Sidhu Moose Wala Murder: સિદ્ધુ મૂસેવાલાના 3 હુમલાખોરોની ઓળખ થઈ, ગોલ્ડી બ્રાર વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જાહેર
પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે પંજાબ પોલીસ સિદ્ધુ મૂસેવાલા હત્યા કેસની તપાસ માટે કેન્દ્રીય એજન્સીની મદદ લઈ રહી છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે હત્યામાં 6થી 7 હુમલાખોરો સામેલ હતા.
પંજાબી સિંગર અને કોંગ્રેસ નેતા સિદ્ધુ મૂસેવાલાના (Sidhu Moose Wala) મર્ડર કેસમાં મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આ હત્યાકાંડની તપાસ કરી રહેલી માનસા પોલીસ દિલ્હીની તિહાર જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની (Lawrence Bishnoi) રિમાન્ડમાં પૂછપરછ કરશે. આ સાથે કેનેડામાં બેઠેલા ગેંગસ્ટર ગોલ્ડી બ્રાર સામે રેડ કોર્નર નોટિસ પણ જાહેર કરવામાં આવશે. ગેંગસ્ટર ગોલ્ડી બ્રારે સિદ્ધુ મૂસેવાલાની હત્યાની જવાબદારી લીધી છે. જ્યારે લોરેન્સ બિશ્નોઈ પર પણ પોલીસને હત્યાની આશંકા છે.
પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે પંજાબ પોલીસ સિદ્ધુ મૂસેવાલા હત્યા કેસની તપાસ માટે કેન્દ્રીય એજન્સીની મદદ લઈ રહી છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે હત્યામાં 6થી 7 હુમલાખોરો સામેલ હતા. તેમાંથી 3 હુમલાખોરોની ઓળખ કરવામાં આવી છે. આ સાથે જ માનસા જિલ્લાના SSP ગૌરવ તુરાએ માહિતી આપી છે કે હત્યા માટે રચાયેલી SITને ઘણા મહત્વના પુરાવા મળ્યા છે.
SITને મહત્વની કડીઓ મળી
એસએસપીએ કહ્યું કે કડીઓના આધારે પોલીસે બે આરોપીઓને પ્રોડક્શન રિમાન્ડ પર લીધા છે. જેમાંથી એકની ધરપકડ કરવામાં આવી છે. તેમણે આશા વ્યક્ત કરી છે કે આ લોકોની પૂછપરછ કર્યા બાદ તપાસ વધુ સારી રીતે આગળ વધશે અને પોલીસ અસલી ગુનેગારો સુધી પહોંચવામાં સફળ થશે. તેમનું કહેવું છે કે પોલીસને ખાતરી છે કે આની પાછળ સંગઠિત ગેંગનો હાથ છે.
લોરેન્સ બિશ્નોઈએ દિલ્હી હાઈકોર્ટમાં દાખલ કરેલી અરજી પાછી ખેંચી
આ સાથે લોરેન્સ બિશ્નોઈએ દિલ્હી હાઈકોર્ટમાં સુરક્ષાની માંગ સાથે દાખલ કરેલી અરજી પણ પાછી ખેંચી લીધી છે. આ અરજીમાં તેણે કહ્યું હતું કે પંજાબ પોલીસ દ્વારા નકલી એન્કાઉન્ટરમાં માર્યા જવાની આશંકા હોવાથી તેની સુરક્ષા વધારવામાં આવે. લોરેન્સ બિશ્નોઈના વકીલે અગાઉ જસ્ટિસ સ્વરણકાંત શર્માને કોર્ટમાં અરજી પાછી ખેંચી લેવા વિનંતી કરી હતી. તેણે કહ્યું હતું કે તે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં અરજી કરવા માંગે છે.
ડીજીપીએ રવિવારે મોડી સાંજે પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપી હતી કે સિધુ મુસેવાલાની હત્યાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી છે. તેની હત્યા કરવા માટે બદમાશોએ 3 પ્રકારના હથિયારોનો ઉપયોગ કર્યો હતો. તેમની હત્યાના એક દિવસ પહેલા રાજ્ય સરકારે 424 લોકોની સુરક્ષા પાછી ખેંચી લીધી હતી. તેના પર ડીજીપીએ માહિતી આપી હતી કે મુસેવાલાને 4 કમાન્ડો મળ્યા છે. તેમની પાસેથી માત્ર 2 કમાન્ડો પાછા ખેંચાયા હતા. તેની સાથે બે કમાન્ડો હતા. પરંતુ રવિવારે બહાર જતી વખતે તેણે પોતાના કમાન્ડો અને બુલેટ પ્રુફ કાર સાથે લીધી ન હતી.