Rajasthan: યુવકની હત્યા બાદ ભીલવાડામાં તણાવ, ઈન્ટરનેટ સેવા સ્થગિત, ભારે પોલીસ બંદોબસ્ત તહેનાત
મૃત યુવક આદર્શ તાપડિયાના પિતા ઓમપ્રકાશ તાપડિયા પણ ભીલવાડાના હિસ્ટ્રીશીટર હતા. મૃતક યુવક આદર્શ તાપડિયાના મામા મહેશ ખોટાણીએ કહ્યું કે જ્યાં સુધી તમામ હુમલાખોરોની ધરપકડ નહીં થાય ત્યાં સુધી અમે મૃતદેહ નહીં સ્વીકારીએ.
Bhilwara: રાજસ્થાનના ભીલવાડામાં (Bhilwara) યુવકની હત્યા બાદ તંગદિલી ફેલાઈ ગઈ છે. તણાવને જોતા કોતવાલી પોલીસ સ્ટેશન (Kotwali Police Station Bhilwara) વિસ્તારમાં ઇન્ટરનેટ સેવા (Internet service) બંધ કરી દેવામાં આવી છે અને ભારે પોલીસ બંદોબસ્ત (Rajasthan Police) ગોઠવી દેવામાં આવ્યો છે. આ સાથે જ યુવકની હત્યા બાદ વિશ્વ હિન્દુ પરિષદ, ભારતીય જનતા પાર્ટી અને હિન્દુ જાગરણ મંચે બુધવારે ભીલવાડા બંધનું એલાન આપ્યું છે. આ મામલે કાર્યવાહી કરતા પોલીસે ત્રણ લોકોની અટકાયત કરી છે. જેમાંથી બે સગીર છે.
ઈન્ટરનેટ સેવા 24 કલાક માટે બંધ
વિસ્તારમાં તણાવ અને અફવાઓ ફેલાતી અટકાવવા માટે, સ્થાનિક વહીવટીતંત્રે ભીલવાડા શહેરમાં બુધવારે સવારે 6:00 વાગ્યાથી ગુરુવાર, 12 મેના રોજ સવારે 6:00 વાગ્યા સુધી 24 કલાક માટે ઈન્ટરનેટ સેવા બંધ રાખવાનો આદેશ જાહેર કર્યો છે. જણાવી દઈએ કે મંગળવારે રાત્રે શાસ્ત્રીનગર વિસ્તારમાં બ્રહ્માણી મીઠાઈ પાસે 22 વર્ષીય યુવક આદર્શ તાપડિયાને કેટલાક લોકોએ ગંભીર રીતે ઘાયલ કરી દીધો હતો. તાપડિયાને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
હુમલાખોરો બાઇક પર આવ્યા હતા
મૃતક યુવક આદર્શ તાપડિયાના પિતા ઓમપ્રકાશ તાપડિયા પણ ભીલવાડાના હિસ્ટ્રીશીટર હતા જેનું અવસાન થયું છે. મૃતક યુવક આદર્શ તાપડિયાના મામા મહેશ ખોટાણીએ કહ્યું કે જ્યાં સુધી તમામ હુમલાખોરોની ધરપકડ નહીં થાય ત્યાં સુધી અમે મૃતદેહ નહીં સ્વીકારીએ. હુમલાખોરોએ મૃતકના નાના ભાઈ સાથે અગાઉ પણ ઝઘડો કર્યો હતો. કહેવાય છે કે રાત્રે બે બાઇક પર સવાર લોકોએ લોખંડના સળિયા અને છરી વડે આદર્શ પર હુમલો કર્યો હતો.
થોડા દિવસો પહેલા, પોલીસે સાંગાનેર વિસ્તારમાં બે લોકો પર હુમલો કરવા અને તેમની બાઇકને આગ લગાડવા બદલ એક વ્યક્તિની ધરપકડ કરી હતી. આ ઘટના બાદ પણ ભીલવાડા શહેરમાં ઈન્ટરનેટ સેવા 24 કલાક માટે બંધ કરી દેવામાં આવી હતી.