અમૃતસરના સાંસદનું વિચિત્ર નિવેદન, કહ્યું અમૃતપાલે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરવાની જરુર નથી, પાકિસ્તાન ભાગી જવું જોઈએ
આ પહેલીવાર નથી જ્યારે શિરોમણી અકાલી દળના નેતા અને સાંસદ સિમરનજીત સિંહે અમૃતપાલ સિંહને લઈને આવી વાતો કરી હોય. આ પહેલા પણ તેઓ પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં રહ્યા છે.
અમૃતપાલ સિંહનો જીવ જોખમમાં છે, તેથી તેણે પાકિસ્તાન ભાગી જવું જોઈએ. તેણે પોલીસ સમક્ષ આત્મસમર્પણ ન કરવું જોઈએ અને રાવી નદી પાર કરીને પાકિસ્તાન ભાગી જવું જોઈએ આ સલાહ શિરોમણી અકાલી દળ (અમૃતસર)ના નેતા અને લોકસભા સાંસદ સિમરનજીત સિંહે આપ્યું છે. અમૃતપાલ સિંહ લગભગ બે અઠવાડિયાથી પંજાબ પોલીસને ચકમો આપી રહ્યો છે. ત્યારે અમૃતસરના નેતાની આવી સલાહે ખળભળાટ મચાવી દીધો છે
આત્મસમર્પણ કરવાની જરુર નથી – સિમરનજીત સિંહ
લોકસભા સાંસદ સિમરનજીત સિંહે કહ્યું હતુ કે અમૃતપાલ ક્યારેક તે દિલ્હીમાં જોવા મળે છે તો ક્યારેક પંજાબના ગામડાઓમાં જોવા મળે છે. બુધવારે ચર્ચા હતી કે અમૃતપાલ સિંહ અકાલ તખ્ત સામે આત્મસમર્પણ કરી શકે છે, પરંતુ એવું થયું નહીં. ઊલટું તેણે પોલીસને પડકાર ફેંક્યો. ત્યારે હવે અમૃત પાલે પોલીસ સમક્ષ સરેન્ડર કરવું જોઈએ નહીં અને તેના બદલે પાકિસ્તાન ભાગી જવું જોઈએ, કારણે કે અહી રહેશે તો તે બચી નહીં શકે.
વિચિત્ર નિવેદનથી મામલો ગરમાયો
હવે આ સમગ્ર મામલે લોકસભા સાંસદ સિમરનજીત સિંહનું એક વિચિત્ર નિવેદન સામે આવ્યું છે. અમૃતપાલ સિંહના જીવને ખતરો ગણાવતા તેણે કહ્યું છે કે તેણે પાકિસ્તાન જતા રહેવું જોઈએ. અમે 1984માં પણ આવું કર્યું છે. હકીકતમાં, 1984માં તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ જરનૈલ સિંહ ભિંડરાનવાલે અને અન્ય ખાલિસ્તાની આતંકવાદીઓને ખતમ કરવા માટે ઓપરેશન બ્લૂ સ્ટારનો આદેશ આપ્યો હતો. આ ઓપરેશન પછી ઈન્દિરા ગાંધીની શીખ અંગરક્ષક દ્વારા હત્યા કરવામાં આવી હતી. ઈન્દિરા ગાંધીની હત્યા બાદ શીખ રમખાણો પણ થયા હતા. ત્યારે આ અમૃત પાલને આવી સલાહ આપતા મામલો ગરમાયો છે.
બે દિવસ પહેલા મંગળવારે રાત્રે પણ અમૃતપાલ સિંહ પંજાબ પોલીસને ચકમો આપવામાં સફળ રહ્યો હતો. જ્યારે ત્રણ જિલ્લામાં પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. હાલમાં પોલીસ બાતમીના આધારે વિવિધ સ્થળોએ દરોડા પાડી રહી છે.
નેપાળ જવાની જરુર નથી પાકિસ્તાન ભાગી જાઓ
લોકસભાના સાંસદ અને શિરોમણી અકાલી દળ (અમૃતસર)ના વડા સિમરજીત સિંહ માનને ભાગેડુ અમૃતપાલ સિંહને પાકિસ્તાન જવાની સલાહ આપી છે. સિમરનજીત સિંહ માને કહ્યું કે અમૃતપાલે આત્મસમર્પણ ન કરવું જોઈએ. તેણે રાવી નદી પાર કરીને પાકિસ્તાન જવું જોઈએ. માને એક મીડિયા સંસ્થાને આપેલા ઈન્ટરવ્યુમાં આ વાત કહી. કહ્યું અમૃતપાલને નેપાળ જવાની શું જરૂર છે. તેણે પાડોશી દેશ (પાકિસ્તાન) જવું જોઈએ.