આજે મંગળવારે ભાજપની સંસદીય બોર્ડની (BJP Parliamentary Board) બેઠક મળી હતી. આ બેઠકમાં ભાજપના (BJP) રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ (J P Nadda) તમામ સાંસદોને મહત્વપૂર્ણ નિર્દેશો આપ્યા છે. નડ્ડા તરફથી કહેવામાં આવ્યું છે કે 9 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી ત્રિરંગાને લઈને દેશમાં વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે. આગામી 9 થી 11 ઓગસ્ટ સુધી પ્રભાતભેરી કાઢીને પ્રચાર કરવો જોઈએ. પ્રભાત ફેરીમાં ‘રઘુપતિ રાઘવ રાજા રામ’ અને વંદે માતરમ જેવા ગીતો વગાડવા જોઈએ. આ કાર્યક્રમોમાં દરેક સાંસદે હાજર રહેવાનું રહેશે.
ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ એવુ પણ કહ્યું છે કે 10 થી 12 ઓગસ્ટ સુધી ભાજપ યુવા મોરચાની ત્રિરંગા બાઇક યાત્રા પણ કાઢવામાં આવે. લોકોને 13 થી 15 ઓગસ્ટની વચ્ચે દરેક ઘરમાં ત્રિરંગો ફરકાવવા માટે પ્રેરિત કરવામાં આવે. 15 ઓગસ્ટને ધ્યાનમાં રાખીને તમામ મહાપુરુષોની પ્રતિમાઓની પણ સફાઈ કરવામાં આવશે.
આ સાથે ભાજપ તરફથી બૂથ સશક્તિકરણ પર પણ ભાર આપવામાં આવશે. આ ઉપરાંત 6 ઓગસ્ટે યોજાનારી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન પૂર્વે 5મી ઓગસ્ટે સાંજે ભાજપ દ્વારા મહત્વની બેઠક યોજાશે. સંસ્કૃતિ મંત્રાલય બુધવારે સવારે 8.30 વાગ્યાથી લાલ કિલ્લાથી વિજય ચોક સુધી ત્રિરંગા બાઇક યાત્રા કાઢશે.
કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ મંગળવારે કહ્યું કે સંસ્કૃતિ મંત્રાલયે બુધવારે સાંસદો માટે ત્રિરંગા બાઇક રેલીનું આયોજન કર્યું છે. તેમણે તમામ રાજકીય પક્ષોના સાંસદોને આ રેલીમાં ભાગ લેવા વિનંતી કરી હતી. ભાજપ સંસદીય દળની બેઠક બાદ સંસદીય બાબતોના મંત્રી જોશીએ કહ્યું કે આ કાર્યક્રમ ભાજપ દ્વારા નહીં પરંતુ સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા આયોજિત કરવામાં આવી રહ્યો છે.
તેમણે તમામ પક્ષોના સાંસદોને આ કાર્યક્રમમાં ભાગ લેવા વિનંતી કરી હતી અને તેમને સવારે 8.30 વાગ્યે લાલ કિલ્લા પર પહોંચવા જણાવ્યું હતું. સંસદીય દળની બેઠકમાં ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ આઝાદીની 75મી વર્ષગાંઠના અવસર પર 9 ઓગસ્ટથી 15 ઓગસ્ટ વચ્ચે યોજાનાર કાર્યક્રમો વિશે ચર્ચા કરી હતી. તેમણે ‘હર ઘર ત્રિરંગા’ ઝુંબેશ પર ખૂબ ભાર મૂક્યો અને ભાજપના સાંસદોને તેમના સંબંધિત સંસદીય ક્ષેત્રના લોકોને તેની સાથે જોડવા વિનંતી કરી.
Published On - 12:01 pm, Tue, 2 August 22