4થી વધુ બાળકો ધરાવતા પરિવારોને નહીં મળે સરકારી લાભ, મણિપુર સરકારનો મોટો નિર્ણય
વસ્તી વધારાને રોકવા માટે મણિપુર સરકારે મોટો નિર્ણય લીધો છે. આ મુજબ રાજ્યમાં ચારથી વધુ બાળકો ધરાવતા પરિવારોને સરકારી યોજનાઓનો લાભ આપવામાં આવશે નહીં. અધિકારીઓએ આ માહિતી આપી હતી

વસ્તી વધારાને રોકવા માટે મણિપુર સરકારે મોટો નિર્ણય લીધો છે. આ મુજબ રાજ્યમાં ચારથી વધુ બાળકો ધરાવતા પરિવારોને સરકારી યોજનાઓનો લાભ આપવામાં આવશે નહીં. અધિકારીઓએ આ માહિતી આપી હતી. ગુરુવારે મુખ્યમંત્રી એન બિરેન સિંહની આગેવાની હેઠળની રાજ્ય કેબિનેટે વટહુકમ તરીકે મણિપુર રાજ્ય વસ્તી આયોગની સ્થાપનાને મંજૂરી આપી હતી.
આ દરમિયાન નિર્ણય લેવામાં આવ્યો હતો કે, ચારથી વધુ બાળકો ધરાવતા પરિવારોને કોઈ સરકારી લાભ આપવામાં આવશે નહીં. મણિપુર સ્ટેટ પોપ્યુલેશન કમિશન હેઠળ એકવાર આ નિર્ણય લાગુ થયા પછી, જો કોઈ દંપતિને ચારથી વધુ બાળકો હોય, તો તે પરિવારના કોઈપણ સભ્યને કોઈ સરકારી લાભ નહીં મળે. રાજ્ય વિધાનસભાએ અગાઉ રાજ્યમાં વસ્તી આયોગની સ્થાપના માટે ખાનગી સભ્યના ઠરાવને સર્વસંમતિથી અપનાવ્યો હતો.
મણિપુરની વસ્તી 2011માં 28.56 લાખ હતી.
2001માં મણિપુરની વસ્તી 22.93 લાખ હતી. આ પછી 2011માં તે વધીને 28.56 લાખ થઈ ગઈ. અગાઉ આસામે આદેશ જાહેર કર્યો હતો. તેમાં કહેવામાં આવ્યું છે કે, 1 જાન્યુઆરી, 2021ના રોજ અથવા તે પછી, બેથી વધુ બાળકો ધરાવતા કોઈપણ વ્યક્તિને સરકારી નોકરીનો લાભ આપવામાં આવશે નહીં.
ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય ખુમુક્કમ જોયકિસને રાજ્યમાં બહારના લોકોની કથિત ઘૂસણખોરી અંગેનો ઠરાવ રજૂ કર્યો હતો. સત્તાવાર આંકડાઓને ટાંકીને, તેમણે કહ્યું હતું કે, 1971-2001 દરમિયાન મણિપુરના પહાડી જિલ્લાઓમાં વસ્તી વૃદ્ધિ 153.3% હતી, જે 2001 થી 2011 દરમિયાન વધીને 250 ટકા થઈ ગઈ હતી.
દેશમાં વસ્તી નિયંત્રણ એક મોટો મુદ્દો છે
દેશમાં વસ્તી નિયંત્રણ એક મોટો મુદ્દો છે. આ દિવસોમાં દેશમાં આને લઈને હોબાળો ચાલી રહ્યો છે. તાજેતરમાં જ આરએસએસના વડા મોહન ભગતે કહ્યું હતું કે, સરકારે વસ્તી નિયંત્રણને લઈને વસ્તી નીતિ તૈયાર કરવી જોઈએ. તેમણે એમ પણ કહ્યું હતું કે, આ નીતિ તમામ સમુદાયોને સમાન રીતે લાગુ થવી જોઈએ. ભાગવતે કહ્યું કે દેશમાં વસ્તી નિયંત્રણ એક એવો મુદ્દો છે જેને અવગણી શકાય નહીં.