NSA ની બેઠકમાં આતંકવાદ અને ડ્રગ્સની હેરાફેરી પર થશે ચર્ચા, આ કારણથી બેઠકમાં નહી જોડાય ચીન
NSA ની બેઠક 10મી નવેમ્બરે બોલાવવામાં આવી છે. કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન, તુર્કમેનિસ્તાન અને ઉઝબેકિસ્તાનના ટોચના સુરક્ષા અધિકારીઓ પણ બેઠકમાં ભાગ લેશે.
આવતીકાલે એટલે કે 10મી નવેમ્બરે ભારતમાં એનએસએ સ્તરની (NSA Level) પ્રાદેશિક પરિષદ યોજાવા જઈ રહી છે. એનએસએ અજીત ડોભાલ (Ajit Doval) આ કોન્ફરન્સની અધ્યક્ષતા કરશે. આ કોન્ફરન્સ અફઘાનિસ્તાનને લઈને યોજાશે. મળતી માહિતી મુજબ આ કોન્ફરન્સમાં 7 દેશોના એનએસએ સામેલ થશે, જેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે પણ મુલાકાત કરશે. આ કોન્ફરન્સમાં આતંકવાદ, કટ્ટરતા અને ડ્રગ્સની હેરાફેરી રોકવા પર ચર્ચા કરવામાં આવશે. કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન, તુર્કમેનિસ્તાન અને ઉઝબેકિસ્તાનના ટોચના સુરક્ષા અધિકારીઓ પણ બેઠકમાં ભાગ લેશે. જોકે ચીન અને પાકિસ્તાન આ કોન્ફરન્સમાં ભાગ લેશે નહીં. આ વિશે માહિતી આપતા ચીને કહ્યું છે કે તે નિર્ધારિત કારણોસર બેઠકમાં ભાગ લઈ શકશે નહીં.
ચીનના વિદેશ મંત્રાલય તરફથી આ કારણ જણાવવામાં આવ્યું
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગ વેનબિને મંગળવારે કહ્યું, “સમયબદ્ધ કારણોસર, ચીન માટે બેઠકમાં હાજરી આપવી અસુવિધાજનક છે.” વાંગને પૂછવામાં આવ્યું કે ચીન “અફઘાનિસ્તાન પર દિલ્હી ક્ષેત્રીય સુરક્ષા સંવાદ” માં શા માટે ભાગ નહીં લે ? આના પર વાંગે કહ્યું કે અમે પહેલાથી જ ભારતીય પક્ષને અમારો જવાબ આપી દીધો છે.
જ્યારે આ તરફ, પાકિસ્તાન આ પહેલાં પણ આ બેઠકમાંથી ખસી ગયું હતું. પાકિસ્તાનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર મોઈદ યુસુફે ગયા અઠવાડિયે કહ્યું હતું કે તેઓ અફઘાનિસ્તાન પર ભારત દ્વારા આયોજિત થનારી બેઠકમાં ભાગ લેશે નહીં, સાથે જ અફઘાનિસ્તાનમાં શાંતિ નિર્માતા તરીકે નવી દિલ્હીની ભૂમિકાને પણ નકારી કાઢી હતી. અગાઉ 2018 અને 2019માં ઈરાનમાં યોજાયેલી બેઠકમાં ભારતની ભાગીદારીના કારણે પાકિસ્તાને ભાગ લેવાનો ઈન્કાર કરી દીધો હતો.
બેઠકમાં ભાગ લેનારા કોઈપણ દેશોએ તાલિબાનને માન્યતા આપી નથી. રસપ્રદ વાત એ છે કે પાકિસ્તાન અને ચીને પણ હજુ સુધી તાલિબાનને માન્યતા આપી નથી. વિદેશ મંત્રાલયે કહ્યું કે તમામ દેશોનું પ્રતિનિધિત્વ તેમના સંબંધિત રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો અથવા સુરક્ષા પરિષદના સચિવો કરશે.