Hanumangarh : રાજસ્થાનના હનુમાનગઢના નોહરથી જૂથ અથડામણના (Group clash) સમાચાર સામે આવી રહ્યા છે. બે જૂથ વચ્ચે ઝઘડાનો વિવાદ એટલો વધી ગયો હતો કે વિશ્વ હિંદુ પરિષદના (Vishwa Hindu Parishad) સ્થાનિક નેતા સહિત અનેક કાર્યકર્તાઓ ઘાયલ થયા હતા. સ્થિતિ બગડતી જોઈને પોલીસ (Rajasthan police) ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. હુમલાના વિરોધમાં VHP કાર્યકર્તાઓએ નોહર-રાવતસર રોડ પર દેખાવો કરીને ટ્રાફિક જામ કર્યો હતો. વિશ્વ હિંદુ પરિષદના સ્થાનિક નેતા સતવીર સહારન પર હુમલો થયો છે, જેમાં તેમના સિવાય ઘણા કાર્યકરો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.
મળતી માહિતી મુજબ, 7-8 લોકો એ VHP નેતા સાથે બોલાચાલી કરી હતી પછી તેમણે VHP નેતા પર જ હુમલો કર્યો હતો. પોલીસે આ કેસમાં પહેલા 2 લોકોને અટકાયતમાં લીધા હતા. પરંતુ હનુમાનગઢમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. જેના પગલે સર્જાયેલા તણાવને જોતા હનુમાનગઢમાં ઈન્ટરનેટ સેવાઓ (Internet service) બંધ કરી દેવામાં આવી છે અને પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ના સ્થાનિક નેતા સતવીર સહારનને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ પછી ઉશ્કેરાયેલા લોકોએ નોહર-રાવતસર રોડ બ્લોક કરી દીધો હતો. રાજસ્થાનના ભીલવાડામાં મંગળવારે હિંસા ફાટી નીકળી હતી. અને બુધવારે મોડી રાત્રે હનુમાનગઢમાં બે જૂથો સામસામે આવી ગયા હતા. છેલ્લા કેટલાક દિવસોમાં રાજસ્થાન રાજ્યમાં હિંસક અથડામણના અનેક મામલા સામે આવ્યા છે, જેના પછી સવાલ એ ઉઠી રહ્યો છે કે રાજસ્થાનમા કેમ ‘તોફાનો’ ફાટી નિકળે છે ?
તમને જણાવી દઈએ કે રાજસ્થાનમાં છેલ્લા 40 દિવસથી સતત સાંપ્રદાયિક રમખાણોના અહેવાલો આવી રહ્યા છે. ક્યારેક જોધપુર, ક્યારેક કરૌલી તો ક્યારેક અલવર. જુદા જુદા કારણોસર બધે રમખાણો ફાટી નીકળ્યા અને પછી સ્થિતિ એવી બની કે પોલીસ અને સરકારના હાથ ભરાઈ ગયા અને હવે ભીલવાડામાં પણ ભારે તણાવ છે. ભીલવાડામાં છોકરાની હત્યા બાદ સાંપ્રદાયિક તણાવનો માહોલ છે. પરિવારનો આરોપ છે કે તેની હત્યા કોઈ નાની બાબત પર નથી થઈ, તેની પાછળ કોઈ મોટું ષડયંત્ર છે.