રાજસ્થાનમાં રાજકીય ઘટનાક્રમ વચ્ચે મુખ્યમંત્રી અશોક ગેહલોતના (Ashok Gehlot) નજીકના સૂત્રોએ મોટા સમાચાર આપ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, રાજધાની જયપુરમાં ગઈકાલે સાંજની ઘટના પછીના દિવસથી સીએમ અશોક ગેહલોતે કોંગ્રેસ (Congress) અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi) સાથે વાત થઈ નથી. જોકે ગેહલોતનું આગળનું પગલું હાઈકમાન્ડના નિર્ણય બાદ જ નક્કી થશે. આ સ્થિતિમાં ગેહલોત પાર્ટી હાઈકમાન્ડના આગામી સંદેશની રાહ જોઈ રહ્યા છે. સૂત્રએ એ પણ જણાવ્યું છે કે ઈન્ચાર્જ અને સુપરવાઈઝર અજય માકન અને મલ્લિકાર્જુન ખડગેના રિપોર્ટ પર સોનિયા ગાંધીના નિર્ણય પછી જે પણ નિર્ણય હશે, અશોક ગેહલોત તેમની સૂચના મુજબ પગલાં લેશે.
શું અશોક ગેહલોત કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડશે? આ સવાલના જવાબમાં ગેહલોતના નજીકના સૂત્રોએ કહ્યું કે પાર્ટી હાઈકમાન્ડ એટલે કે સોનિયા ગાંધીના નિર્દેશ પર બધુ નક્કી કરવામાં આવશે, કારણ કે વર્તમાન પરિસ્થિતિના રિપોર્ટ પર સોનિયા ગાંધીના નિર્ણય અને સંદેશની રાહ જોવાઈ રહી છે. સૂત્રોએ જણાવ્યું છે કે રાજ્યમાં આ રાજકીય સંકટ અંગે કોંગ્રેસના નિરીક્ષકો અજય માકન અને મલ્લિકાર્જુન ખડગેનો રિપોર્ટ હજુ તૈયાર નથી. લેખિત રિપોર્ટ સાંજ સુધીમાં સોનિયા ગાંધીને આપવામાં આવશે.
સૂત્રોએ જણાવ્યું કે પ્રભારી અને સુપરવાઈઝર માકન અને ખડગેએ ગઈકાલે જ સોનિયા ગાંધીને રાજસ્થાન સાથે સંબંધિત તેમનો મૌખિક રિપોર્ટ આપ્યો હતો. હવે લેખિત રિપોર્ટ કોંગ્રેસ અધ્યક્ષને મળીને અથવા ઈમેલ દ્વારા પણ મોકલી શકાશે. જયપુરમાં આ ઘટનાક્રમ ધારાસભ્ય દળની બેઠકમાં ગેહલોતના ઉત્તરાધિકારીની પસંદગીની સંભાવનાઓ વચ્ચે થયો હતો.
આ દરમિયાન ઓસિયાના ધારાસભ્ય દિવ્યા મદેરણાએ રાજકીય સંકટ પર મોટું નિવેદન આપ્યું છે. મદેરણાએ કહ્યું કે, હાઈ કમાન્ડ સર્વોપરી છે. ધારાસભ્યોએ આપેલો 92 ધારાસભ્યોનો આંકડો ખોટો છે. પ્રતાપસિંહ ખાચરીયાવાસ ખોટુ બોલી રહ્યા છે. 4 લોકોએ મળીને સ્ક્રિપ્ટ બનાવી છે, જેના કારણે આ રાજકીય હંગામો થયો છે. હું ચીફ વ્હીપ મહેશ જોશીના આદેશનું પાલન કરીશ નહીં, ભલે તે અનુશાસનહીન ગણાય. હાઈકમાન્ડ જે પણ નિર્ણય લેશે તે હું સ્વીકારીશ.
અગાઉ સીએમ અશોક ગેહલોતના વફાદાર મંત્રી પ્રતાપ સિંહ ખાચરિયાવાસે કહ્યું હતું કે, માનેસર (2020 માં) જનારાઓ સામે શિસ્તબદ્ધ કાર્યવાહી થવી જોઈતી હતી. ધારાસભ્યો સોનિયા ગાંધીના નિર્ણયને સ્વીકારવા તૈયાર છે.
Published On - 1:13 pm, Tue, 27 September 22