વિયેતનામમાં બોટ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા 15 ભારતીયોના પાર્થિવ દેહ લઈને વિમાન મુંબઈ પહોંચ્યું

હનોઈ સ્થિત ભારતીય દૂતાવાસે જણાવ્યું, "અકસ્માતમાં જીવ ગુમાવનારાઓના પરિવારો પ્રત્યે અમે અમારી ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ. આ મુશ્કેલ સમયમાં અમારી પ્રાર્થનાઓ તેમની સાથે છે."

વિયેતનામમાં બોટ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા 15 ભારતીયોના પાર્થિવ દેહ લઈને વિમાન મુંબઈ પહોંચ્યું
Vietnam Boat Accident
Image Credit source: X
| Updated on: Jul 14, 2026 | 9:05 AM

શનિવારે 11 જુલાઈ, 2026ના રોજ વિયેતનામના ફુ ક્વોક ટાપુ નજીક બોટ અકસ્માતમાં મૃત્યુ પામેલા 15 ભારતીય નાગરિકોના મૃતદેહ લઈને હો ચી મિન્હ એરપોર્ટથી રવાના થયેલ વિમાન સોમવારે (13 જુલાઈ, 2026) મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર પહોંચ્યું હતું. આ માહિતી હનોઈ સ્થિત ભારતીય દૂતાવાસે આપી છે.

હનોઈ સ્થિત ભારતીય દૂતાવાસે આપી માહિતી

ભારતીય દૂતાવાસે સોમવારે 13 જુલાઈ, 2026ના રાત્રે આશરે 10 વાગ્યે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ શેર કરી. પોસ્ટમાં, દૂતાવાસે લખ્યું કે, “11 જુલાઈના રોજ વિયેતનામના ફુ ક્વોકમાં થયેલા દુ:ખદ બોટ અકસ્માતમાં મૃત્યુ પામેલા ભારતીય નાગરિકોના મૃતદેહોને લઈને વિમાન મુંબઈ પહોંચી ગયું છે. હનોઈ સ્થિત ભારતીય દૂતાવાસ અને હો ચી મિન્હ સિટીમાં આવેલ ભારતીય કોન્સ્યુલેટ સંબંધિત રાજ્ય સરકારો સાથે સંકલન કરી રહ્યા છે, જેથી પાર્થિવ દેહોને શક્ય તેટલી વહેલી તકે તેમના પરિવારજનો સુધી પહોંચાડી શકાય.” દૂતાવાસે વધુમાં જણાવ્યું હતું છે કે અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારો પ્રત્યે અમારી ઊંડી સંવેદના છે. આ મુશ્કેલ સમયમાં અમારી પ્રાર્થના તેમની સાથે છે.

રાજ્ય સરકાર પાર્થિવ દેહને પરિવાર સુધી પહોંચાડશે

હનોઈ સ્થિત ભારતીય દૂતાવાસે જણાવ્યું છે કે અકસ્માતમાં જીવ ગુમાવનારા 15 ભારતીયોના મૃતદેહોને વિયેતનામ એરલાઇન્સની ફ્લાઇટ VN979 દ્વારા હો ચી મિન્હ સિટીથી મુંબઈ લાવવામાં આવશે. ફ્લાઇટ સ્થાનિક સમય મુજબ રાત્રે 9:30 વાગ્યે મુંબઈ પહોંચશે. ત્યારબાદ, આંધ્રપ્રદેશ, કેરળ અને તમિલનાડુની રાજ્ય સરકારો મૃતદેહોને તેમના સંબંધિત રાજ્યોમાં તેમના પરિવારોને પહોંચાડવાની વ્યવસ્થા કરશે.

દૂતાવાસે વિયેતનામી એજન્સીઓનો વ્યક્ત કર્યો આભાર

ભારતીય દૂતાવાસે ફૂ ક્વોક સ્પેશિયલ ઇકોનોમિક ઝોન, આન જિયાંગ પ્રાંતનું વહીવટી તંત્ર, હો ચી મિન્હ સિટીનો વિદેશ વિભાગ, વિયેતનામનું વિદેશ મંત્રાલય તેમજ દુર્ઘટના બાદ સહાય કરનાર તમામ વિયેતનામી એજન્સીઓનો આભાર વ્યક્ત કર્યો. દૂતાવાસે જણાવ્યું કે વિયેતનામી મિત્રોએ મોકલેલા સંવેદના સંદેશો અને પ્રાર્થનાઓ બદલ અમે તેમના પણ આભારી છીએ. દુઃખ અને શોકની આ ઘડીમાં આપના સહયોગ, પ્રયત્નો અને પ્રાર્થનાઓએ અમને હિંમત આપી છે.

આ પણ વાંચો, ઈરાને હોર્મુઝમાં યુએઈએના તેલ ટેન્કરો પર ફેંકી ક્રૂઝ મિસાઈલો, હુમલામાં 1 ભારતીય નાવિકનું મોત, 8 ઘાયલ

Follow Us