દિવાળી પહેલા મોદી સરકારની મોટી ભેટ, વધુ 3 મહિના મળશે ફ્રી રાશન
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ, લાભાર્થીઓને દર મહિને વ્યક્તિ દીઠ 5 કિલો અનાજ મફતમાં આપવામાં આવશે. રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ દેશના ગરીબ લોકોને મફત રાશનની સુવિધા આપવામાં આવી રહ્યુ છે, તેને 3 મહિના માટે લંબાવવામાં આવ્યો છે.
સરકારે બુધવારે ગરીબોને મફત અનાજ આપવા માટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન(Pradhan Mantri Garib Kalyan Anna Yojana) યોજનાનો સમયગાળો ત્રણ મહિના એટલે કે ડિસેમ્બર 2022 સુધી લંબાવ્યો છે. 44,700 કરોડનો ખર્ચ થશે. માનવામાં આવે છે કે ગરીબોને મોંઘવારીમાંથી થોડી રાહત આપવા ઉપરાંત ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. કેબિનેટની બેઠક બાદ માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે(Anurag Thakur) પત્રકારોને જણાવ્યું કે આ યોજના શુક્રવારે સમાપ્ત થઈ રહી છે. તેને ઓક્ટોબરથી ડિસેમ્બર, 2022 સુધી લંબાવવામાં આવ્યો છે.
આ યોજના હેઠળ 80 કરોડ ગરીબોને દર મહિને પાંચ કિલો ઘઉં અને ચોખા આપવામાં આવે છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના એપ્રિલ, 2020 માં કોરોના વાયરસ રોગચાળાને રોકવા માટે દેશવ્યાપી લોકડાઉનથી પ્રભાવિત ગરીબોને રાહત આપવા માટે રજૂ કરવામાં આવી હતી.
પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજનાના લાભો
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ, લાભાર્થીઓને દર મહિને વ્યક્તિ દીઠ 5 કિલો અનાજ મફતમાં આપવામાં આવશે. રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ દેશના ગરીબ લોકોને મફત રાશનની સુવિધા આપવામાં આવી રહી છે. તબક્કા 7 હેઠળ, આગામી ત્રણ મહિના માટે મફત રાશન આપવામાં આવી રહ્યું છે. બુધવારે આ જાહેરાત કરવામાં આવી હતી. વડાપ્રધાનની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં મફત રાશનનું વિતરણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ યોજના માટે સરકાર અંદાજ મુજબ 44,762 કરોડ રૂપિયાની સબસિડી આપશે. આ યોજના હેઠળ અંદાજિત 122 લાખ મેટ્રિક ટન અનાજનું વિતરણ કરવામાં આવશે.
સરકારી જાહેરાત
કેબિનેટ મંત્રી અનુરાગ ઠાકુરે ફ્રી રાશનના નિર્ણયની જાણકારી આપી. આ સાથે સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં પણ 4 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. તેનો નિર્ણય પણ બુધવારની કેબિનેટ બેઠકમાં લેવામાં આવ્યો હતો. આ નિર્ણયથી 50 લાખ કર્મચારીઓ અને 62 લાખ પેન્શનરોને સીધો ફાયદો થશે. સરકાર જાન્યુઆરી અને જુલાઈમાં મોંઘવારી ભથ્થાની જાહેરાત કરે છે. તદનુસાર, 4% વધેલા ડીએનો લાભ 1 જુલાઈથી ઉમેરવામાં આવશે.