જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળોએ 3 આતંકવાદીઓને ઘેરી લીધા, બડગામમાં એન્કાઉન્ટર યથાવત
પોલીસ અને સુરક્ષા દળો(Security Forces)એ બુધવારે સવારે આ વિસ્તારમાં 3 આતંકીઓને ઘેરી લીધા છે. ત્રણેય આતંકીઓ (Terrorist) લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા છે.
જમ્મુ-કાશ્મીર(Jammu-Kashmir)માં બુધવારે સવારે સુરક્ષાદળો (Security Forces) અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ (Encounter) શરૂ થઈ છે. આ એન્કાઉન્ટર બડગામના વોટરહોલ વિસ્તારમાં થઈ રહ્યું છે. કાશ્મીરના ADGP વિજય કુમારે માહિતી આપી છે કે પોલીસ અને સુરક્ષા દળોએ બુધવારે સવારે આ વિસ્તારમાં 3 આતંકીઓને ઘેરી લીધા છે. બંને તરફથી વચ્ચે-વચ્ચે ગોળીબાર થઈ રહ્યો છે. તેમના કહેવા મુજબ 3 આતંકીઓમાં લતીફ નામનો આતંકી પણ હાજર છે. તે ઘણા નાગરિકોની હત્યામાં સામેલ છે.
ADGP વિજય કુમારે જણાવ્યું છે કે લતીફ કાશ્મીર ખીણમાં આતંકવાદીઓ દ્વારા માર્યા ગયેલા રાહુલ ભટ અને ટીવી અભિનેત્રી અમરીન ભટની હત્યામાં પણ સામેલ છે. ત્રણેય આતંકીઓ લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા છે. જણાવવામાં આવી રહ્યું છે કે પોલીસ અને સુરક્ષા દળોને બડગામના વોટરહોલ ગામમાં આતંકીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. આ પછી, પોલીસ અને સુરક્ષા દળોએ સંયુક્ત રીતે તેમને પકડવા માટે અભિયાન શરૂ કર્યું. આ દરમિયાન આતંકીઓએ તેના પર ગોળીબાર કર્યો હતો. જે બાદ એન્કાઉન્ટર શરૂ થયું હતું.
5 ઓગસ્ટે કુલગામમાં એન્કાઉન્ટર થયું હતું
આ પહેલા 5 ઓગસ્ટે જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચેની અથડામણમાં એક નાગરિકનું મોત થયું હતું અને એક જવાન ઘાયલ થયો હતો. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે કુલગામ જિલ્લાના રેડવાનીમાં આતંકવાદીઓની હાજરીની માહિતી મળ્યા પછી, સુરક્ષા દળોએ તે વિસ્તારને ઘેરી લીધો અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું.
અધિકારીએ કહ્યું હતું કે જ્યારે આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો ત્યારે સર્ચ ઓપરેશન એન્કાઉન્ટરમાં ફેરવાઈ ગયું હતું. જેના પર સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી કરી હતી. તેમણે કહ્યું કે આ અથડામણમાં એક ભારતીય સૈનિક અને એક નાગરિક ઘાયલ થયા છે. તેમણે કહ્યું કે નાગરિક કેવી રીતે ઘાયલ થયો તે સ્પષ્ટ નથી. બાદમાં, મૃત્યુ પામેલા ઘાયલ નાગરિકની ઓળખ કુલગામના રેડવાની બાલા વિસ્તારના મંજૂર લોન તરીકે થઈ હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.