બીજેપી હેડક્વાર્ટર ખાતે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક યોજાવા જઈ રહી છે. પીએમ મોદી (Narendra Modi) પણ ટૂંક સમયમાં બેઠકમાં હાજરી આપશે. માનવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં ભાજપ દ્વારા રાષ્ટ્રપતિ પદના ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવશે. નોંધનીય છે કે રાષ્ટ્રપતિની ચૂંટણીના સંદર્ભમાં યોજાનારી બીજેપી સંસદીય બોર્ડની મહત્વપૂર્ણ બેઠક પહેલા કેન્દ્રીય મંત્રી અમિત શાહ (Amit Shah) અને રાજનાથ સિંહે પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાની સાથે ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુ સાથે મુલાકાત કરી હતી.
આ બેઠક બાદથી જ એવી અટકળો ચાલી રહી છે કે શું સત્તારૂઢ નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) નાયડુને રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઉમેદવાર બનાવવાનું વિચારી રહ્યું છે. નાયડુ સાથે શાહ, રાજનાથ અને નડ્ડાની મુલાકાત એટલા માટે જરૂરી માનવામાં આવી રહી છે કારણ કે આજે બીજેપી સંસદીય બોર્ડની બેઠક યોજાઈ રહી છે. આ બેઠકમાં NDAના રાષ્ટ્રપતિ પદના ઉમેદવારના નામ પર મંથન થવાનું છે.
તમને જણાવી દઈએ કે જેપી નડ્ડા અને રાજનાથ સિંહે રાષ્ટ્રપતિ પદના ઉમેદવારના નામ પર સહમતિ માટે એનસીપી ચીફ શરદ પવાર, તૃણમૂલ કોંગ્રેસ ચીફ મમતા બેનર્જી, જેડીયુ ચીફ નીતીશ કુમાર, બીજેડી ચીફ નવીન પટનાયક અને નેશનલ કોન્ફરન્સના ચીફ ફારૂક અબ્દુલ્લા સહિત અન્ય વરિષ્ઠ નેતાઓ સાથે વાત કરી છે. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં સંખ્યાના આધારે ભાજપના નેતૃત્વમાં એનડીએ મજબૂત સ્થિતિમાં છે. જો તેને આંધ્રપ્રદેશમાં બીજેડી અથવા સત્તાધારી વાયએસઆર કોંગ્રેસ જેવી પાર્ટીઓનું સમર્થન મળે છે, તો તેની જીત નિશ્ચિત ગણાશે.
રાષ્ટ્રપતિ ચૂંટણી 2022 માટે વિપક્ષે પોતાના સામાન્ય ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી છે. વિપક્ષ તરફથી યશવંત સિંહા રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર હશે. ઉલ્લેખનીય છે કે વિપક્ષ પૂર્વ કેન્દ્રીય મંત્રી યશવંત સિન્હાના નામ પર રાષ્ટ્રપતિ ચૂંટણીના સંભવિત સંયુક્ત ઉમેદવાર તરીકે વિચાર કરી રહ્યો હતો. કેટલાક વિપક્ષી પક્ષોએ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે ગયા વર્ષે તૃણમૂલ કોંગ્રેસમાં જોડાનાર ભાજપના ભૂતપૂર્વ નેતા સિંહાના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેના પર સહમતિ બની હતી. જણાવી દઈએ કે સિંહા બે વખત કેન્દ્રીય નાણામંત્રી રહી ચૂક્યા છે. પ્રથમ વખત તેઓ 1990માં ચંદ્રશેખરની સરકારમાં અને પછી અટલ બિહારી વાજપેયીની સરકારમાં નાણામંત્રી હતા. તેઓ વાજપેયી સરકારમાં વિદેશ મંત્રી પણ હતા.
Published On - 7:07 pm, Tue, 21 June 22