PM મોદી 23 ઓક્ટોબરે જશે અયોધ્યા, રામલલાના દર્શન કરી મંદિર નિર્માણકાર્યની કરશે સમીક્ષા
આ વર્ષે દિવાળી પર અયોધ્યામાં 17 લાખ દીવડાઓ પ્રગટાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. જ્યારે ગયા વર્ષે કુલ નવ લાખ દીવાઓ પ્રગટાવવામાં આવ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિવાળીના અવસર પર આગામી 23 ઓક્ટોબરે અયોધ્યા (Ayodhya) જઈ શકે છે. પીએમઓના સૂત્રોના જણાવ્યા અનુસાર, વડાપ્રધાન મોદી આ વખતે અયોધ્યામાં દિવાળી મનાવશે. દિવાળીના અવસર પર તેઓ સૌથી પહેલા રામલલાના દર્શન કરશે. આ પછી તેઓ રામ મંદિર નિર્માણના પ્રગતિ અહેવાલ જોઈને મંદિર નિર્માણકાર્યની સમીક્ષા પણ કરશે. આ પહેલા તેઓ 21-22 ઓક્ટોબરે બદ્રીનાથ (Badrinath) અને કેદારનાથની(Kedarnath)મુલાકાત લેશે. જ્યાં તેઓ દર્શન પૂજાની સાથે કેદારનાથમાં ચાલી રહેલા વિકાસ પ્રોજેક્ટનું પણ નિરીક્ષણ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi) ગયા વર્ષે દેશની સરહદો પર જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી.
દિવાળી પર વડાપ્રધાન અયોધ્યા પહોંચવાની માહિતી મળતાં જ જિલ્લા વહીવટીતંત્ર અને ઉત્તર પ્રદેશ સરકારે તૈયારીઓ શરૂ કરી દીધી છે. અયોધ્યામાં ઉત્તર પ્રદેશ સરકારનો આ છઠ્ઠો દીપોત્સવ હશે. દર વર્ષે રામ કી પૈડી ઘાટ પર આયોજિત આ કાર્યક્રમમાં ખુદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ પહોંચી રહ્યા છે. આ વખતે વડાપ્રધાનની સાથે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર રહેશે. આ કાર્યક્રમનું આયોજન ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ વર્ષે દિવાળી પર અયોધ્યામાં 17 લાખ દીવડાઓ પ્રગટાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. જ્યારે ગયા વર્ષે કુલ નવ લાખ દીવાઓ પ્રગટાવવામાં આવ્યા હતા. જયારે, વર્ષ 2020 માં કુલ 5.84 લાખ દીવાઓ પ્રગટાવવામાં આવ્યા હતા.
બદ્રીનાથ માસ્ટર પ્લાનની સમીક્ષા કરશે
પીએમઓ તરફથી મળેલી માહિતી અનુસાર, વડાપ્રધાન બદ્રીનાથમાં જ રાત્રિ વિરામ કરશે અને બીજા દિવસે ફરી દર્શન પૂજા કરશે. આ રોકાણ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી બદ્રીનાથના માસ્ટર પ્લાનની સમીક્ષા કરશે. વડાપ્રધાનના આ કાર્યક્રમ દરમિયાન ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી પણ હાજર રહેશે. તેઓ 11 ઓક્ટોબરે બદ્રીનાથ પણ પહોંચ્યા હતા. આ દરમિયાન, તેમણે મીડિયાને કહ્યું કે તમામ ચાલુ પ્રોજેક્ટ્સને વહેલી તકે પૂર્ણ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તમામ પોઈન્ટ પર કામ ઝડપથી ચાલી રહ્યું છે.
વડાપ્રધાનની દેખરેખ હેઠળ થઈ રહ્યા છે વિકાસકાર્ય
મુખ્યમંત્રી ધામીએ કહ્યું હતું કે વડાપ્રધાન પોતે કેદારનાથના નિર્માણ કાર્ય પર નજર રાખી રહ્યા છે. તેમના માર્ગદર્શિકા પર અહીં કામકાજ ચાલી રહ્યું છે. તેમણે માહિતી આપી હતી કે આ પ્રોજેક્ટ ડિસેમ્બર 2023માં પૂર્ણ થશે. મુખ્યમંત્રીએ કહ્યું કે તેમણે કેદારનાથમાં અન્ય પુનઃવિકાસ પ્રોજેક્ટોની સમીક્ષા કરી છે. આ સિવાય બદ્રીનાથ માસ્ટર પ્લાન માટે પણ કામ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. આ તમામ પ્રોજેક્ટ પર વડાપ્રધાનની પણ ખાસ નજર છે.