દિલ્હીમાં વધતા પ્રદૂષણને રોકવા માટે અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પ્રદૂષણને રોકવા માટે પેટ્રોલ ડીઝલથી ચાલતા વાહનોનો પણ ઓછો ઉપયોગ થાય તેના પર ભાર મુકવામાં આવ્યો હતો. આમ છતાં એક અભ્યાસમાં દિલ્હીમાં વધતા પ્રદૂષણ માટેનું એક ચોંકાવનારુ સત્ય બહાર આવ્યુ છે. પ્રાકૃતિક ગેસ એટલે ક CNGથી ચાલતા વાહનોથી પણ દિલ્હીમાં પ્રદૂષણ વધ્યુ હોય તેવી જાણકારી મળી છે.
દિલ્હી સ્ટેટ પોલ્યુશન કંટ્રોલ સેન્ટર ડીપીસીસીના વાસ્તવિક સમયના ડેટા પરથી જાણવા મળ્યું છે કે રાજધાનીમાં ઘણા સ્થળોએ NO2 સ્તર ચાર ગણા સુધી વધી ગયું છે. આ સ્થિતિ ત્યારે છે જ્યારે દિલ્હીમાં ડીઝલથી ચાલતા વાહનોના પ્રવાહ પર પ્રતિબંધ છે. આ NO2નો વધારો વધુ જોખમી હોવાની આશંકા છે.
એક અભ્યાસ મુજબ 1થી 25 નવેમ્બરની વચ્ચે રાજધાનીમાં સરેરાશ NO2 સ્તર 65 માઈક્રોગ્રામ પ્રતિ ઘન મીટર નોંધાયું છે. NO2ના ઉત્સર્જનનું મુખ્ય કારણ CNG વાહનોનો વધતો ઉપયોગ છે અને રાજધાનીમાં અસ્થમાના વધતા જતા કેસોનું આ વાસ્તવિક ગુનેગાર છે.
જાન્યુઆરી સુધીમાં દેશભરમાં કુલ CNG સ્ટેશનોની સંખ્યા 506 વધીને 2,713 થઈ ગઈ છે. નાણાકીય વર્ષ 2021ની શરૂઆતમાં આ સંખ્યા 2,207 હતી.
ગુજરાતમાં 1 એપ્રિલ 2020ના રોજ 636 સીએનજી સ્ટેશન હતા. જાન્યુઆરી 2021ના અંત સુધીમાં ગુજરાતમાં 102 સીએનજી સ્ટેશન વધી ગયા છે. એટલે હવે સીએનજી સ્ટેશનની સંખ્યા વધીને 738 થઈ ગઈ છે. રેટિંગ એજન્સી કેર રેટિંગ્સ દ્વારા આ માહિતી જાહેર કરવામાં આવી હતી, જેમાં પેટ્રોલિયમ અને પ્લાનિંગ એનાલિસિસના ડેટાને ટાંકવામાં આવ્યો હતો. ગુજરાતના આંકડાઓમાં દાદરા અને નગર હવેલી, દમણ અને દીવના CNG સ્ટેશનોનો સમાવેશ થાય છે.
યુરોપમાં સંશોધન સૂચવે છે કે CNG વાહનોમાંથી નીકળતા નેનો-મીટર કદના કણો કેન્સર, અલ્ઝાઈમર અને ફેફસાના રોગને ખુલ્લું આમંત્રણ છે. સલામત ઈંધણ તરીકે વાહનોમાં સીએનજીના ઉપયોગ અંગે સમગ્ર યુરોપમાં હાલમાં સંશોધન ચાલી રહ્યું છે.
જાણી લો કે ઈકો-ફ્રેન્ડલી કહેવાતું આ ઈંધણ પેટ્રોલ-ડીઝલ વાહનો કરતાં 100 ગણું વધુ ઘાતક 2.5 નેનોમીટરનું ઉત્સર્જન કરે છે. ખાસ કરીને શહેરી ટ્રાફિકમાં જ્યાં વાહનો ધીમી ગતિએ ચાલે છે, ભારત જેવા ગરમ વાતાવરણમાં સીએનજી વાહનો ડીઝલ વાહનો જેટલા જ મૃત્યુનું કારણ બને છે.
આ પણ વાંચો : ગુજરાત કોંગ્રેસમાં નવા પ્રમુખને લઈને ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, નેતાઓ જ કરવા લાગ્યા આક્રમક નેતૃત્વની માંગ