પંજાબ, તામિલનાડુ, ઉતરાખંડના રાજ્યપાલ બદલાયા, નિવૃત લેફટન્ટ જનરલ ગુરમીત સિંહને ઉત્તરાખંડના રાજ્યપાલ બનાવાયા
તમિલનાડુના રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતને પંજાબનો હવાલો સોંપવામાં આવ્યો છે. આર એન રવિને તમિલનાડુના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. બીજી બાજુ, જગદીશ મુખી આસામની સાથે નાગાલેન્ડનો વધારાનો હવાલો સોપવામાં આવ્યો છે.
લેફ્ટનન્ટ જનરલ (નિવૃત્ત) ગુરમીત સિંહને (Gurmeet Singh) ગુરુવારે ઉત્તરાખંડના રાજ્યપાલ (Governor) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. બેબી રાની મૌર્યના રાજીનામા બાદ રાજ્યપાલનુ પદ ખાલી પડ્યું હતું. લેફ્ટનન્ટ જનરલ સિંઘ વાઇસ ચીફ ઓફ આર્મી સ્ટાફ તરીકે નિવૃત્ત થયા હતા. રાષ્ટ્રપતિ ભવન દ્વારા બહાર પાડવામાં આવેલા યાદી મુજબ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે બેબી રાની મૌર્યનું રાજીનામું સ્વીકારી લીધું અને ગુરમીત સિંહને રાજ્યના રાજ્યપાલ તરીકે નિયુક્ત કર્યા. અનેક ચંદ્રકોના અધિકારી લેફ્ટનન્ટ જનરલ સિંહે લગભગ ચાર દાયકાની સેવા બાદ ફેબ્રુઆરી 2016 માં સેનામાંથી નિવૃત્ત થયા હતા. સેનામાં તેમની સેવા દરમિયાન, લેફ્ટનન્ટ જનરલ સિંહે કાશ્મીરમાં નિયંત્રણ રેખાની રક્ષા કરતા 15 મી કોર્પ્સના વાઇસ ચીફ ઓફ આર્મી સ્ટાફ, આસિસ્ટન્ટ જનરલ અને કોર્પ્સ કમાન્ડર તરીકે સેવા આપી હતી.
તેઓ લશ્કરી કામગીરીના વધારાના મહાનિર્દેશક તરીકે ચીનને લગતા ઓપરેશનલ અને લશ્કરી વ્યૂહાત્મક મુદ્દાઓને પણ સંભાળી રહ્યા હતા. આર્મીમાં તેમના કાર્યકાળ દરમિયાન, લેફ્ટનન્ટ જનરલ સિંહ, છેલ્લા એક દાયકાથી પણ વધુ સમય દરમિયાન વિવિધ નિષ્ણાત જૂથો, સંયુક્ત કાર્યકારી જૂથો, વાર્ષિક સંવાદો અને ચાઇના સ્ટડી ગ્રુપની બેઠકોનો ભાગ રહ્યા હતા. લેફ્ટનન્ટ જનરલ સિંહે મહત્વની એવી સૈન્ય, રાજદ્વારી અને સરહદ તેમજ વાસ્તવિક નિયંત્રણ રેખાની બેઠકો માટે સાત વખત ચીનની મુલાકાત લીધી હતી. ડિફેન્સ સર્વિસ સ્ટાફ કોર્સ અને નેશનલ ડિફેન્સ કોલેજના સ્નાતક લેફ્ટનન્ટ જનરલ સિંહે ચેન્નાઈ અને ઈન્દોર યુનિવર્સિટીમાંથી બે એમ.ફિલ પૂરા કર્યા છે.
રાજ્યપાલની બદલી લેફ્ટનન્ટ જનરલ (નિવૃત્ત) ગુરમીત સિંહની નવી નિમણૂક ઉપરાંત રાષ્ટ્રપતિએ કેટલાક રાજ્યોના રાજ્યપાલોની પણ બદલી કરવાનો આદેશ કર્યો છે, જેમાં તમિલનાડુથી પંજાબમાં બનવારીલાલ પુરોહિતની બદલી કરવામાં આવી છે. તેઓ અગાઉ પંજાબનો વધારાનો હવાલો સંભાળી રહ્યા હતા. સેન્ટ્રલ ઇન્ટરલોક્યુટર અને નિવૃત્ત IPS અધિકારી આર.એન. રવિની નાગાલેન્ડથી તમિલનાડુના નવા રાજ્યપાલ તરીકે બદલી કરવામાં આવી છે. અત્યારે આસામના રાજ્યપાલ જગદીશ મુખીને, નવા રાજ્યપાલની નિમણૂંક ના થાય ત્યાં સુધી તેમના ચાર્જ ઉપરાંત નાગાલેન્ડના રાજ્યપાલ તરીકે વધારાનો હવાલો સોપવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઉત્તરાખંડના રાજ્યપાલ બેબી રાની મૌર્યએ બુધવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પોતાનું રાજીનામું સોંપ્યું હતું. સમાચાર એજન્સીના અહેવાલ અનુસાર, ઉત્તરાખંડના રાજ્યપાલ બેબી રાની મૌર્યએ કેટલાક અંગત કારણોસર રાજીનામું આપ્યું છે. બેબી રાની મૌર્યએ 26 ઓગસ્ટ 2018 ના રોજ ઉત્તરાખંડના રાજ્યપાલ તરીકે શપથ લીધા હતા. તેઓ ત્રણ વર્ષ સુધી ઉત્તરાખંડના રાજ્યપાલ તરીકે રહ્યા હતા.