Next CJI: જસ્ટિસ N. V. Ramana હશે દેશના આગામી મુખ્ય ન્યાયાધીશ, રાષ્ટ્રપતિ કોવિંદે CJI તરીકે કરી નિમણૂક
24 માર્ચે અત્યારના મુખ્ય ન્યાયાધીશ એસ.એ.બોબડેએ સરકારને N. V. Ramana ના નામ માટેની ભલામણ મોકલી હતી. હવે રાષ્ટ્રપતિએ તેમની નિમણૂકને મંજૂરી આપી દીધી છે. ન્યાયાધીશ રમના 24 એપ્રિલે શપથ લેશે.
જસ્ટિસ નાથલાપતિ વેંકટ રમના ભારતના 48 મા મુખ્ય ન્યાયાધીશ બનશે. રાષ્ટ્રિય રામનાથ કોવિંદે તેમની નિમણૂકને મંજૂરી આપી દીધી છે. રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા બાદ હવે ન્યાયાધીશ રમના 24 એપ્રિલે શપથ લેશે. ન્યાયાધીશ રમના હાલના મુખ્ય ન્યાયાધીશ એસ.એ. બોબડે પછી સુપ્રીમ કોર્ટના બીજા વરિષ્ઠ-ન્યાયાધીશ છે. 24 માર્ચે અત્યારના મુખ્ય ન્યાયાધીશ એસ.એ.બોબડેએ સરકારને તેમના નામ માટેની ભલામણ મોકલી હતી.
કોણ છે એનવી રમના
એનવી રમના વિશે આપને જણાવી દઈએ. અત્યારે સુપ્રીમ કોર્ટમાં સીનીયર જસ્ટિસ એનવી રમનાનું પૂરું નામ નથાલપતિ વેંકટ રમના છે. એનવી રમના આંધ્રપ્રદેશના કૃષ્ણ જિલાના પોન્નવરમ ગામના એક ખેડૂત પરિવારમાં જન્મ્યા હતા. તેમનો જન્મ 27 ઓગસ્ટ 1957માં થયો હતો. અગાઉ, તે દિલ્હી હાઈકોર્ટના ચીફ જસ્ટિસ અને આંધ્રપ્રદેશ હાઇકોર્ટના કાર્યકારી ચીફ જસ્ટિસ પણ રહ્યા છે. આંધ્રપ્રદેશ જ્યુડિશિયલ એકેડેમીના પ્રમુખ તરીકે પણ રહી ચૂક્યા છે. તે 26 ઓગસ્ટ 2022 ના રોજ નિવૃત્ત થશે.
બંધારણીય બાબતોમાં જાણકાર, 45 વર્ષથી વધુ ન્યાયિક અનુભવ
વકીલાત બાદ તેમણે આંધ્રપ્રદેશ હાઇકોર્ટ, આંધ્રપ્રદેશ વહીવટી ટ્રિબ્યુનલ અને સુપ્રીમ કોર્ટમાં પણ પ્રેક્ટિસ કરી હતી. તેઓને બંધારણીય, ગુનાહિત અને આંતર-રાજ્ય નદીના પાણી વહેંચણી બાબતના કાયદાના નિષ્ણાંત માનવામાં આવે છે. લગભગ 45 વર્ષોનો લાંબો અનુભવ ધરાવતા એનવી રમના સુપ્રીમ કોર્ટના ઘણા મહત્વપૂર્ણ ચુકાદાઓની બંધારણીય બેંચનો એક ભાગ રહ્યા છે. જાહેર છે કે એસએ બોબડેએ અત્યાર સુધી સુપ્રીમના ન્યાયાધીશ તરીકે ઘણા મહત્વપૂર્ણ ચૂકાદા આપ્યા છે. એનવી રમનાને ન્યાય પ્રક્રિયાનો બહોળો અનુભવ છે. તેઓ આંધ્રપ્રદેશ હાઈકોર્ટ અને દિલ્હી હાઈકોર્ટમાં પણ ફરજ બજાવી ચૂક્યા છે.
અનેક સરકારી સંસ્થાઓમાં પેનલ કાઉન્સિલ તરીકે કામ કર્યું છે
તેમણે વિવિધ સરકારી સંગઠનો માટે પેનલ સલાહકાર તરીકે પણ કામ કર્યું છે. તેમણે કેન્દ્ર સરકારના વધારાના કાયમી એડવોકેટ અને હૈદરાબાદના સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલમાં રેલવેના કાયમી એડવોકેટ તરીકે કામ કર્યું છે. આંધ્રપ્રદેશના એડિશનલ એડવોકેટ જનરલ તરીકે પણ તેઓ સેવા આપી ચુક્યા છે. તેઓ 27 જૂન 2000 ના રોજ આંધ્રપ્રદેશ હાઈકોર્ટના કાયમી ન્યાયાધીશ તરીકે નિમાયા હતા.
2013 માં દિલ્હી હાઇકોર્ટના ચીફ જસ્ટિસ બન્યા
જસ્ટિસ એન.વી. રમનાએ 10 માર્ચ 2013 થી 20 મે 2013 સુધી આંધ્રપ્રદેશ હાઇકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ તરીકે સેવા આપી હતી. તેમણે અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પરિષદો અને સંમેલનોમાં ભાગ લીધો અને ભારત અને વિદેશમાં આયોજિત કાનૂની મહત્વના વિભિન્ન વિષયો પર પેપર્સ સબમિટ કર્યા. વર્ષ 2013 માં તેમની દિલ્હી હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે નિમણૂક કરવામાં આવી હતી.
છેલ્લા કેટલાક વર્ષોમાં જસ્ટિસ રમનાનો સૌથી ચર્ચિત નિર્ણય જમ્મુ-કાશ્મીરમાં ઇન્ટરનેટની ફરી શરુ કરવાનો રહ્યો છે. જસ્ટિસ રમના પણ ખંડપીઠના સભ્ય રહી ચૂક્યા છે, જેમણે માહિતી અધિકાર અધિનિયમ (RTI) ના હેઠળ મુખ્ય ન્યાયાધીશના કાર્યાલયને લાવવાનો નિર્ણય લીધો હતો.