ઓવૈસીએ કહ્યું, પાકિસ્તાનને એવો જવાબ આપો કે તે બીજીવાર કોઈ કૃત્ય કરતાં પહેલા 100 વાર વિચાર કરે
AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ કાશ્મીરની મુલાકાત દરમિયાન પહલગામ આતંકવાદી હુમલાની કડક નિંદા કરી છે અને પાકિસ્તાનને કડક જવાબ આપવાની માંગ કરી છે.

AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ કાશ્મીરની મુલાકાત દરમિયાન પહલગામ આતંકવાદી હુમલાની કડક નિંદા કરી છે અને પાકિસ્તાનને કડક જવાબ આપવાની માંગ કરી છે. તેમણે કહ્યું કે, ભારતે એવી કાર્યવાહી કરવી જોઈએ કે પાકિસ્તાન બીજીવાર કોઈ પગલું ભરતા 100 વાર વિચારે. પાકિસ્તાની સેના સંબંધો બગાડી રહી છે. પાકિસ્તાની સેનાની આદત જ છે કે તેઓ બીજાનું વાતાવરણ બગાડે.
AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસી મંગળવારે કાશ્મીર પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે પહલગામ આતંકવાદી હુમલા અંગે ઘણી મહત્વપૂર્ણ વાતો કહી હતી. તેમણે કહ્યું કે, પાકિસ્તાનને હવે પાઠ ભણાવવાનો સમય આવી ગયો છે. ઓવૈસીએ કહ્યું, અમે સરકારને આતંકવાદીઓ સામે કાર્યવાહી કરવા કહ્યું છે. પાકિસ્તાનને જવાબ આપવો જરૂરી છે. પહલગામના ગુનેગારો માણસ કહેવાને લાયક નથી.
પાકિસ્તાન 100 વાર વિચારે
અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું, યુએનનો ઠરાવ આપણને કાર્યવાહી કરવાનો અધિકાર આપે છે. પહલગામમાં લોકોને તેમનો ધર્મ પૂછ્યા પછી ગોળી મારી દેવામાં આવી હતી. ભારતે એવી કાર્યવાહી કરવી જોઈએ કે જેથી બીજીવાર આવું કૃત્ય ના કરે. તેમણે વધુમાં કહ્યું કે, જવાબ એવો આપવો કે પાકિસ્તાન 100 વાર વિચાર કરે. પાકિસ્તાની સેના સંબંધો બગાડી રહી છે. પાકિસ્તાની સેના બંને દેશો વચ્ચેના સંબંધો સુધરવા માંગતી નથી. હવે પાકિસ્તાનને FATFની ગ્રે લિસ્ટમાં મૂકવું જરૂરી છે.
સીરિયામાં તુર્કીએ જે કર્યું તે હવે ભારતે કરવું જોઈએ
ઓવૈસીએ કહ્યું, આ વખતે ફક્ત હુમલો ન કરો, ત્યાં જઈને બેસી પણ જાઓ. ભારત માટે પાકિસ્તાનના નોન સ્ટેટ એક્ટર્સને સજા આપવી જરૂરી છે. જેમ તુર્કીએ સીરિયામાં ઘૂસીને નોન સ્ટેટ એક્ટર્સ પર હુમલો કર્યો તેમ ભારતે પણ તે જ કરવું જોઈએ. જો પાકિસ્તાન કહે છે કે, સિંધુ જળ સંધિનું ઉલ્લંઘન કરવું એ યુદ્ધનું કૃત્ય છે, તો તેમણે પહલગામમાં શું કર્યું છે?
પાકિસ્તાને બધી હદો વટાવી
ઓવૈસીએ પોતાનો મુદ્દો રજૂ કર્યો અને કહ્યું કે, પાકિસ્તાનમાં સુધારાનો સમય આવી ગયો છે. હવે ભારત સરકારે આ નિર્ણય લેવો પડશે. હું સરકારના દરેક નિર્ણય સાથે છું. હવે આતંકવાદ બંધ થવો જ જોઇએ. હવે પાકિસ્તાને બધી હદો વટાવી દીધી છે. તેમણે પહલગામ આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનાર લેફ્ટનન્ટ વિનય નરવાલની પત્ની હિમાંશીને ટ્રોલ કરનારાઓ પર પણ પ્રહારો કર્યા હતા. ઓવૈસીએ કહ્યું, હિમાંશી વિરુદ્ધ બોલતા લોકોને શરમ આવવી જોઈએ.