ભારતીય જનતા પાર્ટી (Bharatiya Janata Party)ના લોકસભા સાંસદ રવિ કિશન (Ravi Kishan)આજે શુક્રવારે વસ્તી નિયંત્રણ (Population Control) પર પ્રાઈવેટ મેમ્બર બિલ રજૂ કરશે. આ બિલ એવા સમયે રજૂ કરવામાં આવી રહ્યું છે જ્યારે સંયુક્ત રાષ્ટ્ર (UN)ના એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારત આવતા વર્ષે 2023માં વિશ્વના સૌથી વધુ વસ્તી ધરાવતા દેશ તરીકે ચીનને પણ પાછળ છોડી દેશે. આ પહેલા ગયા મહિને 30 જૂને સંયુક્ત રાષ્ટ્રના એક અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે ભારતની શહેરી વસ્તી 2035 સુધીમાં 67.5 કરોડ થઈ જવાનો અંદાજ છે અને આ કિસ્સામાં દેશ ચીનની એક અબજ શહેરી વસ્તીની સરખામણીએ બીજા ક્રમે રહેશે. રિપોર્ટ અનુસાર, કોરોના મહામારી પછી, વિશ્વમાં શહેરોમાં રહેનારા લોકોની સંખ્યા અગાઉના સ્તરે પહોંચી ગઈ છે અને 2050 સુધીમાં તેમાં 2.2 અબજનો વધારો થવાની સંભાવના છે.
વિશ્વમાં શહેરીકરણ અંગે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જાહેર કરાયેલા રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ઝડપથી થઈ રહેલા શહેરીકરણ પર કોરોના મહામારીની અસ્થાયી અસર પડી છે અને તેની ગતિ થોડા સમય માટે ધીમી પડી છે. તે જણાવે છે કે વૈશ્વિક શહેરી વસ્તી અગાઉના સ્તરે આવી ગઈ છે અને 2050 સુધીમાં તેમાં 2.2 અબજનો વધારો થવાનો અંદાજ છે.
રિપોર્ટમાં એવુ પણ કહેવામાં આવ્યું છે કે ભારતની શહેરી વસ્તી 2020 માં 48 કરોડ 30 લાખ 99,000 થી વધીને 2035 માં 67 કરોડ 54 લાખ 56,000 સુધી પહોંચવાનો અંદાજ છે. તો 2025 સુધીમાં 54 કરોડ 27 લાખ 43000 અને 2030 સુધીમાં 60 કરોડ 73 લાખ 42,000 થવાની સંભાવના છે. સાથે જ વર્ષ 2035 સુધીમાં શહેરી વિસ્તારોમાં રહેતા લોકોની ટકાવારી કુલ વસ્તીના 43.2 ટકા થઈ જશે.
આ રિપોર્ટમાં ચીન અંગે કહેવામાં આવ્યુ છે કે વર્ષ 2030 સુધીમાં શહેરી વસ્તી 1.05 અબજ થઈ જશે. જ્યારે એશિયાના શહેરોમાં રહેનારા લોકોની વસ્તી 2.99 અબજ થઈ જશે. દક્ષિણ એશિયામાં આ વસ્તી 98.76 કરોડ હશે.
સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટ અનુસાર ચીન અને ભારત જેવી મોટી અર્થવ્યવસ્થાઓની વૈશ્વિક વસ્તીનો એક હિસ્સો ધરાવે છે અને આ દેશોમાં આર્થિક વૃદ્ધિથી વૈશ્વિક અસમાનતા પર સકારાત્મક અસર થઈ છે.