પંજાબમાં કોંગ્રેસના અધ્યક્ષ પદ પરથી રાજીનામુ આપી ચૂકેલા નવજોત સિદ્ધુ (Navjot Singh Sidhu)એ શુક્રવારે પાર્ટીના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi) સાથે મુલાકાત કરી.
તેના એક દિવસ પહેલા જ તેમને કોંગ્રેસના સંગઠન મહાસચિવ કે.સી.વેણુગોપાલ અને પંજાબ પ્રભારી રહીશ રાવત સાથે મુલાકાત કરી હતી અને તે મુદ્દાઓ સાથે વરિષ્ઠ નેતાઓને અવગત કરાયા હતા, જેને લઈને તેમને પદ છોડ્યુ હતું. સુત્રોનું કહેવું છે કે રાહુલ ગાંધીને મળ્યા બાદ સિદ્ધુના રાજીનામા સાથે સંબંધિત ચર્ચા સમાપ્ત થઈ શકે છે અને સિદ્ધુ તેમના પદ પર રહી શકે છે.
રાજીનામાંની જાહેરાત બાદ સિદ્ધુએ પ્રથમવખત કોંગ્રેસના ટોચના નેતાઓ સાથે મુલાકાત કરી છે. સુત્રો મુજબ ગુરૂવારે કોંગ્રેસ મુખ્યાલય પર લગભગ સવા કલાક સુધી ચાલેલી બેઠકમાં પંજાબ સરકાર અને સંગઠન સાથે જોડાયેલા મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી અને સહમતિ બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, જેથી ચૂંટણી પહેલા પુરી પાર્ટી એકજૂટ થઈને મેદાનમાં ઉતરી શકે.
સુત્રોએ જણાવ્યું કે હાલમાં પ્રદેશ કોંગ્રસ કમિટીના નેતૃત્વમાં ફેરફારની શક્યતા ઓછી છે, કારણ કે વિધાનસભા ચૂંટણીમાં થોડા મહિનાની વાર છે. કોંગ્રેસ હાઈકમાન્ડ સિદ્ધુના રાજીનામા અંગે અને પક્ષ માટે સન્માનજનક નિર્ણય લઈ શકે છે, એવું માનવામાં આવે છે કે ‘બહુ જલ્દી’ નિર્ણય લેવામાં આવી શકે છે.
બેઠક બાદ સિદ્ધુએ કહ્યું હતું કે ‘મેં પંજાબ અને પંજાબીઓથી જોડાયેલી ચિંતાઓને પાર્ટી હાઈકમાન્ડને અવગત કરી છે. મને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીજી અને પ્રિયંકા ગાંધીજી પર પુરો વિશ્વાસ છે, તે જે પણ નિર્ણય કરશે, તે કોંગ્રેસ અને પંજાબના હિતમાં હશે’. હું તેમના નિર્દેશોનું પાલન કરીશ. ઉલ્લેખનીય છે કે સિદ્ધુએ 28 સપ્ટેમ્બરે અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપ્યું હતું. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને લખેલા પત્રમાં સિદ્ધુએ કહ્યું હતું કે તે પાર્ટીની સેવા કરવાનું ચાલુ રાખશે.
તેમને પત્રમાં લખ્યું હતું કોઈ પણ વ્યક્તિ કે વ્યક્તિત્વનું પતન સમાધાનથી શરૂ થાય છે. હું પંજાબના ભવિષ્ય અને પંજાબના કલ્યાણના એજન્ડાને લઈ કોઈ સમાધાન નહીં કરૂ. કોંગ્રેસ હાઈકમાન્ડે અત્યારે સુધી સિદ્ધુના રાજીનામાનો સ્વીકાર નથી કર્યો. કેપ્ટન અમરિન્દ્રર સિંહ મુખ્યપ્રધાન પરથી હટ્યા બાદ ચરણજીત સિંહ ચન્નીને આ જવાબદારી સોંપવામાં આવી હતી. તે દરમિયાન પણ ચર્ચા હતી કે સિદ્ધુ મુખ્યપ્રધાન ચન્નીની કાર્યશૈલીને લઈ ખુશ નથી.
આ પણ વાંચો: કોંગ્રેસમાં ગાબડું : વાવ વિધાનસભા મતવિસ્તારમાં 500 કોંગસી કાર્યકરો ધારણ કર્યો કેસરિયો