Jammu Kashmir: એક સપ્તાહથી આર્મી કેમ્પની બહાર ધામા, રાત્રે આતંકીઓ ઘૂસવાના હતા, 4 કલાક સુધી ગરજી AK-47
ગુરુવારે વહેલી સવારે જમ્મુ-કાશ્મીરના (Jammu Kashmir) રાજૌરી જિલ્લામાં આર્મી કેમ્પ પર બે આતંકવાદીઓએ ફિદાયીન હુમલો કર્યો હતો. આ હુમલામાં ત્રણ જવાન શહીદ થયા હતા.
સ્વતંત્રતા દિવસના ચાર દિવસ પહેલા આતંકવાદીઓએ (Terrorists) ફરી એકવાર ઉરી હુમલા જેવું કાવતરું ઘડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આ વખતે તેઓ સુરક્ષા દળોની નજરથી બચી શક્યા ન હતા. ગુરુવારે વહેલી સવારે જમ્મુ-કાશ્મીરના (Jammu Kashmir) રાજૌરી જિલ્લામાં આર્મી (Indian Army) કેમ્પ પર બે આતંકવાદીઓએ ફિદાયીન હુમલો કર્યો હતો. આ હુમલામાં ત્રણ જવાન શહીદ થયા હતા. ચાર કલાક સુધી ચાલેલા ગોળીબાર બાદ બંને આતંકવાદીઓ માર્યા ગયા હતા. અધિકારીઓ અને પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે પરગલમાં લશ્કરી છાવણીના બહારના વર્તુળમાંથી અંદર ઘૂસવાનો પ્રયાસ કરી રહેલા આતંકવાદીઓએ બપોરે 2 વાગ્યાની આસપાસ પ્રથમ વખત ગોળીબાર કર્યો હતો.
રાજૌરીથી પરગલનું અંતર 25 કિલોમીટર છે, જ્યારે જમ્મુથી તે 185 કિલોમીટર છે. હુમલો કરનારા બંને ફિદાયીન સંભવત આતંકવાદી જૂથ જૈશ-એ-મોહમ્મદના હતા. બંને આતંકીઓએ રાત્રે જ કેમ્પમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. સતર્ક સૈનિકોએ તેમને જોયા અને ત્યારબાદ ગોળીબાર શરૂ થયો હતો.
આ હુમલામાં સુબેદાર રાજેન્દ્ર પ્રસાદ, રાઈફલમેન મનોજ કુમાર અને રાઈફલમેન લક્ષ્મણન ડી શહીદ થયા હતા. એક અધિકારીએ કહ્યું છે કે અમે અમારા ત્રણ જવાન ગુમાવ્યા છે અને અમે તેના માટે શોક વ્યક્ત કરીએ છીએ. સુબેદાર રાજેન્દ્ર પ્રસાદ રાજસ્થાનના ઝુંઝુનુના, રાઈફલમેન મનોજ કુમાર હરિયાણાના ફરીદાબાદના, રાઈફલમેન લક્ષ્મણન ડી તમિલનાડુના મદુરાઈના છે.
છેલ્લા એક સપ્તાહથી આતંકવાદીઓએ કેમ્પની નજીક પડાવ નાખ્યો હતો
પ્રાપ્ત માહિતી અનુસાર, અત્યાર સુધી માત્ર એટલું જ જાણવા મળ્યું છે કે આ આતંકવાદીઓ નજીકના એક કેમ્પમાં એક અઠવાડિયાથી વધુ સમયથી રહેતા હતા અને તેઓએ સંપૂર્ણ શોધખોળ કરી છે. સ્વતંત્રતા દિવસના ચાર દિવસ પહેલા કરવામાં આવેલ આ હુમલો, લગભગ ત્રણ વર્ષના અંતરાલ પછી જમ્મુ અને કાશ્મીરના કેન્દ્રશાસિત પ્રદેશમાં આત્મઘાતી હુમલાખોરો પરત ફર્યાની નિશાની છે. છેલ્લો આત્મઘાતી હુમલો 14 ફેબ્રુઆરી 2019 ના રોજ દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના લેથપોરા ખાતે થયો હતો જેમાં 40 CRPF જવાનો શહીદ થયા હતા.
પોલીસ મહાનિર્દેશક દિલબાગ સિંહે કહ્યું કે હુમલા બાદ એન્કાઉન્ટર થયું જેમાં ત્રણ સેનાના જવાનો માર્યા ગયા. છેલ્લું ફાયરિંગ સવારે લગભગ 6.10 વાગ્યે થયું હતું. એડિશનલ ડાયરેક્ટર જનરલ ઑફ પોલીસ (ADGP) મુકેશ સિંહે કહ્યું, કેટલાક લોકોએ (આતંકવાદી) પરગલમાં આર્મી કેમ્પની વાડને ઓળંગવાનો પ્રયાસ કર્યો હતો. જવાનોએ તેમને રોકવાનો પ્રયાસ કર્યો અને ત્યારબાદ એન્કાઉન્ટર શરૂ થયું. ભીષણ ગોળીબારમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. આ એન્કાઉન્ટરમાં સેનાના છ જવાન ઘાયલ થયા હતા, જેમાંથી ત્રણ શહીદ થયા હતા.