જમ્મુ-કાશ્મીરના ડોડામાં જોશીમઠ જેવી સ્થિતિના એંધાણ વર્તાઈ રહ્યા છે. થાથરી તહસીલના નાઈ બસ્તી ગામમાં જમીન ખસી રહી છે. અહીં અનેક મકાનોમાં તિરાડો પડી ગઈ છે. અત્યાર સુધીમાં તિરાડો 22 મકાનોમાં અસર જોવા મળી છે અને ત્યાંથી 300 લોકોને અન્ય સ્થળે મોકલવામાં આવ્યા છે. ગામ લોકોએ જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાને તેમના ઘરના પુનર્વસન માટે અપીલ કરી છે.
ઠઠરી સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અથર અમીન ઝરગરે જણાવ્યું હતું કે વહીવટીતંત્ર પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે અને લોકોની સુરક્ષા માટે તમામ જરૂરી અને સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે. તો આ તરફ લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ કહ્યું કે અસરગ્રસ્ત પરિવારોને તમામ શક્ય મદદ પૂરી પાડવામાં આવશે. જો કે તેમણે ઉત્તરાખંડના જોશીમઠમાં ભૂસ્ખલનની ઘટના સાથે ડોડાની પરિસ્થિતિની તુલના કરવાનો ઇનકાર કર્યો હતો.
આ વિસ્તારના શાઝિયા બેગમ નામની મહિલાએ કહ્યું, હવે અમે ક્યાં જઈશુ…..અમે બરબાદ થઈ ગયા છીએ. અમે મજૂરી કરીને અમારા બાળકો માટે ઘર બનાવ્યું. અમે સરકારને અમારા માટે કંઈક કરવાની અપીલ કરીએ છીએ. મારે એક અપંગ બાળક છે. તમને જણાવી દઈએ કે શાઝિયાના ઘરમાં તિરાડો પડવાને કારણે ઘણુ નુકસાન થયુ છે.
તો 40 વર્ષીય મોહમ્મદ અકરમે જણાવ્યું હતું કે ગયા વર્ષે ડિસેમ્બરની આસપાસ લગભગ છથી સાત ઘરોમાં તિરાડો દેખાવા લાગી હતી. તેમણે કહ્યું, ‘અમે તેને હળવાશથી લીધો કારણ કે ડુંગરાળ વિસ્તારોમાં હળવા ભૂકંપ અને પાણીના કારણે ઘરોમાં નાની તિરાડો પડે છે. અમે તેમને ઢાંકવા માટે સફેદ સિમેન્ટ લગાવી પરંતુ તેની કોઈ અસર થઈ નહીં અને જમીન પણ ધસમસવા લાગી.
ગામના 22 વર્ષીય યુવક ઓવૈસે કહ્યું, ‘અમે જોશીમઠ જેવા સંકટથી ડરીએ છીએ. અમે દિવસ-રાત પ્રાર્થના કરીએ છીએ કે ભૂસ્ખલન વધુ ન ફેલાય. અમારામાંથી કેટલાક લોકો કંઈક બચાવવા માટે અમારા ઘરોમાંથી બારી અને દરવાજા હટાવી રહ્યા છે કારણ કે અહીંના લોકો ખૂબ જ ગરીબ છે અને અહીં ડોડામાં લાકડા મોંઘા છે. જણાવી દઈએ કે, જમ્મુ-કાશ્મીર પ્રશાસને હજુ સુધી પીડિત પરિવારોને કોઈપણ પ્રકારના વળતરની જાહેરાત કરી નથી.
Published On - 8:41 am, Sun, 5 February 23