PM નરેન્દ્ર મોદીએ આદિવાસી ગૌરવ દિવસ પર શરૂ કરી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’, જાણો શું છે સરકારની આ પહેલનો હેતુ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 નવેમ્બર, 2023 ના રોજ બિરસા મુંડાની જન્મજયંતિ પર 'વિકસિત ભારત સંકલ્પ યાત્રા' શરૂ કરી હતી. આદિવાસી ગૌરવ દિવસથી શરૂ થયેલી આ યાત્રા આવતા વર્ષે ગણતંત્ર દિવસ એટલે કે, 26 જાન્યુઆરી 2024 સુધી ચાલુ રહેશે. યાત્રાના અમલીકરણની જવાબદારી કેન્દ્ર સરકાર હેઠળના જુદા-જુદા મંત્રાલયોને સોંપવામાં આવી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 નવેમ્બરે આદિવાસી ગૌરવ દિવસ પર ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ શરૂ કરી છે. કેન્દ્ર સરકારની આ પહેલ ઝારખંડના ખુંટી જિલ્લામાંથી શરૂ થઈ છે. ત્યારબાદ દેશના જુદા-જુદા ભાગોમાં શરૂ કરવામાં આવી હતી. આ ભારત સંકલ્પ યાત્રા મોદી સરકાર દ્વારા છેલ્લા વર્ષોમાં કરવામાં આવેલા તમામ લોક કલ્યાણના કાર્યક્રમોને રજૂ કરશે.
આ ઉપરાંત યાત્રા દ્વારા આદિવાસીઓની આજીવિકા સુધારવા માટેની સરકારની યોજનાઓને પણ ઉજાગર કરવામાં આવશે. આ યાત્રા દેશના 24 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 68 જિલ્લાઓની 8,500થી વધારે ગ્રામ પંચાયતોમાંથી પસાર થશે.
લોક કલ્યાણના કાર્યક્રમનો સંદેશો જનતા સુધી પહોંચશે
આદિવાસી સમુદાયોની વિવિધ ગ્રામ પંચાયતોમાં સરકારના લોક કલ્યાણ કાર્યક્રમોનો સંદેશો ફેલાવવા માટે પાંચ ICE વાન તૈયાર કરવામાં આવી છે. આ ICE વાન કેન્દ્ર સરકારના લોક કલ્યાણના કાર્યક્રમનો સંદેશો પાયાના સ્તરે પહોંચાડવા માટે દરેક જિલ્લામાં પ્રવાસ કરશે. આ યાત્રા ઝારખંડ, ઉત્તર પ્રદેશ, અરુણાચલ પ્રદેશ, આસામ, નાગાલેન્ડ, મહારાષ્ટ્ર, જમ્મુ અને કાશ્મીર, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, ગુજરાત, ઓડિશા, તમિલનાડુ, કેરળ વગેરે રાજ્યોમાં શરૂ કરવામાં આવી છે.
જાણો શું છે યાત્રાનો હેતુ
કેન્દ્ર સરકારે સામાન્ય જનતા માટે જુદા-જુદા વિષયો પર અનેક કાર્યક્રમો શરૂ કર્યા છે. પરંતુ ઘણી વખત આ કાર્યક્રમોની જાણકારી લોકો સુધી પહોંચી શકી નથી. જેના કારણે તેઓ સરકારી સહાયના લાભથી વંચિત રહી જાય છે. તેથી આ યાત્રાનો એક ઉદ્દેશ્ય દેશના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા લોકોને સરકારના પ્રોજેક્ટ્સની માહિતી આપવાનો છે.
આ ઉપરાંત એક ઉદ્દેશ્ય કેન્દ્ર સરકારની યોજનાઓ વિશે જાગૃતિ લાવવાનો છે. ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ નો એક ઉદ્દેશ્ય વિવિધ સરકારી યોજનાઓ વિશે લોકો શું વિચારે છે, જો તેમની પાસે કોઈ સૂચનો હોય તો તેનું ડોક્યુમેન્ટેશન કરવાનો છે.
યાત્રા આવતા વર્ષે 26 જાન્યુઆરી 2024 સુધી ચાલશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 નવેમ્બર, 2023 ના રોજ બિરસા મુંડાની જન્મજયંતિ પર ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ શરૂ કરી હતી. આદિવાસી ગૌરવ દિવસથી શરૂ થયેલી આ યાત્રા આવતા વર્ષે ગણતંત્ર દિવસ એટલે કે, 26 જાન્યુઆરી 2024 સુધી ચાલુ રહેશે.
આ પણ વાંચો : PM બન્યા પાયલટ, બેંગલુરુમાં નરેન્દ્ર મોદીએ તેજસ ફાઈટર જેટમાં ભરી ઉડાન, જુઓ વીડિયો
‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ના અમલીકરણની જવાબદારી કેન્દ્ર સરકાર હેઠળના જુદા-જુદા મંત્રાલયોને સોંપવામાં આવી છે. આ યાત્રાને સફળ બનાવવા માટે કૃષિ મંત્રાલય, ગ્રામીણ વિકાસ મંત્રાલય અને આદિજાતિ કલ્યાણ મંત્રાલયની મોટી જવાબદારી સોપવામાં આવી છે. આ ઉપરાંત અન્ય મંત્રાલયો પણ યાત્રાને સફળ બનાવવા માટે કાર્યરત છે.