએલડીએ એક સીટ અપક્ષ તરીકે અને એક સીટ સપાના સમર્થનથી જીતી હતી. ઉત્તર પ્રદેશમાં ભાજપને ત્રણ બેઠકોનો ફાયદો થયો છે. તો, બસપા અને સપાના બે-બે સાંસદો ઓછા થતા તેમને નુકસાન થયું છે. જો કે, ગઠબંધનના સંદર્ભમાં સપાને ના તો ફાયદો થયો કે ના તો નુકસાન. કોંગ્રેસે પણ એક બેઠક ગુમાવી છે.
Tamil Nadu તમિલનાડુમાં જ્યાં છ બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી. ચૂંટણી પૂર્વે ત્રણ DMK અને ત્રણ સભ્યો AIADMK સાથે હતા. ચૂંટણી પરિણામો બાદ AIADMKની એક સીટ ઓછી થઈ છે. હવે રાજ્યસભામાં તેના બે સાંસદો હશે. ડીએમકેના ત્રણ સાંસદોનું સંખ્યાબળ અકબંધ રહેશે. આ સાથે જ કોંગ્રેસને અહીં એક બેઠકનો ફાયદો થયો છે. પૂર્વ ગૃહમંત્રી પી ચિદમ્બરમ તમિલનાડુના છઠ્ઠા સાંસદ બન્યા છે.
Bihar બિહારની પાંચ બેઠકોમાંથી ભાજપ અને આરજેડીના ઉમેદવારોએ બે-બે બેઠકો જીતી છે, જ્યારે જેડીયુને એક બેઠક મળી છે. વિજેતા ઉમેદવારોમાં આરજેડી સુપ્રીમો લાલુ યાદવની પુત્રી મીસા ભારતીનો પણ સમાવેશ થાય છે.
Andhra Pradesh આંધ્રપ્રદેશની ચારેય બેઠકો પરના ઉમેદવારોને બિનહરીફ વિજેતા કરાયા છે. ભાજપે અહીં ત્રણ બેઠકો ગુમાવી છે. વાયએસઆર કોંગ્રેસે અહીં તમામે તમામ ચાર બેઠકો પર જીત મેળવી છે. હવે તેના સાંસદોની સંખ્યા એકથી વધીને ચાર થશે.
Madhya Pradesh મધ્યપ્રદેશમાં ત્રણમાંથી બે બેઠકો પર ભાજપ અને એક કોંગ્રેસના ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા છે.
Chhattisgarh કોંગ્રેસે છત્તીસગઢની બંને સીટો પર જીત મેળવી છે.
Telangana તેલંગાણાની બંને બેઠકો પર TRSના ઉમેદવારો બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરાયા છે.
Punjab પંજાબમાં કોંગ્રેસ અને અકાલી દળને સંખ્યાની દ્રષ્ટિએ નુકસાન થયું છે. અહીંની બંને બેઠકો પર આમ આદમી પાર્ટીના ઉમેદવારો બિનહરીફ વિજેતા થયા છે.
Jharkhand ઝારખંડમાં બે બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. અહીંથી JMM અને BJPના એક-એક ઉમેદવારને બિનહરીફ વિજયી જાહેર કરાયા છે.
Uttarakhand ઉત્તરાખંડમાં એક બેઠક પર યોજાયેલી ચૂંટણીમાં ભાજપે પોતાની પકડ જાળવી રાખી હતી. બીજેપીના કલ્પના સૈની અહીંથી બિનહરીફ જીત્યા છે. અગાઉ પ્રદીપ તમટા અહીંથી રાજ્યસભાના સાંસદ હતા.
Odisha ઓડિશાની ત્રણેય બેઠકો પર બીજેડીના ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે.
જે ચાર રાજ્યોમાં મતદાન થશે ત્યાં શું થશે ?
ચાર રાજ્યોની 16 બેઠકો માટે 10 જૂને મતદાન થશે. આ બેઠકો પર તે જ દિવસે ચૂંટણી સંપન્ન થયા બાદ મોડી સાંજે પરિણામ જાહેર કરવામાં આવશે. જે રાજ્યોમાં મતદાન થવાનુ છે તેમાં મહારાષ્ટ્ર, રાજસ્થાન, હરિયાણા અને કર્ણાટકનો સમાવેશ થાય છે.
મહારાષ્ટ્રમાં છ બેઠકો માટે ચૂંટણી યોજનારા છે. મહારાષ્ટ્રમાં ધારાસભ્યોની સભ્યસંખ્યાને ધ્યાને લઈએ તો, કોંગ્રેસ, એનસીપી અને શિવસેના એક-એક અને ભાજપના બે ઉમેદવારો સરળતાથી જીતી શકે એમ છે. પરંતુ શિવસેનાએ બીજા અને ભાજપે ત્રીજા ઉમેદવારને મેદાનમાં ઉતારતા મહારાષ્ટ્રમા કોકંડુ ગુચવાશે.
સૌથી રસપ્રદ ચૂંટણી કર્ણાટકમાં યોજાનાર છે. અહીં રાજ્યસભાની ચાર બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે. આ ચાર બેઠકો માટે છ ઉમેદવારો મેદાનમાં છે. ભાજપે ત્રણ, કોંગ્રેસે બે અને જેડીએસે એક ઉમેદવારને ચૂંટણી જંગમાં ઉતાર્યો છે. ધારાસભ્યોની સભ્ય સંખ્યાને જોતા, અહીં બે બેઠક ભાજપ અને એક બેઠક કોંગ્રેસને સરળતાથી મળી શકે તેમ છે. પરંતુ ચોથી બેઠક મેળવવા માટે ભાજપ, કોંગ્રેસ અને જેડીએસ વચ્ચે જંગ ખેલાશે.
રાજસ્થાનમાં ભાજપની ચારેય બેઠકો ખાલી પડી છે. અહીં ભાજપને ત્રણ બેઠકોનું નુકસાન થશે. તેના એક ઉમેદવારની જીત નિશ્ચિત છે. સાથે જ કોંગ્રેસના બે ઉમેદવારોની જીત નિશ્ચિત છે. ચોથી સીટ માટે ચૂંટણી રસપ્રદ બનશે. ચોથી બેઠક માટે કોંગ્રેસના ઉમેદવારનો સીધો મુકાબલો ભાજપ સમર્થિત અપક્ષ સુભાષ ચંદ્રા સામે છે.
હરિયાણાની બે બેઠકો માટે ચૂંટણી યોજાઈ રહી છે. ભાજપને આમાંથી એક બેઠક મળવાની ખાતરી છે. તો બીજી બેઠક પર કોંગ્રેસના અજય માકનને, ભાજપ સમર્થિત અપક્ષ કાર્તિકેય શર્માએ પડકાર આપ્યો છે.
ચૂંટણીના પરિણામો પછી કોને ફાયદો અને કોને નુકસાન?
રાજ્યસભાની ચૂંટણીના પરિણામો બાદ ભાજપની સીટોની સંખ્યા 21 થી 23ની વચ્ચે થવાની ધારણા છે. જેમાંથી 14 સાંસદો ચૂંટણી પૂર્વે બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. સાથે જ જે રાજ્યોમાં ચૂંટણી યોજાઈ છે ત્યાંની સાત બેઠક પર તેમની જીત નિશ્ચિત છે. એટલે કે ભાજપના 26 નિવૃત સાંસદોને સામે હવે જીતીને આવનારા નવા સાંસદોની સંખ્યા ઓછી હશે. આ ચૂંટણી બાદ ભાજપને ત્રણથી પાંચ બેઠકોનું નુકસાન થવાની ગણતરી છે.
કોંગ્રેસના સાંસદોની સંખ્યા 8 થી 11 વચ્ચે હશે. એટલે કે નિવૃત્ત થનારા છ સાંસદોની સરખામણીમાં કોંગ્રેસને બેથી પાંચ બેઠકોનો ફાયદો થશે. BSP પાસે હવે રાજ્યસભામાં કોઈ પ્રતિનિધિત્વ રહેશે નહીં. BSPના ત્રણેય સાંસદો નિવૃત્ત થઈ રહ્યા છે. તો આમ આદમી પાર્ટીની રાજ્યસભામા સંખ્યા બે આંકમાં પહોંચી જશે.