આ લોકો મહાત્મા ગાંધીને બદલે વીર સાવરકરને રાષ્ટ્રપિતા બનાવી દેશે, AIMIM ના વડા ઓવેસીનો રાજનાથસિંહ પર વાકપ્રહાર
સાવરકરની દયા અરજી અંગેના વિવાદનો ઉલ્લેખ કરતા કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, મહાત્મા ગાંધીજીના કહેવાથી, સાવરકરે અંગ્રેજો સમક્ષ દયાની અરજી કરી હતી. પરંતુ અલગ વિચારો ધરાવનારાઓએ સ્વંતત્ર સંગ્રામની લડાઈમાં સાવરકરના યોગદાનને બદનામ કર્યુ છે.
AIMIM ના વડા અસદુદ્દીન ઓવૈસીએ કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહના વીર સાવરકર અંગેના નિવેદન બાદ ટિપ્પણી કરી છે. અસાદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે, તેઓ ઇતિહાસને વિકૃત કરીને રજૂ કરી રહ્યા છે, જો આવું જ ચાલુ રહેશે તો તેઓ મહાત્મા ગાંધીને હટાવી દેશે અને વીર સાવરકરને આ દેશના રાષ્ટ્રપિતા બનાવશે સાવરકર પર મહાત્મા ગાંધીની હત્યાનો આરોપ હતો અને જસ્ટિસ જીવનલાલ કપૂરની તપાસમાં સામેલ હોવાનું જાહેર કર્યું હતું.
હકીકતમાં, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે, 1910 ના દાયકામાં આંદમાનમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા સાવરકરની દયા અરજીઓ અંગેના વિવાદનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, મહાત્મા ગાંધીજીના કહેવાથી, સાવરકરે અંગ્રેજો સમક્ષ દયાની અરજી કરી હતી. પરંતુ અલગ વિચારો ધરાવનારાઓએ સ્વંતત્ર સંગ્રામની લડાઈમાં સાવરકરના યોગદાનને બદનામ કર્યુ છે. જો કે હવે આવુ નહી ચલાવી લેવાય.
તેમણે એમ પણ કહ્યુ કે, ખાસ વિચારધારા ધરાવનારા, વીર સાવરકરના જીવન અને વિચારધારાથી સંપૂર્ણ અપરિચિત છે. તેઓ સાવરકરને સમજી જ શક્યા નથી. આપણા આઝાદીના લડવૈયાના વ્યક્તિત્વ અને તેમની લડાઈ અંગે વાદ વિવાદ હોઈ શકે છે. પરંતુ તેમને શંકાની દ્રષ્ટિએ જોવુ જરા પણ ઉચિત નથી. સાવરકર મહાન સ્વતંત્ર સેનાની હતા.
ફાસીવાદી અને હિન્દુત્વના સમર્થક હોવાનો આરોપ રાજનાથ સિંહ, વીર સાવરકર – ધ મેન હુ કેન પ્રિવેન્ટ પાર્ટીશન (The Man Who Can Prevent Partition) નામના પુસ્તકના વિમોચન પ્રસંગે બોલી રહ્યા હતા. સંરક્ષણ મંત્રીએ એમ પણ કહ્યું કે માર્ક્સવાદી અને લેનિનવાદી વિચારધારાને અનુસરતા લોકોએ સાવરકર પર ફાસીવાદી અને હિન્દુત્વના સમર્થક હોવાનો આરોપ લગાવ્યો.
મોહન ભાગવતે કહ્યુ હતુ કે, સાવરકર બાદ હવે આમનો વારો સાવરકર પર લખાયેલા પુસ્તકના વિમોચન દરમિયાન આરએસએસના વડા મોહન ભાગવતે એમ પણ કહ્યું હતું કે આઝાદી બાદથી વીર સાવરકર વિશે લોકોમાં માહિતીનો અભાવ છે. પરંતુ હવે લોકો આ પુસ્તક દ્વારા વીર સાવરકરને જાણી શકશે. ત્યારબાદ સ્વામી વિવેકાનંદ, સ્વામી દયાનંદ સરસ્વતી અને યોગી અરવિંદ આવે છે. તેમના વિશે સાચી માહિતી પણ લોકોને ઉપલબ્ધ કરાવવામાં આવશે.
ભાગવતે વધુમાં કહ્યું કે આઝાદી બાદથી વીર સાવરકરને બદનામ કરવાનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. પરંતુ હવે આ પુસ્તક લોકોમાં આ ભ્રમ તોડશે. આ પછી, સ્વામી વિવેકાનંદ, સ્વામી દયાનંદ સરસ્વતી અને યોગી અરવિંદનો નંબર છે, કારણ કે વીર સાવરકરની જેમ તેમના વિશે પણ ખોટી માહિતીઓ ફેલાવાઈ છે. વીર સાવરકર જે પણ હતા, તે આ ત્રણના વિચારોથી પ્રભાવિત હતા.