Covishield રસીના બે ડોઝ વચ્ચે ફરી ઘટાડાશે ગેપ ? આરોગ્ય મંત્રાલયે આપ્યો આ જવાબ
બ્રિટનમાં નવા અહેવાલ બાદ Corona ની રસી કોવિશીલ્ડ(Covishield)ના બે ડોઝ વચ્ચેનું અંતર ઘટાડવાની અપીલ કરવામાં આવી છે. જેનો કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે શુક્રવારે જવાબ આપ્યો છે અને કહ્યું છે કે ગભરાવાની જરૂર નથી.
બ્રિટનમાં નવા અહેવાલ બાદ Corona ની રસી કોવિશીલ્ડ(Covishield)ના બે ડોઝ વચ્ચેનું અંતર ઘટાડવાની અપીલ વચ્ચે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે શુક્રવારે જવાબ આપ્યો છે. આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે ગભરાવાની જરૂર નથી અને નિષ્ણાતો દ્વારા સાવચેતીપૂર્વક તપાસ કર્યા પછી આવા નિર્ણયો લેવામાં આવશે.
Corona થી સ્વસ્થ થયેલા લોકોને રસી ન આપવી જોઇએ તેવા સૂચન પર મંત્રાલયે કહ્યું કે આવી ચર્ચા થઈ શકે છે. પરંતુ હાલની રસીકરણ નીતિમાં કોઈપણ ફેરફાર માટે મોટા પરિપ્રેક્ષ્યમાં વિચાર કરવો જરૂરી છે.
પ્રથમ ડોઝ નોંધપાત્ર સુરક્ષા પૂરી પાડે છે
નીતી આયોગના સભ્ય વી.કે. પૉલે કહ્યું છે કે “ આ સતત ચાલતી પ્રક્રિયા છે. વિજ્ઞાનમાં કટ્ટરવાદી વિચારધારા નથી. અમારા નિષ્ણાતો નવીનતમ વિકાસ અંગે વિચારણા કરશે અને નિર્ણય લેશે. ” ભારતમાં ગત માસે જ કોવિશિલ્ડ(Covishield)ના રસીના બે ડોઝ વચ્ચેનું અંતર 12 થી 16 અઠવાડિયા સુધી વધારવામાં આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય અધ્યયન પછી આ અંતર વધારવામાં આવ્યું હતું. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે પ્રથમ ડોઝ નોંધપાત્ર સુરક્ષા પૂરી પાડે છે અને બીજા ડોઝમાં અંતર વધવાથી તેની અસરમાં વધારો થાય છે.
રસીના બે ડોઝ વચ્ચેનું અંતર ઘટાડવામાં આવી રહ્યું છે
પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડ દ્વારા તાજેતરના અધ્યયનમાં દાવો કરવામાં આવ્યો છે કે પ્રથમ ડોઝ પછી સુરક્ષા અપેક્ષા કરતા ઓછી હોય શકે છે. તેના પછી રસીના બે ડોઝ વચ્ચેનું અંતર ઘટાડવામાં આવી રહ્યું છે. જેમાં ઉત્તરી આર્યલેન્ડમાં આ અંતર 10-12 અઠવાડિયાથી ઘટાડીને 8 અઠવાડિયા કરવામાં આવ્યો છે.
જ્યારે તાજેતરના અધ્યયનમાં જણાવાયું છે કે એસ્ટ્રાઝેનેકા (Covishield) રસીનો પ્રથમ ડોઝ કોરોના વાયરસના ડેલ્ટા વેરિયન્ટ સામે 33 ટકા સંરક્ષણ આપે છે. બીજી માત્રા પછી આ સંરક્ષણ ડેલ્ટા વેરિઅન્ટ સામે 60 ટકા સુધી વધે છે. ડેલ્ટા વેરિઅન્ટ ભારતમાં પણ જોવા મળ્યો હતો અને કહેવામાં આવે છે કે તે દેશમાં કોરોનાની બીજા લહેર માટે તે જવાબદાર છે.
કોરોના રસીના કુલ ડોઝની સંખ્યા વધીને 24.93 કરોડથી વધુ
આ દરમ્યાન કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે શુક્રવારે કહ્યું હતું કે દેશમાં અત્યાર સુધી કોરોના રસીના કુલ ડોઝની સંખ્યા વધીને 24.93 કરોડથી વધુ થઈ ગઈ છે. મંત્રાલયે જણાવ્યું હતું કે શુક્રવારે 18-44 વર્ષની વય જૂથના 19,49,902 લાભાર્થીઓને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો જ્યારે આ વય જૂથના 72,279 લોકોને બીજી ડોઝ આપવામાં આવ્યો હતો. એકંદરે, દેશભરમાં રસીકરણ કાર્યક્રમના ત્રીજા તબક્કાની શરૂઆત થયા પછી, 18-44 વય જૂથના 3,79,67,237 લોકોએ પ્રથમ ડોઝ મેળવ્યો છે અને 5,58,862 લોકોને બીજો ડોઝ મળ્યો છે.