દેશભરમાં આઝાદીના અમૃત મહોત્સવની (Azadi ka Amrit Mohotsav) ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી. દરેક ભારતીય આઝાદીપર્વની (Independence Day) ઉજવણી કરી રહ્યો છે. આવા સમયે, ત્રિરંગો ઝંડો વહેંચવા બદલ બિજનૌરના (Bijnor) એક ગરીબ પરિવારનું માથું કાપી નાખવાની ધમકીથી સનસનાટી ફેલાઈ ગઈ છે. લોકોને ત્રિરંગો આપનારના ઘરની દિવાલ પર એક ધમકીભર્યો પત્ર ચોંટાડવામાં આવતા સમગ્ર પરિવારમાં ગભરાટ ફેલાયો છે. જો કે પોલીસે પરિવારના ઘરે સુરક્ષા પુરી પાડી છે. આ સાથે જ અજાણ્યા લોકો વિરુદ્ધ કેસ નોંધ્યા બાદ પોલીસની અનેક ટીમે તપાસ શરૂ કરી છે.
ઉતરપ્રદેશમાં અરુણ કશ્યપ ઉર્ફે અન્નુનો પરિવાર બિજનૌરના કિરાતપુર શહેરના બુધુપાડા વિસ્તારમાં એક નાનકડા મકાનમાં રહે છે. અરુણની પત્ની આંગણવાડી કાર્યકર છે. 14 ઓગસ્ટની સવારે અરુણ કશ્યપના પરિવારને ઘરની મુખ્ય દિવાલ પર હાથથી લખેલો પત્ર ચોંટાડાયેલો જોવા મળ્યો. જેમાં ધમકી આપવામાં આવી છે. દિવાલ પર ચોંટાડેલા પત્રમાં લખ્યું છે કે “અન્નુ, હું તમને ઘરે-ઘરે ત્રિરંગો આપવા બદલ ખૂબ જ ખુશ છું, તમારું માથું પણ શરીરથી અલગ કરવું પડશે – ISI સાથીઓ.
ધમકીભર્યો પત્ર જોઈને અન્નુ અને તેના પરિવારજનોએ પોલીસને જાણ કરી હતી. પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને અરુણ કશ્યપના પરિવારને તાત્કાલિક સુરક્ષા પૂરી પાડી. આ સાથે સર્કલ ઓફિસરની દેખરેખ હેઠળ પોલીસ ટીમો મુકીને પોલીસે અજાણ્યા સામે ગંભીર કલમો હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. એસપી સિટી ડોક્ટર પ્રવીણ રંજન સિંહે કહ્યું કે જે પણ હકીકતો સામે આવશે તેના આધારે અસરકારક કાર્યવાહી કરવામાં આવશે.
સાથે જ અરુણ કશ્યપ અને તેનો પરિવાર ગભરાટમાં છે. ધમકી બાદ આખો પરિવાર એક નાના રૂમમાં કેદ છે. પરિવારના ચહેરા પર ડરની રેખાઓ સ્પષ્ટ જોઈ શકાય છે. અરુણનું કહેવું છે કે જેણે પણ આવું કૃત્ય કર્યું છે તે જલ્દી પોલીસની કસ્ટડીમાં આવે.
Published On - 10:28 am, Tue, 16 August 22